East Asia Summitનું સંબોધન કર્યું પીએમ મોદીએ, આ વિશેષ સિદ્ધિ મેળવનાર પ્રથમ નેતા બન્યા

11 October, 2024 02:42 PM IST  |  Vientiane | Gujarati Mid-day Online Correspondent

PM Narendra Modi at East Asia Summit: કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદીના વખાણ કર્યા; કોન્ફરન્સમાં સૌથી વધુ વખત એટલે કે ૧૯માંથી ૯ વખત ભાગ લીધો છે મોદીએ

પીએમ નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

ભારત (India)ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પૂર્વ એશિયા પરિષદ (East Asia Summit)ને સંબોધિત કરી હતી. પૂર્વ એશિયા કોન્ફરન્સની અધ્યક્ષતા કરનાર લાઓસ (Laos)ના વડાપ્રધાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi at East Asia Summit)એ સંમેલનને સંબોધિત કર્યું હતું. પીએમ મોદી આ સન્માન મેળવનાર પ્રથમ નેતા છે. કોન્ફરન્સમાં આસિયાન દેશોમાં ભારતનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદીના વખાણ પણ કરવામાં આવ્યા હતા, કારણ કે પીએમ મોદીએ ઈસ્ટ એશિયા કોન્ફરન્સમાં સૌથી વધુ વખત એટલે કે ૧૯માંથી ૯ વખત ભાગ લીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ૧૯મી પૂર્વ એશિયા સમિટને સંબોધિત કરી હતી. વર્તમાન યજમાન અને આગામી શિખર સંમેલનના યજમાન બાદ પૂર્વ એશિયા સમિટને સંબોધિત કરવા માટે આમંત્રિત કરવામાં આવેલા તેઓ પ્રથમ નેતા હતા. આને એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે અને તેને આસિયાન દેશોમાં ભારતના વધતા પ્રભાવ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. આ દરમિયાન વડા પ્રધાન મોદીનો ઉલ્લેખ એકમાત્ર એવા નેતા તરીકે કરવામાં આવ્યો હતો જેણે પૂર્વ એશિયા સમિટમાં સૌથી વધુ સંખ્યામાં ભાગ લીધો હતો.

પૂર્વ એશિયા પરિષદ (East Asia Summit)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારતે હંમેશા આસિયાન દેશોની એકતાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, આસિયાન ભારતની ઈન્ડો-પેસિફિક નીતિ અને ક્વોડ સહકારનું કેન્દ્ર પણ છે. સમગ્ર પ્રદેશની શાંતિ અને સમૃદ્ધિ માટે એક મુક્ત, સર્વસમાવેશક અને સમૃદ્ધ, નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર જરૂરી છે.

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે હંમેશા આસિયાન એકતા અને કેન્દ્રિયતાને સમર્થન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું, અમે મ્યાનમારની સ્થિતિ પર આસિયાનના પરિપ્રેક્ષ્યનું સમર્થન કરીએ છીએ. અમે પાંચ મુદ્દાની સર્વસંમતિને પણ સમર્થન આપીએ છીએ...પાડોશી દેશ તરીકે ભારત તેની જવાબદારીઓ નિભાવવાનું ચાલુ રાખશે.

વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી રહેલા સંઘર્ષો વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું, `વિશ્વના વિવિધ પ્રદેશોમાં ચાલી રહેલા સંઘર્ષની સૌથી વધુ નકારાત્મક અસર ગ્લોબલ સાઉથના દેશો પર પડી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે યુરેશિયા હોય કે પશ્ચિમ એશિયા, શક્ય તેટલી વહેલી તકે શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થવી જોઈએ.

પીએમ મોદીએ કહ્યું, હું બુદ્ધની ભૂમિમાંથી આવ્યો છું, અને મેં વારંવાર કહ્યું છે કે આ યુદ્ધનો યુગ નથી. સમસ્યાઓનો ઉકેલ યુદ્ધના મેદાનમાંથી ન આવી શકે. સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સન્માન કરવું જરૂરી છે. માનવતાવાદી અભિગમ રાખીને સંવાદ અને મુત્સદ્દીગીરીને પ્રાથમિકતા આપવી પડશે. વિશ્વબંધુની જવાબદારી નિભાવીને ભારત આ દિશામાં દરેક સંભવ યોગદાન આપતું રહેશે.

એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે પણ ગંભીર પડકાર છે. આનો સામનો કરવા માટે માનવતામાં વિશ્વાસ રાખતી શક્તિઓએ સાથે મળીને કામ કરવું પડશે. સાયબર, મેરીટાઇમ અને સ્પેસના ક્ષેત્રોમાં પણ પરસ્પર સહયોગને મજબૂત બનાવવો પડશે.

આ પહેલા શુક્રવારે પીએમ મોદીએ પૂર્વ એશિયા સંમેલન દરમિયાન અમેરિકા (America)ના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન (Antony Blinken) સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી. આ બેઠક દરમિયાન પીએમ મોદીએ અમેરિકામાં ચક્રવાત મિલ્ટન (Cyclone Milton)માં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

ગુરુવારે વડાપ્રધાન મોદીએ લાઓસમાં ૨૧મી આસિયાન ઈન્ડિયા કોન્ફરન્સ (ASEAN-India Summit)માં પણ ભાગ લીધો હતો. ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીના દસ વર્ષ પૂરા થવાના અવસરે આસિયાન-ઈન્ડિયા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, પૂર્વ એશિયા પરિષદની આ વાર્ષિક બેઠકમાં તેના સભ્ય દેશોના રાજ્યોના વડાઓ ભાગ લે છે. ઈસ્ટ એશિયા કોન્ફરન્સની શરૂઆત વર્ષ ૨૦૦૫માં થઈ હતી. પૂર્વ એશિયા પરિષદની પ્રથમ બેઠક મલેશિયા (Malaysia)ના કુઆલાલંપુર (Kuala Lumpur)માં યોજાઈ હતી. પૂર્વ એશિયા સમિટમાં ૧૬ સભ્ય દેશો છે જેમાં આસિયાન સભ્ય દેશો ઓસ્ટ્રેલિયા (Australia), ચીન (China), ભારત (India), જાપાન (Japan), ન્યુઝીલેન્ડ (New Zealand) અને દક્ષિણ કોરિયા (South Korea)નો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૧માં છઠ્ઠી ઈસ્ટ એશિયા કોન્ફરન્સમાં અમેરિકા (America) અને રશિયા (Russia)ને પણ સામેલ કરવામાં આવ્યા હતા.

narendra modi international news world news asia