પાકિસ્તાનમાં આતંકી હુમલોઃ ૧૧ દેશોના રાજદૂતોના કાફલામાં બોમ્બ બ્લાસ્ટ; એકનું મોત અને ચાર ઘાયલ

23 September, 2024 09:15 AM IST  |  Karachi | Gujarati Mid-day Correspondent

Pakistan Bomb Blast: આતંકવાદીઓએ કાફલાની આગળ ચાલી રહેલી વાન પર રિમોટ કંટ્રોલ બોમ્બ વડે હુમલો કર્યો હતો; વિસ્ફોટમાં પોલીસ અધિકારીએ જીવ ગુમાવ્યો

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાન (Pakistan)માં ૧૧ દેશોના રાજદ્વારીઓના કાફલા પર આતંકી હુમલો થયો છે. આ ઘટના રવિવાર (Pakistan Bomb Blast)ની છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa)ના સ્વાત જિલ્લામાંથી માલમ જબ્બા (Malam Jabba) જઈ રહેલા વિદેશી રાજદૂતોના કાફલાની સુરક્ષા કરતી પોલીસ વાનને આતંકવાદીઓએ નિશાન બનાવી હતી. આતંકવાદીઓએ વાનને રિમોટ કંટ્રોલ બોમ્બથી ઉડાવી દીધી હતી. વિસ્ફોટમાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું. અન્ય ચાર ઘાયલ થયા છે. ઘાયલોને સૈદુ શરીફની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે. મળતી માહિતી મુજબ તમામ રાજદ્વારીઓ સુરક્ષિત છે.

પાકિસ્તાનના અશાંત ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં રવિવારે વિદેશી રાજદ્વારીઓના કાફલાને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ વિસ્ફોટમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા. પોલીસે આ અંગે માહિતી આપી હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ રિમોટ દ્વારા કરવામાં આવ્યો હતો અને કાફલો ઈસ્લામાબાદથી સ્વાત જિલ્લાના સુંદર પહાડી વિસ્તાર માલમ જબ્બા તરફ જઈ રહ્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે તમામ રાજદ્વારીઓ સુરક્ષિત છે.

કાફલામાં રશિયા (Russia), વિયેતનામ (Vietnam), બોસ્નિયા (Bosnia) અને હર્ઝેગોવિના (Herzegovina), ઇથોપિયા (Ethiopia), રવાંડા (Rwanda), ઝિમ્બાબ્વે (Zimbabwe), ઇન્ડોનેશિયા (Indonesia), ઉઝબેકિસ્તાન (Uzbekistan), તુર્કમેનિસ્તાન (Turkmenistan), કઝાકિસ્તાન (Kazakhstan) અને પોર્ટુગલ (Portugal)ના રાજદ્વારીઓ સામેલ હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, તમામ રાજદૂતો સુરક્ષિત છે અને તેમને ઈસ્લામાબાદ મોકલી દેવામાં આવ્યા છે. તમામ રાજદૂતોએ મિંગોરામાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પછી તેઓ માલમ જબ્બા જઈ રહ્યા હતા. ત્યારબાદ આ વિસ્ફોટ શેરાબાદમાં થયો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, તમામ રાજદ્વારીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. સુરક્ષા ફરજ પર તૈનાત પોલીસ કાફલાને વિસ્ફોટક ઉપકરણ વડે નિશાન બનાવવામાં આવ્યું હતું. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું છે કે, ઘાયલ ત્રણ પોલીસકર્મીઓની હાલત ગંભીર છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ (Shahbaz Sharif)એ હુમલાની નિંદા કરી છે. જ્યારે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી (Asif Ali Zardari)એ આતંકવાદી તત્વો માત્ર દેશ અને રાષ્ટ્રના દુશ્મન નથી, પરંતુ માનવતાના પણ દુશ્મન છે. સાથે જ તેમણે હુમલામાં માર્યા ગયેલા પોલીસ અધિકારીને શ્રદ્ધાંજલિ આપી અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.

તમને જણાવી દઈએ કે, હજુ સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.

તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૨૧માં અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન સત્તા પર આવ્યા બાદ પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠનોએ વધુ જોર પકડ્યું છે. પાક ઇન્સ્ટિટ્યૂટ ફોર પીસ સ્ટડીઝ (Pak Institute for Peace Studies)ના ડેટા અનુસાર, બંને પ્રાંતોમાં ગયા મહિને ઘાતક હુમલાઓમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. જુલાઈમાં આતંકી હુમલાની સંખ્યા ૩૮ હતી. પરંતુ ઓગસ્ટમાં તે વધીને ૫૯ થઈ ગઈ હતી. ખૈબર પખ્તુનખ્વામાં ઓગસ્ટમાં થયેલા ૨૯ આતંકી હુમલાઓમાં ૨૫ લોકોએ જીવ ગુમાવ્યા છે.

pakistan terror attack international news world news russia vietnam zimbabwe uzbekistan portugal