એનઆઇએ દ્વારા લંડનમાં ઇન્ડિયન હાઈ કમિશન પરના હુમલાની તપાસ શરૂ

19 April, 2023 12:19 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

ગૃહ મંત્રાલયના આદેશ પર એનઆઇએએ એફઆઇઆર દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લંડનમાં ઇન્ડિયન હાઈ કમિશનની ઑફિસમાં વિરોધ પ્રદર્શન દરમ્યાન ખાલિસ્તાની સપોર્ટર્સ દ્વારા રાષ્ટ્રીય ધ્વજને ઉતારવામાં આવ્યાને લગભગ એક મહિના બાદ હવે એનઆઇએ (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ આ મામલે તપાસ શરૂ કરી છે.

ગૃહ મંત્રાલયના કાઉન્ટર ટેરરિઝમ ઍન્ડ કાઉન્ટર રૅડિકલાઇઝેશન વિભાગ દ્વારા થોડા દિવસ પહેલાં એનઆઇએને આ કેસ સોંપવામાં આવ્યો હતો.  ગૃહ મંત્રાલયના આદેશ પર એનઆઇએએ એફઆઇઆર દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.

આ એજન્સીએ દિલ્હી પોલીસ પાસેથી આ કેસ હાથ પર લીધો છે. દિલ્હી પોલીસે યુએપીએ (અનલૉફુલ ઍક્ટિવિટીઝ પ્રિવેન્શન ઍક્ટ) હેઠળ એફઆઇઆર દાખલ કરી હતી.

યુકેના પ્રતિનિધિઓ સાથે ગયા અઠવાડિયામાં એક મીટિંગ બાદ ગૃહ મંત્રાલયે એનઆઇએને આ કેસ સોંપવાનો નિર્ણય કર્યો હતો. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ રૅન્કના ઑફિસર સહિત એનઆઇએની સ્પેશ્યલ ટીમ કદાચ ટૂંક સમયમાં જ લંડનમાં જશે.

લંડનમાં ઇન્ડિયન હાઈ કમિશન ખાતે ૧૯મી માર્ચે ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર અને ખાલિસ્તાની ઝંડા લહેરાવતા પ્રદર્શનકર્તાઓના એક ગ્રુપે રાષ્ટ્રીય ધ્વજ ઉતાર્યો હતો.

international news london indian flag