midday

MV Lila Norfolk : સોમાલિયામાં જહાજ હાઇજેક, ભારતના ૧૫ ક્રૂ સભ્યો સવાર, નેવી લાગી કામ પર

05 January, 2024 12:10 PM IST  |  Mogadishu | Gujarati Mid-day Online Correspondent

MV Lila Norfolk : ભારતીય નૌકાદળના વિમાનો જહાજ પર નજર રાખી રહ્યા છે અને ક્રૂ સાથે વાતચીત કરવામાં આવી છે
ભારતીય નૌકાદળ સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહી હોય તે સમયની ફાઇલ તસવીર (તસવીર સૌજન્ય : પીટીઆઇ)

ભારતીય નૌકાદળ સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહી હોય તે સમયની ફાઇલ તસવીર (તસવીર સૌજન્ય : પીટીઆઇ)

અરબી સમુદ્ર (Arabian Sea)માં સોમાલિયા (Somalia)ના તટ નજીક વધુ એક જહાજને હાઈજેક (MV Lila Norfolk Hijacked) કરવામાં આવ્યું છે. ગઈ કાલે સોમાલિયામાં જહાજનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે બાદ ભારતીય સેના (Indian Navy) તેના પર કડક નજર રાખી રહી છે. સોમાલિયાના દરિયાકાંઠેથી હાઇજેક કરાયેલા લાઇબેરિયન ધ્વજવાળા જહાજમાં સવારના ક્રૂમાં પંદર ભારતીયો પણ છે. ભારતીય નૌકાદળના વિમાનો જહાજ પર નજર રાખી રહ્યા છે અને ક્રૂ સાથે વાતચીત કરવામાં આવી છે. મર્ચન્ટ વેસલની સુરક્ષા માટે નેવીએ INS ચેન્નઈ (INS Chennai)ને જહાજ તરફ મોકલ્યું છે.

ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાં વધુ એક જહાજના અપહરણની ઘટનાને નિષ્ફળ બનાવી છે. આ જહાજ પર લાઇબેરિયાનો ધ્વજ છે. આ જહાજ MV Lila Norfolkમાં ૧૫ ભારતીય ક્રૂ મેમ્બર છે. જહાજના તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત હોવાનું કહેવાય છે. ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં કેટલાક ભારતીય ક્રૂ સભ્યો સાથે લાઇબેરિયન-ધ્વજવાળા વેપારી જહાજને હાઇજેક કર્યા બાદ યુદ્ધ જહાજ તૈનાત કર્યું છે. બ્રિટિશ સૈન્ય સંગઠન યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ – યુકેએમટીઓ (United Kingdom Marine Trade Operations - UKMTO) દ્વારા ગુરુવારે માલવાહક જહાજ એમવી લીલા નોર્ફોકના હાઇજેકની જાણ કરવામાં આવી હતી. તે વ્યૂહાત્મક જળમાર્ગોમાં વિવિધ જહાજોની હિલચાલ પર નજર રાખે છે.

નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં એક દરિયાઈ ઘટનાનો જડબાતોડ જવાબ આપ્યો જેમાં લાઇબેરિયન-ધ્વજવાળા જહાજને હાઇજેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ જહાજને હાઇજેક થતા અટકાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે જહાજે, UKMTO પોર્ટલ પર એક સંદેશ મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે લગભગ પાંચથી છ અજાણ્યા સશસ્ત્ર લોકો જહાજ પર ચઢી ગયા છે.

જહાજમાંથી મેસેજ મળતાં જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતીય નૌકાદળે દરિયાઈ પેટ્રોલિંગ શરૂ કર્યું અને જહાજને મદદ કરવા માટે દરિયાઈ સુરક્ષા કામગીરી માટે તૈનાત INS ચેન્નઈને ડાયવર્ટ કરી. આ દરમિયાન ખબર પડી કે, જહાજના ક્રૂમાં ઘણા ભારતીયો સામેલ છે. ભારતીય નૌકાદળના દરિયાઈ પેટ્રોલિંગ એરક્રાફ્ટે શુક્રવારે વહેલી સવારે જહાજ પર ઉડાન ભરી હતી અને ક્રૂની સલામતીની ખાતરી કરીને જહાજ સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

સાથે જ, નેવલ એરક્રાફ્ટ પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું છે અને INS ચેન્નઈ સહાય પૂરી પાડવા માટે રવાના થઈ ગયું છે. અન્ય એજન્સીઓની પણ મદદ લેવામાં આવી રહી છે અને સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. ભારતીય નૌકાદળે કહ્યું કે, અમે આંતરરાષ્ટ્રીય ભાગીદારો અને મૈત્રીપૂર્ણ વિદેશી દેશો સાથે આ ક્ષેત્રમાં મર્ચન્ટ શિપિંગની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

indian navy arabian sea somalia international news