પાઇલટે કરી હોઈ શકે સામૂહિક હત્યા

11 March, 2024 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૦ વર્ષ પહેલાં ગુમ થયેલા મલેશિયાના પ્લેન વિશે બ્રિટિશ એવિયેશન એક્સપર્ટનો દાવો

વિમાનની તસવીર

૨૦૧૪માં મલેશિયા ઍરલાઇન્સની ફ્લાઇટ MH370 રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી એના વિશે બ્રિટિશ એવિયેશન એક્સપર્ટ સિમોન હાર્ડીએ ચોંકાવનારો દાવો કર્યો છે કે ફ્લાઇટના ગુમ થવા પાછળ પાઇલટની માસ-મર્ડરની યોજના હોઈ શકે છે. હાર્ડીના રિપોર્ટ અનુસાર પાઇલટે પ્લેનને પર્ફેક્ટ્લી સમુદ્રમાં ડુબાડ્યું હતું અને એમાં સવાર ૨૩૯ પૅસેન્જર્સને સમુદ્રના તળિયે દફનાવી દીધા હતા. આ માટે પાઇલટ ઝહરી અહમદ શાહની અંગત સમસ્યાઓ જવાબદાર હોઈ શકે છે જેને કારણે તેમનું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું હશે અને તેમને પૅસેન્જર્સની હત્યાનો વિચાર આવ્યો હશે. 
હાર્ડીએ આ વિશે વિવિધ થિયરીનો ઉલ્લેખ કર્યો હતો, જેમ કે ફ્લાઇટ ટેક ઑફ થઈ એ પહેલાં તેણે કૉકપિટ માટે ઍડિશનલ ઇંધણ અને ઑક્સિજન માટે વિનંતી કરી હતી જેથી તે પ્લેનને ગમે ત્યાં હવામાં કોઈ ડિટેક્શન વગર સાત કલાક સુધી ઉડાવી શકે અને જેટને સમુદ્રમાં ડુબાડે એ પહેલાં પૅસેન્જર્સ અને ક્રૂ બેભાન થઈ જાય. બોઇંગ ૭૭૭ ઍરક્રાફ્ટ ૨૦૧૪ની ૮ માર્ચે ક્વાલા લમ્પુરથી 
બીજિંગ જતી વખતે રડારમાંથી ગાયબ થઈ ગયું હતું. સેટેલાઇટ ડેટા મુજબ પ્લેન એના ફ્લાઇટ પાથથી ભટકી ગયું હતું અને દક્ષિણ હિન્દ મહાસાગરમાં ક્રૅશ થયું હતું.

national news malaysia airlines international news