દેશને ખતરો હશે તો અમે ઍટમબૉમ્બ પણ બનાવીશું

13 May, 2024 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇઝરાયલ હુમલો કરશે તો અમે જવાબી કાર્યવાહી માટે તૈયાર છીએ એમ જણાવીને ઈરાને કહ્યું...

પ્રતીકાત્મક તસવીર

ઈરાને કહ્યું હતું કે જો અમારા અસ્તિત્વ પર કોઈ ખતરો આવશે તો અમે એનો સામનો કરવા માટે ઍટમબૉમ્બ બનાવીશું. ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખોમેનીના ઍડ્વાઇઝર કમાલ ખર્રાજીએ શનિવારે કહ્યું હતું કે ‘અમે પરમાણુ બૉમ્બ બનાવવા માટે કોઈ નિર્ણય લીધો નથી, પણ જો જરૂર પડશે તો અમે અમારો આ સિદ્ધાંત બદલી પણ શકીએ છીએ. જો ઇઝરાયલ અમારી ન્યુક્લિયર ફૅસિલિટીઝ પર હુમલો કરશે તો અમારે અમારી સુરક્ષા માટે આ પગલું ભરવું પડશે.’ હકીકતમાં ઈરાનના સુપ્રીમ લીડર ખોમેનીએ ૨૦૦૩માં પરમાણુ હથિયારો સહિત દરેક એ હથિયારના ઉત્પાદનના વિરોધમાં ફતવો જારી કર્યો હતો જેમાં મોટા પાયે ખુવારી થઈ શકે એમ હતી. ત્યારે ખોમેનીએ કહ્યું હતું કે આવાં હથિયારો બનાવવા ઇસ્લામ મુજબ હરામ છે. જોકે આમ છતાં ૨૦૨૧માં ઈરાનના તત્કાલીન ઇન્ટેલિજન્સ મિનિસ્ટરે કહ્યું હતું કે પશ્ચિમી દેશો તરફથી વધી રહેલા દબાણને કારણે આ ફતવાને પલટી શકાય એમ છે. એમ પણ જાણવા મળે છે કે ઈરાન યુરેનિયમને ૬૦ ટકા સુધી એનરિચ કરી રહ્યું છે અને એની ગુણવત્તામાં સુધારો આવી રહ્યો છે. હથિયારોમાં વપરાતા યુરેનિયમને ૯૦ ટકા સુધી એનરિચ કરવામાં આવે છે. જાન્યુઆરી મહિનામાં યુનાઇટેડ નેશન્સના ન્યુક્લિયર ઇન્સ્પેક્ટર ડેવિડ અલ્બ્રાઇટે દાવો કર્યો હતો કે ઈરાન કેટલાક દિવસોમાં ઍટમબૉમ્બ બનાવી શકે છે. એ પાંચ મહિનામાં ૧૨ બૉમ્બ બનાવી શકે છે.

national news israel international news iran