ઇમરાન ખાનના પક્ષે ૧૭૦ બેઠક પર જીતનો દાવો કર્યો

11 February, 2024 10:20 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

હજી મતગણતરી ચાલી રહી છે અને ઇમરાનના પક્ષના ટેકા સાથે ૧૦૦ જેટલા અપક્ષોએ વિજય મેળવ્યો હોવાનું કહેવાય છે.

ઈમરાન ખાન

પાકિસ્તાનમાં ચૂંટણીના વિજયના સતત બીજા દિવસે ઇમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)એ દાવો કરતાં કહ્યું હતું કે પક્ષે રાષ્ટ્રીય ધારાસભાની કુલ ૨૬૫માંની ૧૭૦ બેઠક જીતી લીધી છે અને મજલીસ વહાદત-એ-મુસ્લિમીન (એમડબ્લ્યુએમ) સાથે જોડાણ રચવાની તૈયારી કરી લીધી છે. હજી મતગણતરી ચાલી રહી છે અને ઇમરાનના પક્ષના ટેકા સાથે ૧૦૦ જેટલા અપક્ષોએ વિજય મેળવ્યો હોવાનું કહેવાય છે.

પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફના નેતા બૅરિસ્ટર ગોહર ખાને એવો આક્ષેપ કર્યો હતો કે પક્ષે જીતેલી બેઠકો હારી હોય એવું દેખાડવા માટેના પ્રયાસો થયા હતા. તેમણે જ્યાં પરિણામો જાહેર નથી થયાં ત્યાંના રિટર્નિંગ અધિકારીની ઑફિસની બહાર દેખાવો કરવાનું કાર્યકરોને કહ્યું છે.

આ દરમ્યાન નવમી મે સંબંધી ૧૨ કેસમાં ઍન્ટિ-ટેરરિઝમ કૉર્ટે ઇમરાન ખાનને જામીન આપ્યા હતા. આ પહેલાં ઇમરાન ખાનના અવાજમાં પક્ષે એક નિવેદન પણ બહાર પાડ્યું હતું. જોકે આ નિવેદન એઆઇ (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, કારણ કે ઇમરાન ખાન અત્યારે જેલમાં છે.

pakistan international news imran khan