01 July, 2024 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિશી સુનક
૪ જુલાઈએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલાં બ્રિટનના વડા પ્રધાન રિશી સુનકે પત્ની અક્ષતા મૂર્તિ સાથે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) સંસ્થાના નીસ્ડન મંદિરની મુલાકાત લીધી હતી અને દૈવી આશીર્વાદ માગ્યા હતા. આ પ્રસંગે રિશી સુનકે કહ્યું હતું કે મને મારી હિન્દુ આસ્થામાંથી પ્રેરણા મળે છે.
શનિવારે સાંજે તેઓ મંદિરમાં પહોંચ્યાં હતાં અને પૂજારીઓના માર્ગદર્શન હેઠળ પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે ‘હું હિન્દુ છું અને તમારા બધાની જેમ મેં મારા વિશ્વાસમાંથી પ્રેરણા અને કમ્ફર્ટ મેળવ્યાં છે. ભગવદ્ગીતા પર સંસદસભ્ય તરીકે શપથ લેતાં મને ગર્વની લાગણી થાય છે. આપણો વિશ્વાસ આપણને આપણી ફરજ બજાવવાનું અને પરિણામથી નહીં ગભરાવાનું શીખવે છે. મારાં અદ્ભુત અને પ્રેમાળ માતાપિતાએ મને આ વાત શીખવી છે અને એ રીતે હું જીવન જીવી રહ્યો છું અને મારી પુત્રીઓને હું આ સંસ્કાર આપવા માગું છું. મને મારો ધર્મ લોકોની સેવા કરવાનો અભિગમ શીખવે છે. લોકસેવામાં મારી પત્ની પણ મારો સૌથી મોટો ટેકો છે. તે પણ આ કાર્યમાં સમર્પિત છે. કોઈ પણ પતિને આવો સાથીદાર મળી શકે છે.’