04 September, 2024 10:55 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
વડોદરામાં વૉર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશનની હૉસ્પિટલ દ્વારા યોજાયેલા મેડિકલ કૅમ્પમાં સારવાર આપી રહેલો મેડિકલ સ્ટાફ.
મધ્ય ગુજરાતના વડોદરામાં તાજેતરમાં વિશ્વામિત્રી નદીના પૂરે સર્જેલી તારાજીના કારણે શહેરના વૉર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશને આ વર્ષે નવરાત્રિમાં યોજાતા ગરબામાં તેમનું ફન્ડ નહીં આપે, પણ એ ફન્ડ વડોદરાના અસરગ્રસ્ત લોકોની પાછળ વાપરવાનો નિર્ણય કરીને મેડિકલ કૅમ્પ શરૂ કર્યા છે.
વડોદરામાં વૉર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશનની હૉસ્પિટલ આવેલી છે. આ સંસ્થા સમાજ માટે તેમની સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા આગળ આવી છે. સંસ્થા વડોદરામાં નવરાત્રિ દરમ્યાન યોજાતા ગરબા ઑર્ગેનાઇઝ પણ કરે છે અને ગરબાના કાર્યક્રમ માટે ફન્ડ પણ આપે છે, પરંતુ આ વખતે વડોદરાની પરિસ્થિતિ જોઈને સંસ્થા ગરબા પાછળ જે ફન્ડ વાપરે છે એનો સદુપયોગ કરતાં વડોદરાના પૂરથી અસરગ્રસ્ત નાગરિકો પાછળ વાપરવાનો નિર્ણય કરીને શહેરમાં પહેલા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ-પૅકેટ્સ પહોંચાડ્યાં એ પછી હવે નિઃશુલ્ક મેડિકલ કૅમ્પ શરૂ કર્યા છે. આ ઉપરાંત પૂરના પાણીમાં જે બાળકોનાં નોટબુક-પુસ્તકો સહિતની સ્ટેશનરી પલળી ગઈ છે તેવા સ્ટુડન્ટ્સ માટે એજ્યુકેશન કીટ તૈયાર કરીને આપશે. બાળકોને નોટબુક, પુસ્તકો અને સ્કૂલ-બૅગ પણ આપવામાં આવશે.