midday

જલારામ બાપા પર ટિપ્પણી કરનાર સ્વામીની મુશ્કેલી વધી, મંદિરે આવી માફી માગવા કહ્યું

05 March, 2025 07:01 AM IST  |  Surat | Gujarati Mid-day Online Correspondent

Swaminarayan Monk Remark on Jalaram Bapa: સ્વામિનારાયણ સાધુએ જલારામ બાપા અંગે કરેલી અસ્વીકાર્ય ટિપ્પણી સામે સ્થાનિક લોકો હડતાળ પાળી રહ્યા છે. સ્થાનિકોએ જલારામ મંદિર સુધી પગપાળા કૂચ કરી અને બે દિવસ માટે પોતાના વ્યવસાયો બંધ રાખવાનો નિર્ણય લીધો.
સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી અને જલારામ બાપાનું મંદિર (તસવીર: મિડ-ડે)

સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી અને જલારામ બાપાનું મંદિર (તસવીર: મિડ-ડે)

ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં આવેલા પ્રખ્યાત ધાર્મિક સ્થળ વિરપુરમાં મોટો વિવાદ જોવા મળી રહ્યો છે. કારણ કે થોડા સમય પહેલા સ્વામિનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યું હતું કે જલારામ બાપા સ્વામિનારાયણ સાધુ ગુણાતીત સ્વામી પાસેથી આશીર્વાદ લેશે અને જલારામ મંદિર દ્વારા મફત ભોજન વિતરણ સ્વામિનારાયણ સાધુ ગુણાતીત સ્વામીના આશીર્વાદને કારણે ચાલે છે. આ ઘટનાને લઈને ભક્તોમાં મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે.

સંપૂર્ણ વિરપુરમાં હડતાળ શરૂ છે જે આવતીકાલે પણ ચાલુ રહેશે. સ્વામિનારાયણ સાધુએ જલારામ બાપા અંગે કરેલી અસ્વીકાર્ય ટિપ્પણી સામે સ્થાનિક લોકો હડતાળ પાળી રહ્યા છે. સ્થાનિકોએ જલારામ મંદિર સુધી પગપાળા કૂચ કરી અને બે દિવસ માટે પોતાના વ્યવસાયો બંધ રાખવાનો નિર્ણય લીધો. ત્યારબાદ આગળની કાર્યવાહી માટે નિર્ણય લેવામાં આવશે. સ્થાનિક લોકો દ્વારા અત્યાર સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રસાદ સ્વામીને વિરપુર આવીને જલારામ બાપા વિશેની હકીકતોને તોડી-મોડી રજૂ કરવા બદલ માફી માગે તેવી માગણી કરી રહ્યા છે.

વિરપુર જલારામ મંદિરે આવી વિકૃતિના જવાબમાં સ્પષ્ટતા કરી કે જલારામ બાપાના એકમાત્ર ગુરુ ભોજલરામ બાપા હતા અને સદાવ્રત (મફત ભોજન સેવા) ભોજલરામ બાપાથી પ્રેરિત 205 વર્ષથી વધુ સમયથી ચાલી રહી છે. દરમિયાન, જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યું કે તેમણે એક પુસ્તકમાં જલારામ બાપા અને ગુણાતીત સ્વામીના મિલન વિશે વાંચ્યું છે. જોકે વિવાદ વધતાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગતો વીડિયો જાહેર કર્યો. હતો જેમાં તેમણે કહ્યું, ‘મેં એક પુસ્તક અને મેગેઝિનમાં જે વાંચ્યું તે વર્ણન કર્યું હતું. જો આથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય, તો હું દિલથી માફી માગુ છું.’

જોકે વિરપુરના સ્થાનિકો અને જલારામ બાપાના ભક્તો દ્વારા જ્ઞાનપ્રકાશ સ્વામી અહીં આવીને માફી માગે તેવી માગણી કરી રહ્યા છે. આ વિવાદમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ નિવેદનમાં કહ્યું કે, “આ ખૂબ દુઃખદ ઘટના છે. જલારામ બાપા પ્રત્યે સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં પણ શ્રદ્ધા રાખનાર ભક્તોની સંખ્યા ખૂબ જ મોટી છે. જલરામ બાપા આપણી શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે અને ત્રણ ટાઈમ હરિહરનો સાદ કરવામાં આવે છે. કોઇ ભૂલથી પણ રૂપિયો ન ધરે તે ધ્યાન રાખવા માટે પૈસા ચૂકવીને માણસ રાખવામાં આવે છે અને તે વિશ્વમાં દુર્લભ છે. આવી પવિત્ર જગ્યા માટે બોલતા પહેલા અરીસામાં જોવું જોઇએ. જલારામ બાપા વિશે નિવેદન આપવાની સ્વામીની કોઇ હેસિયત નથી. હું આ નિવેદનની નિંદા કરું છું.”

વધતાં વિવાદ અંગે વિરપુર ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી બેઠકમાં એક મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આજે અને આવતીકાલે વિરપુર સંપૂર્ણ બંધ પાળવામાં આવશે. જોકે આ દરમિયાન આવશ્યક સેવાઓ જેમ કે મેડિકલ અને હૉસ્પિટલની સુવિધા બંધ નહીં રહે. જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે અને જો જ્ઞાનપ્રકાશ સ્વામી કાલ સાંજ સુધીમાં જલારામ બાપાની જગ્યામાં આવી રૂબરૂ માફી નહિ માગે તો તે અંગે આગામી રણનીતિ 6 માર્ચના જાહેર કરવામાં આવશે.

swaminarayan sampraday gujarat news surat sarangpur social media viral videos gujarat