11 January, 2024 02:51 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (Shrimad Rajchandra Mission Dharampur)ના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી દ્વારા એક નવો જ સરાહનીય કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. 31મી જાન્યુઆરીથી લઈને 2જી ફેબ્રુઆરી દરમિયાન `યુથ રિટ્રીટ`નો સુંદર સંકલ્પ કરવામાં આવ્યો છે. આ `યુથ રિટ્રીટ` માટે સમગ્ર ભારતમાંથી 1000થી વધારે યુવાઓને સાંકળવામાં આવશે. આ સૌ યુવાનો એકસાથે લક્ષદ્વીપના અગાટી ટાપુઓની મુલાકાત લેવાના છે.
માત્ર મુલાકત જ નહીં પરંતુ આ રિટ્રીટ દ્વારા યુવાઓને સાંસ્કૃતિક અને જૈવ વૈવિધ્યના ખજાનાથી ભરપૂર લક્ષદ્વીપને જાણવા અને માણવાનો અવસર ઉપલબ્ધ કરાવશે. લક્ષદ્વીપમાં આયોજિત આ રિટ્રીટની આયોજક યુવા સમિતિએ આ બાબતે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે. “આ રિટ્રીટનું આયોજન છેલ્લા થોડા મહિનાઓથી કરવામાં આવી રહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (Shrimad Rajchandra Mission Dharampur)ના પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીનું ભારતના ઓછા જાણીતા પણ અનોખા સ્થળોમાં રિટ્રીટનું આયોજન કરવા સતત અમને પ્રોત્સાહિત મળી રહ્યું છે.”
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક્સપ્લોર ઇંડિયન આઇલેન્ડની પહેલને ભારતભરમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ જ પહેલના ભાગરૂપે વધુ ને વધુ આ યુવાઓ લક્ષદ્વીપમાં અનુભવો લે એ હેતુસર શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા આ અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.
લક્ષદ્વીપ પર યુવાઓ આ કાર્યક્રમમાં જોડાશે
પ્રાપ્ત માહિતી અનુસાર અગાટી ટાપુઓના મૂળ આદિવાસી નૃત્ય અને સંસ્કૃતિની પણ ઝાંખી માણવામાં આવશે. ત્યાંના લોકો સાથે વાર્તાલાપ કરીને સ્નોર્કલિંગ, સ્કુબા-ડાઇવિંગ તથા જેટ-સ્કીઇંગનું પણ આયોજન છે. આ સાથે જ ભક્તિમય નૃત્ય સંગીત, સેલ્ફ-ડેવલપમેન્ટ માટેના વર્કશોપ, ધ્યાનનું પણ આયોજન કરાયુ છે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (Shrimad Rajchandra Mission Dharampur)ના પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી સાથે યુવાઓ વિશેષ વાર્તાલાપ પણ કરશે.
એટલું જરૂર કહી શકાય કે પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી સાધના, સેવા, સંસ્કૃતિ, સત્સંગ અને સ્પોર્ટ્સના પાંચ ‘S’ને સાંકળીને લક્ષદ્વીપમાં અનેક કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. જેને કારણે સંસ્કારી અને સમૃદ્ધ યુવાઓની એક એવી પેઢીને તૈયાર થશે તેમાં કોઈ બેમત નથી.
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (Shrimad Rajchandra Mission Dharampur)ની વિચારસરણી જ આધુનિક છે, તે પોતે ‘પોતાનું સત્ય સ્વરૂપ ઓળખો અને અન્યની નિષ્કામ સેવા કરો’ જેવા ધ્યેય સાથે કાર્યરત છે. ખાસ કરીને આ પહેલમાં યુવાઓને જોડવામાં આવે છે.
પૂજ્ય ગુરુદેવશ્રી અવારનવાર પોતાના સત્સંગ થકી યુવાઓને શાશ્વત જ્ઞાન પીરસવાનું કામ કરતાં જ રહે છે. છેલ્લા કેટલાય વર્ષોથી તેઓએ વિવિધ ભારતીય શાસ્ત્રોના ગહન મર્મ સરળ ભાષામાં યુવામિત્રોને સમજાવ્યા છે. આ જ રીતે તેઓ યુવાનોની સાથે અનેક પવિત્ર સ્થળોની યાત્રાઓનું પણ આયોજન કરે છે. તેના જ ભાગરૂપે હવે લક્ષદ્વીપમાં યુવાનો માટે રિટ્રીટનું સુંદર ભક્તિસભર અને જ્ઞાનવર્ધક આયોજન કરવામાં આવ્યું છે. જે બેશક યુવાઓના આધ્યાત્મિક સંસ્કારનું સિંચન કરશે.