બિલ્કિસબાનુ કેસમાં સુપ્રીમ કોર્ટનો ગુજરાત સરકારને ઝટકો : રિવ્યુ પિટિશન ફગાવી

27 September, 2024 08:22 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં આ કેસના દોષીઓને છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણયને લઈને જે કમેન્ટ કરી હતી એ દૂર કરવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકારે કરેલી રિવ્યુ પિટિશન ફગાવી દીધી હતી. 

સુપ્રીમ કૉર્ટ (ફાઈલ તસવીર)

બિલ્કિસબાનુ કેસમાં ગુજરાત સરકારને ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાંથી જબરદસ્ત ઝટકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં આ કેસના દોષીઓને છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણયને લઈને જે કમેન્ટ કરી હતી એ દૂર કરવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકારે કરેલી રિવ્યુ પિટિશન ફગાવી દીધી હતી. 

ગુજરાત સરકારે આ કેસના ૧૧ દોષીઓને સજા પૂરી થાય એ પહેલાં ‘સારા વર્તન’ બદલ છોડી મૂક્યા હોવાથી એ નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી હતી અને એ સમયે એણે પોતાના આદેશમાં ગુજરાત સરકારને ચાબખા માર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે ગુજરાત સરકારે મિલિભગત કરીને દોષીઓ સાથે સાઠગાંઠ કરી હતી. આ અને આવી બીજી અમુક કમેન્ટ યોગ્ય ન હોવાથી ગુજરાત સરકારે એને રેકૉર્ડમાંથી કાઢી નાખવા સુપ્રીમ કોર્ટને કહ્યું હતું. જોકે જસ્ટિસ બી. વી. નાગરથ્ન અને જસ્ટિસ ઉજ્જ્વલ ભૂયાન આ વાત સાથે સહમત નહોતા થયા. તેમણે ગઈ કાલે આપેલા આદેશમાં કહ્યું હતું કે ‘અમે સાવચેતીપૂર્વક આ રિવ્યુ પિટિશન વાંચી છે અને એ જોયા બાદ અમને ક્યાંય એવું નથી લાગ્યું કે આદેશમાં ક્યાંય કોઈ ભૂલ થઈ હોય. આ રિવ્યુ પિટિશનમાં કોઈ મેરિટ નથી. 

સુપ્રીમ કોર્ટે જાન્યુઆરીમાં ‘સારા વર્તન’ બદલ છોડી મૂકવામાં આવેલા ૧૧ દોષીઓને પાછા જેલમાં મોકલી દીધા હતા. એ સમયે કોર્ટે આપેલા ચુકાદામાં કહ્યું હતું કે ગુજરાત સરકારે વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યા વગર દોષીઓને છોડી મૂક્યા હતા, પણ એના માટે એ સક્ષમ નથી. 

supreme court gujarat news gujarat bilkis bano bhupendra patel