23 March, 2019 07:30 AM IST | સુરત | રશ્મિન શાહ
‘હાર્દિક ગદ્દાર’ લખેલું પૂતળું
ધુળેટીના દિવસે જામનગરમાં વિરોધ થયા પછી કૉન્ગ્રેસમાં ભળેલા હાર્દિક પટેલનો વિરોધ ગઈ કાલે સુરતમાં પાટીદારોએ કર્યો હતો અને હાર્દિક પસાર થવાનો હતો એ રસ્તા પર ‘હાર્દિક ગદ્દાર’ લખેલું પૂતળું મૂકીને તેનું સ્વાગત કર્યું હતું. હાર્દિક કૉન્ગ્રેસમાં જોડાયો એ પછી ઠેર-ઠેર તેનો વિરોધ થયો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના કાઉન્સિલર અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે ‘આ પાટીદારોની નારાજગી નથી, પણ આમાં બીજેપીની ચાલ છે. બીજેપી હાર્દિકને નીચો દેખાડવા આવાં ગતકડાં કરે છે.’
હાર્દિક પટેલ પણ આ વાત સાથે સહમત થયો હતો. તેણે કહ્યું હતું કે ‘ક્યાંક નારાજગી હોય એ સમજી શકાય, પણ બધી જગ્યાએ આવું કરવું એ તો બીજેપીની રમત છે. કાગળનો વાઘ ઊભો કરવાનું કામ બીજેપી કરતી આવી છે અને અત્યારે પણ તે એ જ કરે છે અને મારી ખોટી બદનામી કરે છે.’
આ પણ વાંચો : શું તમે GUJCET પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે
આવો ચોકીદાર અમને નથી જોઈતો
સુરતમાં છેલ્લા સાત દિવસમાં ત્રણ બાળકી પર દુષ્કૃત્ય કરવામાં આવતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે ‘પોતાની જાતને ચોકીદાર ગણાવે છે તે આવું બને છે ત્યારે ક્યાં સંતાઈ જાય છે? મોદીસાહેબ ચોકીદાર સાચા, પણ ઉદ્યોગપતિઓના ચોકીદાર છે. અનિલ અંબાણીને ફરીથી ઉપર લાવવા પ્રોજેક્ટ પર પ્રોજેક્ટ દે છે, મુકેશ અંબાણી અને અદાણીને પણ તેમનાથી લાભ છે. અમને આવો શ્રીમંતોનો ચોકીદાર નથી જોઈતો. પ્રજાને ગરીબ માણસોનું ધ્યાન રાખે એવા ચોકીદારની આવશ્યકતા છે.’