દિલ્હી બાદ રાજકોટ ઍરપોર્ટ પર પણ અકસ્માત, ભારે વરસાદને કારણે છત તૂટી પડી

29 June, 2024 03:59 PM IST  |  Rajkot | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતના રાજકોટ ઍરપોર્ટ (Rajkot Airport)ની છતનો એક ભાગ તૂટીને નીચે પડી ગયો છે. સમાચાર એજન્સી પીટીઆઈએ આ જાણકારી આપી છે

વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ

ભારે વરસાદને કારણે શુક્રવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ ઍરપોર્ટ (IGI) પર છતનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેમાં એક કેબ ડ્રાઈવરનું મોત થયું હતું. આ અકસ્માતના બીજા દિવસે ગુજરાતમાં પણ આવો જ એક અકસ્માત થયો હતો. ગુજરાતના રાજકોટ ઍરપોર્ટ (Rajkot Airport)ની છતનો એક ભાગ તૂટીને નીચે પડી ગયો છે. સમાચાર એજન્સી પીટીઆઈએ આ જાણકારી આપી છે. ભારે વરસાદને કારણે ઍરપોર્ટ ટર્મિનલની બહાર પેસેન્જર પીકઅપ અને ડ્રૉપ એરિયામાં કેનોપી (Rajkot Airport) પડી ગઈ હતી. તે જુલાઈ વર્ષ 2023માં લૉન્ચ કરવામાં આવ્યું હતું. સદનસીબે અકસ્માત સમયે ત્યાં કોઈ હાજર નહોતું. આ ઘટનાનો વીડિયો (Rajkot Airport) પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ સાથે પવન ફૂંકાતા કેનોપી તૂટી ગઈ હતી.

દિલ્હીમાં ભારે વરસાદને કારણે આ અકસ્માત થયો

દિલ્હી ઍરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટી પડતાં એક કેબ ડ્રાઈવરે જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં છ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા. ઍરપોર્ટની છતનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેના કારણે ઘણી ગાડીઓ કચડાઈ ગઈ હતી. દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, અકસ્માત સમયે લોખંડના બીમ કાર પર પડતાં અફરા-તફરી મચી ગઈ હતી અને લોકો મદદ માટે બૂમો પાડતાં જોવા મળ્યાં હતાં.

27 જૂને મધ્યપ્રદેશના જબલપુર ઍરપોર્ટની છત તૂટી પડી

મધ્યપ્રદેશના જબલપુરમાં ભારે વરસાદ વચ્ચે પાણી જમા થવાને કારણે ગુરૂવારે ડુમના ઍરપોર્ટ પરિસરમાં કાપડની કેનોપીનો એક ભાગ તૂટી પડ્યો, જેના કારણે નીચે પાર્ક કરેલી એક કાર દટાઈ ગઈ. ઍરપોર્ટ અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સવારે 11.30 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાઈકોર્ટના ડાયરેક્ટર રાજીવ રતન પાંડેએ પીટીઆઈને જણાવ્યું હતું કે, `ડ્રોપ એન્ડ ગો` વિસ્તારને સુંદર બનાવવા માટે કાપડની કેનોપી લગાવવામાં આવી હતી. વરસાદને કારણે તેના પર પાણી જમા થઈ ગયું હતું. પાણીના વજનને કારણે તે ફાટી ગયું અને ત્યાં પાર્ક કરેલી કાર પર પાણી ભારે પડ્યું.

સરકારે તમામ ઍરપોર્ટનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરવાનો આદેશ આપ્યો

શુક્રવારે દિલ્હી ઍરપોર્ટ પર છતનો એક ભાગ ધરાશાયી થતાં એક વ્યક્તિના મૃત્યુ અને ઓછામાં ઓછા છ ઘાયલ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશના તમામ ઍરપોર્ટનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. આગામી બેથી પાંચ દિવસમાં નિરીક્ષણ પૂર્ણ કરીને મંત્રાલયને રિપોર્ટ સોંપવા સૂચના આપવામાં આવી છે. શુક્રવારે સવારે 5 વાગ્યાની આસપાસ ટર્મિનલ-1 પર બનેલી આ ઘટના બાદ, ટર્મિનલ પરની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે અને ત્યાંથી ઓપરેટ થતી ફ્લાઈટ્સને T-2 અને T-3માં ખસેડવામાં આવી છે.

rajkot delhi airport gujarat india gujarat news