17 June, 2024 08:57 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
છેલ્લા ૧૦ દિવસમાં ગુજરાતમાં દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાનાં ગામોમાં આશરે ૬૨ કરોડ રૂપિયાની કિંમતનાં ૧૧૫ ચરસનાં પૅકેટ તણાઈ આવ્યાં છે. આના પગલે પોલીસે સતર્કતાથી દરિયાકિનારે જાપ્તો વધારી દીધો છે અને ડ્રોનની મદદથી આ પૅકેટ ક્યાંથી આવ્યાં છે એની તપાસ હાથ ધરી છે. એવું જણાઈ રહ્યું છે કે મધદરિયે દાણચોરો દ્વારા ચરસનાં આ પૅકેટ નાખી દેવામાં આવ્યાં હશે જે છેવટે તણાઈને દરિયાકાંઠે આવી પહોંચ્યાં છે.
૭ જૂને જાવેરનગરમાંથી ૩૦ પૅકેટ, ૧૦ જૂને મોજપમાં ૧૦ પૅકેટ, ૧૧ જૂને મોજપ અને શિવરાજપુર વચ્ચે ૧૦ પૅકેટ અને ૧૫ જૂને ચંદ્રભાગા, વાંછું અને ગોરીજ ગામ પાસે આશરે ૬૪ પૅકેટ મળી આવ્યાં હતાં. આનું વજન ૧૨૩.૭૨ કિલોગ્રામ અને કિંમત ૬૧.૬૮ કરોડ રૂપિયા જેટલી જાય છે.