સાળંગપુરના હનુમાનજી મંદિરમાં ઈંધણ વગર નોખી રીતે બનશે રસોઈ

06 April, 2023 12:28 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

હનુમાનજીદાદાની ૫૪ ફુટ ઊંચી કિંગ ઑફ સાળંગપુરની વિરાટ મૂર્તિનું હર્ષોલ્લાસ સાથે થયું અનાવરણ

સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં આજે ખુલ્લું મુકાનારા ગુજરાતના સૌથી મોટા ઍડ્વાન્સ્ડ ટેક્નૉલૉજી સાથેની ઑઇલ બેઝડ કુકિંગ સિસ્ટમ સાથેના ભોજનાલયમાં સંતો.

ધાર્મિક સ્થાનોમાં હનુમાનજી મંદિર એવું પહેલું ધાર્મિક સ્થળ બનશે જ્યાં ઍડ્વાન્સ્ડ ટેક્નૉલૉજી સાથે ઑઇલ બેઝડ કુકિંગ સિસ્ટમથી એકસાથે ૮ હજાર વ્યક્તિઓ માટે બનશે રસોઈ, હનુમાનજીદાદાની ૫૪ ફુટ ઊંચી કિંગ ઑફ સાળંગપુરની વિરાટ મૂર્તિનું હર્ષોલ્લાસ સાથે થયું અનાવરણ

ગુજરાતમાં આવેલા જગપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના હનુમાનજી મંદિરમાં ગુજરાતના સૌથી મોટા ભોજનાલયમાં ઈંધણ વગર રસોઈ બનશે. ધાર્મિક સ્થાનોમાં હનુમાનજી મંદિર એવું પહેલું ધાર્મિક સ્થળ બનશે જ્યાં ઍડ્વાન્સ્ડ ટેક્નૉલૉજી સાથે ઑઇલ બેઝડ કુકિંગ સિસ્ટમથી એકસાથે ૮ હજાર વ્યક્તિઓ માટે રસોઈ બનશે. આ સિસ્ટમની વિશેષતા એ હશે કે આટલી મોટી માત્રામાં રસોઈ બનવા છતાં કિચનમાં ગરમી નહીં લાગે કે રસોડું કાળુંમેશ પણ નહીં થાય. 

હનુમાનજીદાદાની ૫૪ ફુટ ઊંચી કિંગ ઑફ સાળંગપુરની વિરાટ મૂર્તિ.

આ પણ વાંચો: સાત કિલોમીટર દૂરથી દર્શન થશે દાદાનાં

સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં ગઈ કાલે સંતો-મહંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં હનુમાનજીદાદાની ૫૪ ફુટ ઊંચી કિંગ ઑફ સાળંગપુરની વિરાટ મર્તિનું હર્ષોલ્લાસ સાથે અનાવરણ થયું હતું. આજે હનુમાન જયંતીના પાવન પર્વ પર સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયનું આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉદ્ઘાટન કરશે. આ ભોજનાલયની વિશેષતા વિશે વાત કરતાં ભોજનાલયની ડિઝાઇન કરનાર આર્કિટેક્ટ પ્રકાશ ગજ્જરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાળંગપુર મંદિરમાં જ્યાં કિચન બન્યું છે એની બહાર ૩૦૦ લિટરની ઑઇલ ટૅન્ક મૂકી છે. એમાં ઑઇલ ગરમ કરવામાં આવશે. આ ગરમ ઑઇલ ટૅન્કમાં થઇને પાઇપ વાટે કિચનમાં આવશે. કિચનમાં સ્પેશ્યલ ડિઝાઇન કરેલાં ડબલ લેયરવાળાં વાસણોની સરાઉન્ડ આ ગરમ ઑઇલ ફરશે. એક વાસણમાંથી બીજા વાસણમાં અને ત્યાંથી ત્રીજા વાસણમાં એમ કુલ નવ વાસણની આસપાસ આ ઑઇલ ફરશે અને ત્યાંથી પાછું બહાર ઑઇલ ટૅન્કમાં જતું રહેશે. ત્યાંથી પાછું ગરમ થઈને કિચનમાં આવે એ રીતે રિપીટેડલી ફરતું રહેશે અને કિચનમાં રસોઈ બનશે. કોઈ પણ રસોઈ ૧૫૦થી ૧૯૦ ડિગ્રી તાપમાનમાં બનતી હોય છે. એનું ધ્યાન રાખીને ૧૫૦થી ૧૯૦ ડિગ્રી તાપમાનવાળા ઑઇલથી રસોઈ બનશે જેથી રસોઈ સ્વાદિષ્ટ બનશે અને દાઝશે પણ નહીં. રસોઈ બનાવતી વખતે એને હલાવવી પડતી હોય છે પરંતુ આ સિસ્ટમમાં રસોઈ બનાવતાં એને હલાવવી પણ નહીં પડે.’

હનુમાનદાદા માટે વિશેષ પ્રસાદ

સુરતમાં ગઈ કાલે અટલ આશ્રમ ખાતે હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ ૪૫૦૦ કિલોની મીઠાઈ બનાવી રહેલા શ્રદ્ધાળુઓ. તસવીર એ.એન.આઇ.

gujarat news shailesh nayak ahmedabad hinduism