આધ્યાત્મિક પ્રવાસનમાં સૌથી વધુ ૧.૬૫ કરોડ લોકોએ અંબાજી મંદિરમાં શીશ નમાવ્યું

27 September, 2024 02:21 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

આજે વિશ્વ પ્રવાસન દિવસ છે ત્યારે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં ૨૪ ટકાનો વધારો થયો હોવાનો દાવો કર્યો ગુજરાત સરકારે : દેશભરમાં ધાર્મિક પ્રવાસનમાં ગુજરાત આગળ : વ્યસ્ત જીવનમાંથી આનંદ માણવા માટે અમદાવાદનું કાંકરિયા લેક ફ્રન્ટ બન્યું લોકપ્રિય

ઉત્તર ગુજરાતમાં આવેલું શક્તિપીઠ અંબાજી મંદિર અને અંબાજી ગબ્બરની ફરતે આવેલી ૫૧ શક્તિપીઠનાં દર્શન માટે ઊમટેલા ધાર્મિક જનો.

દર વર્ષે વિશ્વમાં આજના દિવસે વિશ્વ પ્રવાસન દિવસ ઊજવાય છે ત્યારે ગુજરાત પ્રવાસીઓ માટે હૉટ ડેસ્ટિનેશન બની રહ્યું છે અને એમાં પણ આધ્યાત્મિક પ્રવાસનમાં ગુજરાત આગળ છે અને ઉત્તર ગુજરાતમાં આવેલા શક્તિપીઠ તથા યાત્રાધામ અંબાજીમાં સૌથી વધુ ૧.૬૫ કરોડ પ્રવાસીઓએ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 

ગુજરાતના પ્રવાસન પ્રધાન મૂળુભાઈ બેરાએ કહ્યું હતું કે ‘૨૦૨૩-’૨૪માં ૧૮.૫૯ કરોડથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી, જેમાં ૧૭.૫૦ કરોડ સ્થાનિક પ્રવાસીઓ હતા, જ્યારે ૨૩.૪૩ લાખ વિદેશી પ્રવાસીઓ હતા. ૨૦૨૨-’૨૩ની સરખામણીએ ૨૦૨૩-’૨૪માં ગુજરાત આવતા પ્રવાસીઓની સંખ્યામાં ૨૪.૦૭ ટકાનો વધારો થયો છે. ધાર્મિક પ્રવાસન ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે. દેશભરમાં સૌથી વધુ ૧.૬૫ કરોડ માઈભક્તોએ અંબાજીમાં દર્શનનો લાભ લીધો હતો. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ૯૭.૯૩ લાખ, દ્વારકા ખાતે ૮૩.૫૪ લાખ, પાવાગઢ મંદિરે ૭૬.૬૬ લાખ તેમ જ ડાકોર ખાતે ૩૪.૨૨ લાખ પ્રવાસીઓએ મંદિરમાં દર્શન કર્યાં હતાં. બિઝનેસના હેતુથી સૌથી વધુ અમદાવાદમાં ૨.૨૬ કરોડથી વધુ, જ્યારે સુરતમાં ૬૨.૩૧ લાખ, વડોદરામાં ૩૪.૧૫ લાખ, રાજકોટમાં ૧૮.૫૯ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.’

જાણવા જેવું
વ્યસ્ત જીવનમાંથી આનંદ માણવા માટે અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ પર ૭૯.૬૭ લાખ, સાબરમતી રિવરફ્રન્ટ પર ૪૪.૭૬ લાખ, સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ૪૩.૫૨ લાખ તેમ જ ગુજરાતના હિલ સ્ટેશન સાપુતારાની ૧૧.૩૯ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

gujarat news gujarat travel travel news national news ambaji