ગુજરાતમાં ૧૦૦થી વધારે રત્નકલાકારોએ મંદીને લીધે કરી છે આત્મહત્યા

04 October, 2024 11:10 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાત કૉન્ગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો દાવો

શક્તિસિંહ ગોહિલ

ગુજરાતમાં તાજેતરના સમયગાળામાં ૧૦૦થી વધુ રત્નકલાકારોએ આત્મહત્યા કરી હોવાનો દાવો ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સંસદસભ્ય શક્તિસિંહ ગોહિલે ગઈ કાલે કરીને કહ્યું હતું કે મંદીને કારણે તેમનો કોઈ હાથ પકડનાર નથી.

શક્તિસિંહ ગોહિલે પ્રેસ-કૉન્ફરન્સમાં હીરાઉદ્યોગમાં ચાલી રહેલી કટોકટી વિશે વાત કરતાં દાવો કરીને આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘હીરાઉદ્યોગમાં ઊભી થયેલી કટોકટીને કારણે હીરા ઘસતા કારીગરોએ આત્મહત્યા કરવી પડી છે. કટોકટી ઊભી થઈ હોવા છતાં કેન્દ્ર કે રાજ્ય સરકાર પણ હીરાના કારીગરો કે હીરા ઉદ્યોગોને બચાવવા ચિંતા કરતાં નથી. હજારો કારીગરોએ કામ ગુમાવ્યું છે. ઊભી થયેલી મંદીને કારણે કારીગરોનું શોષણ થઈ રહ્યું છે. ફરજિયાત રજા અને પગારમાં ઘટાડા તથા બિનજરૂરી વેકેશન કારીગરોને આપવામાં આવી રહ્યાં છે.’

અમારી માગણી છે કે કૉન્ગ્રેસની સરકારમાં ૧૯૯૨માં રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવાયું હતું જે ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકારે બંધ કરી દીધું છે એ રત્નકલાકાર કલ્યાણ બોર્ડ ફરી બનાવવામાં આવે અને જે રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે તેમના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે. જે રત્નકલાકારો પાસેથી વ્યવસાય-વેરો લેવામાં આવે છે એ બંધ કરવામાં આવે તેમ જ રત્નકલાકારોની નોંધણી કરીને તેમને મળવાપાત્ર ગ્રૅચ્યુઇટી તથા અન્ય સુવિધા વિશેની ચિંતા સરકાર કરે. - શક્તિસિંહ ગોહિલ

suicide Gujarat Congress congress gujarat politics political news gujarat gujarat news