14 June, 2023 11:34 AM IST | Surat | Ashok Patel
નવસારીના પારસીઓએ વરસાદને રીઝવવા માટે ઘી-ખીચડા તહેવારની ઉજવણી કરવા સાથે વર્ષારાણીને રીઝવવા માટે ગીતો પણ ગાયાં હતાં
શ્રાવણ મહિનો હિન્દુઓ માટે પવિત્ર મહિનો ગણાય છે, એમ પારસીઓ માટે બહમન માસ પવિત્ર મહિનો ગણાય છે. ૧૨મી જૂનથી બહમન માસનો પ્રારંભ થયો છે, એના બીજા દિવસે નવસારીના પારસીઓએ વરસાદને રીઝવવા માટે ઘી-ખીચડા તહેવારની ઉજવણી કરવા સાથે વર્ષારાણીને રીઝવવા માટે ગીતો પણ ગાયાં હતાં. પવિત્ર બહમન માસના બીજા દિવસે નવસારીના પારસી યુવાનો પારસી પરિવારો જ્યાં વસ્યા છે, એ આવાબાગ વિસ્તારમાં જઈને પારસી પરિવારોને ત્યાં ઘી, ખીચડો કે પૈસો માગે છે. બસો વર્ષથી નવસારીના પારસીઓ દર વર્ષ બહમન માસમાં વર્ષારાણીને રીઝવવા માટે ઘી-ખીચડાની ઉજવણી કરે છે. આ પરંપરા છેક ૧૮૦૧થી શરૂ થઈ છે. એ વખતે દુકાળ પડ્યો હતો ત્યારે નવસારીના પારસીઓએ ભેગા થઈને વરસાદને રીઝવવા માટે ઘરે-ઘરે જઈ દાળ-ચોખા, ઘીનું ઉઘરાણું કરી શ્વાનને ખવડાવતાં વરસાદ આવ્યો હતો. એ દિવસથી નવસારીમાં પારસીઓ ઘી-ખીચડાનો તહેવાર ઊજવે છે.