Mast Rahe Mann: ઍંગ્ઝાયટીને ડિપ્રેશન સમજવાની ભૂલ નહીં કરી બેસતા

26 August, 2024 11:30 AM IST  |  Mumbai | Rachana Joshi

આજના એપિસોડમાં આપણે મળીશું સિનિયર કન્સલ્ટન્ટ સાયકોલોજિસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણીને અને તેમની પાસેથી જાણીશું કે ઍંગ્ઝાયટી અને ડિપ્રેશનમાં ફરક શું છે?

ડિઝાઇન: કિશોર સોસા

અમુક દાયકા પહેલાં ઍન્ગ્રી યંગ મેન માત્ર ફિલ્મોમાં જ જોવા મળતાં પણ હવે જમાનો બદલાતા આપણને બસમાં, ટ્રેનમાં કે રસ્તામાં દરરોજ આવા એકાદ પાત્રના દર્શન થાય છે. માત્ર એ જ નહીં પણ વાસ્તવિક જીવનમાં તમને સિંઘમની જેમ ‘આતા માઝી સટકેલ’ કહેતા અને એનિમલના રણવિજય સિંહ જેવા પાત્રો પણ આજુબાજુ ફરતાં જોવા મળશે, થેન્સ ટુ આજની આધુનિક જીવનશૈલી, જે ત્રણ ટી (T)થી વણાયેલી છે. પહેલો ટી ટેકનોલોજીનો, બીજો ટી ટ્રાન્સફોર્મેશનનો અને આ બંને થકી સતત આગળ રહેવાની હોડમાં રહેતા લોકો માટે ત્રીજો ટી ટેન્શનનો. આ વાત સવાલ ઊભો કરવા કે કોઈના માથે માછલાં ધોવા માટે અમે કરી નથી, મુદ્દો છે જવાબ શોધવાનો... મગજને શાંત રાખવાનો... લાંબાગાળાની માનસિક બીમારી ટાળવાનો... અને મનને મસ્ત રાખવાનો! ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે એક વિશેષ પેશકશ ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann) જેમાં આપણે દર પખવાડિયે એક નવા પ્રશ્ન સાથે મળીશું સાયકોલોજિસ્ટને અને તેમની પાસેથી જાણીશું મનને મસ્ત કેવી રીતે રાખવું!

ઍંગ્ઝાયટી આ શબ્દ આજકાલ બહુ જ સાંભળવા મળે છે. આજકાલના યુવાનોની જીભે તો આ શબ્દ જાણે ચોંટેલો જ રહે છે. ‘અરે આ નહી, આની તો મને ઍંગ્ઝાયટી છે!’ ખરેખર ઍંગ્ઝાયટી એટલે શું? આજના એપિસોડમાં આપણે મળીશું સિનિયર કન્સલ્ટન્ટ સાયકોલોજિસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણી (Dr. Prashant Bhimani)ને અને તેમની પાસેથી જાણીશું ઍંગ્ઝાયટી એટલે શું? ઍંગ્ઝાયટી અને ડિપ્રેશનમાં ફરક શું છે?

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann)માં વાતચીત કરતા સિનિયર કન્સલ્ટન્ટ સાયકોલોજિસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણી (Dr. Prashant Bhimani) કહે છે કે, ‘સામાન્ય રીતે લોકો ઍંગ્ઝાયટી અને ડિપ્રેશન એક જ છે તેવું માને છે. પણ ખરેખર એવું નથી. ઍંગ્ઝાયટી અને ડિપ્રેશન બન્નેમાં બહુ તફાવત છે. ઍંગ્ઝાયટી એટલે વિકૃત ચિંતા, અકારણ ચિંતા. ચિંતા જે સકારણ હોય એ યોગ્ય છે પણ જે ચિંતા અકારણ હોય તે છે ઍંગ્ઝાયટી. ચિંતા અકારણ છે એ તમને ખ્યાલ પણ હોય છતાં તમે ચિંતા કરો ત્યારે સમજવું કે તમે ઍંગ્ઝાયટીનો શિકાર બની ગયા છો. વ્તક્તિને વિચારો બહુ આવવા લાગે અને વધુ પડતી ચિંતા થવા લાગે ત્યારે તે ઍંગ્ઝાયટી છે એમ સમજવું.’

ઍંગ્ઝાયટીના લક્ષણો વિશે વાત કરતા ડૉ. ભીમાણી કહે છે કે, ‘ઊંઘ ન આવવી, ભૂખ ઓછી લાગવી, વાતે-વાતે ચીડાઈ જવું, ગમતા કાર્યોમાં રસ ન પડવો, ગભરામણ થવી વગેરે ઍંગ્ઝાયટીના લક્ષણો છે. ઍંગ્ઝાયટી એટલે ડરને લગતી ચિંતા છે. વ્યક્તિમાં જ્યારે ઍંગ્ઝાયટીનું લેવલ વધી જાય ત્યારે તેને પૅનિક અટૅક આવવા લાગે છે.’

‘ઍંગ્ઝાયટી અને ડિપ્રેશન બન્ને જુદા છે. વ્યક્તિમાં ઍંગ્ઝાયટી અને ડિપ્રેશન બન્ને સાથે હોય એવું બની શકે. પરંતુ બન્ને એકબીજાથી બહુ જુદા છે. ઍંગ્ઝાયટી એટલે ડર વિષયક ચિંતા. જ્યારે ડિપ્રેશન એટલે ઉદાસી, ન ગમતી ફિલિંગ હોય, કારણ વગર રડવું આવે, મુડલેસ રહેવાય, મજા ન આવે, લોકોથી દુર જતા રહેવાની ઈચ્છા થાય, આપઘાત કરવાના વિચારો આવે તે ડિપ્રેશન છે.’, એમ ડૉક્ટર પ્રશાંત ભીમાણીએ ઉમેર્યું હતું.

તેમણે છેલ્લે ઉમેર્યું હતું કે, ‘વ્યક્તિને જ્યારે લાગે કે પ્રોબ્લેમ મહત્વનો નથી છતાં તે તેના વિશે વધુ વિચારે છે ત્યારે ચેતી જવું જોઈએ કારણકે આ ઍંગ્ઝાયટી છે. વ્યક્તિને શરીમાં અનઇઝીનેસ લાગે, બેચેની થાય પછી ફિઝિશ્યન પાસે જઈ ચેકઅપ કરાવે ત્યારે જો હાર્ટ રેટ અને બધું નોર્મલ આવે તો ચોક્કસ ત્યારે સાયકોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.’

mast rahe mann exclusive gujarati mid-day mental health health tips life and style rachana joshi