હાઇટસ હર્નિયા વધુ વકરે નહીં એ માટે લાઇફસ્ટાઇલમાં ચેન્જ જરૂરી છે

15 May, 2024 07:45 AM IST  |  Mumbai | Dr. Chetan Bhatt

લોકો મહિનાઓ સુધી ઍસિડિટીની ગોળીઓ લઈને કામ ચલાવ્યે રાખે છે એવું કરવું ન જોઈએ

પ્રતીકાત્મક તસવીર

થોડા સમય પહેલાં એક બહેન હાઇટસ હર્નિયાની તકલીફ સાથે આવ્યાં. અમારી પાસે આવ્યાં એ પહેલાં તેમને પેટની નહીં પણ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એટલે ફેફસાંના નિષ્ણાતનાં અનેક ચક્કર લગાવેલાં. ટીબીની હિસ્ટરી હોવાથી સ્વાભાવિકપણે ફેફસાંમાં જ તકલીફ હશે એવું લાગતું હતું. હાઈ રેઝોલ્યુશન કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (HRCT) કરાવેલી જેમાં ખબર પડી કે કદાચ તેમને ઊંડા શ્વાસ લેવામાં જે તકલીફ પડે છે એ હાઇટસ હર્નિયાને કારણે હોઈ શકે છે. 

સામાન્ય રીતે આવું બને નહીં. હાઇટસ હર્નિયામાં પહેલાં ઍસિડિટીની તકલીફ જોવા મળે. લોકો ઍન્ટાસિડ જેવી ગોળીઓ લઈને ટેમ્પરરી ઉકેલ લે અને પછીયે તકલીફ રહે ત્યારે નિદાન માટે આવે. સૌથી પહેલાં તો સમજી લઈએ કે હાઇટસ હર્નિયામાં થાય શું. જઠરની ઉપરની અન્નનળીનો ભાગ હર્નિએટેડ એટલે અસામાન્ય રીતે બાજુની તરફ ફૂલતો હોવાથી ડાયાફ્રામની ઉપરની તરફ પ્રેશર આવે છે. એને કારણે જો પેટ દાબીને ખાઓ તો જઠરમાં ગયેલું ફૂડ ઉપરની તરફ પાછું આવતું હોય એવું લાગે. હર્નિયા થવાનું કારણ શું છે એ પણ સમજી લેવું પડે. શ્વાસમાં તકલીફ પડવા લાગે એ હદે હર્નિએશન થયેલું હોય તો એને પાછું દવાથી રિવર્સ કરી લેવું કે તકલીફ ન આવે એવી સ્થિતિમાં લાવવાનું અઘરું છે.

જો હર્નિયાની લંબાઈ બે-ત્રણ સેન્ટિમીટર જેટલી જ હોય તો તમે એને લાઇફસ્ટાઇલમાં બદલાવ લાવીને મૅનેજ કરી શકો. એકબેઠકે ભરપેટ ખાવું નહીં. દિવસમાં ત્રણથી પાંચ નાનાં-નાનાં મીલ્સ લેવાં. રાતના સાત વાગ્યા પછી જમવું નહીં. જન્ક-ફૂડ, મેંદો, પ્રિઝર્વેટિવ્સવાળું, તીખું-તળેલું, ગરમ મસાલાવાળું ખાવાનું ન ખાવું. રાતના સૂતી વખતે પણ માથા નીચે ઊંચો તકિયો રાખવો. ખાનપાનમાં પરેજી પાળીને ઍસિડિટી ન થાય એનું ધ્યાન રાખવું. 

લોકો મહિનાઓ સુધી ઍસિડિટીની ગોળીઓ લઈને કામ ચલાવ્યે રાખે છે એવું કરવું ન જોઈએ. જો ત્રણ-ચાર મહિના સુધી સળંગ દવાઓ લેવી પડી હોય તો વધુ ઊંડું નિદાન કરાવી લેવું જોઈએ. અત્યારે આપણી બદલાયેલી ખાણી-પીણીને કારણે જ જો હર્નિયા થયો હોય તો જીવનશૈલી બદલવાથી ફરક પડી જશે, પણ જો ઍનેટોમિક ચેન્જ આવી ગયો હોય તો લક્ષણો ઉત્તરોત્તર વકરતાં રહે છે. ધારો કે લક્ષણો વકરતાં હોય તો પહેલાં એન્ડોસ્કોપી કરાવીને પરિસ્થિતિ શું છે એનું નિદાન કરાવી લેવું. ધારો કે હર્નિએશન વધુ હોય તો સર્જરી કરાવવી જરૂરી બને છે. હાઇટસ હર્નિયાના કેસમાં એન્ડોસ્કોપિક સર્જરી કરતાં લેપ્રોસ્કોપિક સર્જરી વધુ અસરકારક રહે છે. 

health tips columnists