માનસિક પીડાને ઇગ્નૉર કરનારા હકીકતમાં બીજાને દુઃખી કરતા હોય છે

07 October, 2024 04:35 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

શરીરને તાવ આવે એવી જ રીતે મગજ પણ બીમાર પડે અને એ બીમાર પડે ત્યારે એની માટે જે જરૂરી હોય એ કરવું પડે, પણ સો-કૉલ્ડ બૌદ્ધિકો પણ આ મૂર્ખામી કરે છે

પ્રતીકાત્મક તસવીર

એક નહીં, ત્રણ કિસ્સા એવા બન્યા જેને લીધે આજે આ વિષય પર વાત કરવાનું નક્કી કર્યું. એક લેડી, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને પ્રૅક્ટિકલ પણ ખૂબ. એક દિવસ તે મળવા આવી. મેન્ટલી અપસેટનેસ સાથે જીવતી એ ચાળીસી વટાવી ચૂકેલી મહિલા સાથે જે પણ વાત કરું એ બધી વાતમાં તેનો જવાબ એવો જ આવે કે આ બધી મને ખબર છે. ફાઇનલી, મેં તેને સમજાવ્યું કે તમને ડિપ્રેશનની દવા લેવાની જરૂર છે, એનો પણ જવાબ તેની પાસે રેડી હતો કે હા, મને ખબર છે, પણ મારે એ લેવી નથી અને તેણે ધરાર દવા લખવા દીધી નહીં અને પછી એ રવાના થઈ ગઈ. વાતે-વાતે રડી પડતી તે લેડીને મેનોપૉઝની અસર દેખાતી હતી, કૉર્પોરેટ જૉબમાં સંતોષ મળતો નહોતો. જીવનમાં કોઈ સાથ નહીં એટલે તેની એકલતા પણ અકબંધ હતી તો આ સિવાય પણ ડિપ્રેશન આવે એવા બીજાં પણ અનેક કારણો તેની લાઇફમાં હતાં, પણ એમ છતાં તે મનને હળવાશ આપે એવી મેડિસિન કરવા રાજી નથી. આ કિસ્સામાં જો કોઈ કારણભૂત હોય તો એ છે તેનું ડહાપણ. કોઈએ સરસ કહ્યું છે, ડાહ્યો માણસ હંમેશાં વધારે દુઃખી થાય, પણ આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે નિર્માણ થતી હોય છે ત્યારે આ ડાહ્યો માણસ પોતે દુઃખી નથી થતો, પણ બીજાને દુઃખી કરતો હોય છે, બીજાને પીડા આપે છે.

બીજો કિસ્સો કહું. એક બૅન્કર મહાશય ડિવૉર્સના રસ્તે ચાલવાના શરૂ થયા. ડિવૉર્સની પ્રક્રિયા હજી શરૂ થઈ નથી ત્યાં તો તેની લાઇફમાં બીજી લેડી આવી પણ ગઈ. હવે વાઇફ ડિવૉર્સ આપવા તૈયાર નથી તો સમયાંતરે લાઇફમાં આવેલી પેલી લેડી પણ મૅરેજ માટે પ્રેશર કરે છે. મિત્રના સૂચનથી તે મહાશય પરાણે મળવા આવ્યા હતા જે તેમની બૉડી-લૅન્ગ્વેજથી જ ખબર પડતી હતી. સલાહ આપી કે તમારે ડોપામીન એટલે કે ખુશ રાખવાનું કામ કરતાં હૉર્મોન્સ જન્મે એની માટે કેમિકલ સપોર્ટ લેવો જરૂરી છે પણ ના, તે ભાઈ માન્યા નહીં. આ વાતને ત્રણેક મહિના પસાર થઈ ગયા. હવે તેમને પોતાના બીજા ફ્રેન્ડ્સ સાથે પણ વ્યવહારો રહ્યા નથી અને લાઇફ બદથી બદતર બની ગઈ છે.

ડિપ્રેશન કે સાઇકોલૉજિકલ ડિસ્ટર્બન્સ એ ગાંડપણ નથી એવું સમજતા લોકો પણ જો એનો ઇલાજ કરાવવા માટે પૉઝિટિવ થઈને વર્તે નહીં તો પછી અભણ કે ઓછા ભણેલાને તમે શું સમજાવવાના? જેમ શરીરને તાવ આવે એવી જ રીતે મગજ પણ બીમાર પડે અને એ બીમાર પડે ત્યારે એની માટે જે જરૂરી હોય એ કરવું પડે, પણ સો-કૉલ્ડ બૌદ્ધિકો પણ આ મૂર્ખામી કરે છે. તેને ઘરમેળે કે ફ્રેન્ડ-સર્કલ દ્વારા સમજાવવાની પ્રક્રિયા થવી જોઈએ. જો એ કરવામાં ન આવે તો તે પોતે તો દુઃખી થાય જ, પણ સાથે પોતાના માનતા હોય એવા લોકોને પણ દુઃખી કરે છે.

life and style health tips mental health news mumbai news