Sunday Snacks: બોરીવલીની આ પાઉંભાજીના આ લોકો છે દિવાના

18 May, 2024 04:18 PM IST  |  Mumbai | Karan Negandhi

આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો બોરીવલીની સ્પેશિયલ મા અંજનીની પાઉંભાજી

તસવીર: ઇન્સ્ટાગ્રામ

વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.

બટર અને ચીઝથી લથબથ મસાલેદાર પાઉંભાજી આમ તો લોકો રાત્રે જમવામાં વધુ પસંદ કરતાં હોય છે, પણ આ એક વાનગી એવી છે કે ખાવાના શોખીનો તે કોઈ પણ સમયે ખાવાનું પસંદ કરે છે. આમ તો મુંબઈની ગલીઓમાં રાત્રે અનેક પાઉંભાજીની લારી જોવા મળે છે, જે ગરમા-ગરમ અને સ્વાદિષ્ટ પાઉંભાજી સર્વ કરે છે. જોકે, મુંબઈમાં કેટલીક એવી રેસ્ટોરાં પણ છે, જે તેમની પાઉંભાજી માટે જાણીતા છે.

બોરીવલી (Borivali)માં પણ આવી જ એક રેસ્ટોરાં આવેલી છે જે તેની પાઉંભાજી માટે આખા મુંબઈમાં જાણીતી છે. બોરીવલી પશ્ચિમના શિમ્પોલી રોડ પર સ્થિત આ નાનકડું, પણ પ્રસિદ્ધ ફૂડ સેન્ટર પાઉંભાજીની જૂદી-જૂદી વેરાયટી અને સ્વાદ જાણીતું છે. ‘મા અંજની પાઉંભાજી સેન્ટર’ (Maa Anjani Pav Bhaji Centre)ની ખૂબી એ છે કે તેઓ વિવિધ પ્રકારની પાઉંભાજી પીરસે છે, જેમાંથી દરેકની પોતાની વિશેષતા છે.

અહીં મળતી પાઉંભાજીનો સ્વાદ લોકોની જીભે એવો ચઢ્યો છે કે અહીં એકવાર આવ્યા પછી વારંવાર આવે છે. મસાલા અને સ્વાદના એકદમ યોગ્ય મિશ્રણને કારણે પાઉંભાજી ખાવાનો આનંદ બમણો થઈ જાય છે. રેગ્યુલર પાઉંભાજી ઉપરાંત આ જગ્યા જાણીતી છે તેની બ્લેક પાઉંભાજી અને કોલ્હાપુરી પાઉંભાજી માટે, આ અહીંની ખાસિયત છે, સાથે જ ખડા પાઉંભાજી માટે પણ અહીં લાઇન લાગે છે.

આ જગ્યાની વધુ એક ખાસિયત એ છે કે પાઉંભાજીની વિશેષતા એ છે કે અહીં પાઉંભાજીમાં ઉપયોગમાં લેવાતા મસાલાઓને ગ્રાહકની પસંદગી પ્રમાણે બદલવામાં આવે છે. ખડા પાઉંભાજી, જે અહીંની એક એવી વેરાયટી છે, જેમાં બટાકાના ટુકડા પણ રાખવામાં આવે છે અને તે સ્વાદમાં તીખી અને મસાલેદાર હોય છે. આ પાઉંભાજી ખાસ કરીને જેમને તીખું ખાવું ભાવે છે તેમના માટે પરફેક્ટ છે.

મા અંજની પાઉંભાજી માત્ર પાઉંભાજી માટે જ નહીં, પરંતુ તેની ચટણી અને એકદમ સોફ્ટ પાઉં માટે પણ જાણીતું છે. પાઉંભાજીમાં બટરનો ઉપયોગ ખૂબ જ સાફલ્યપૂર્વક કરવામાં આવે છે, જે પાઉંભાજીના સ્વાદને વધુ મજેદાર બનાવે છે. પાઉંભાજી સાથે પીરસાતું બટર અને મસાલા વાળું પાઉં સ્વાદને એક અનોખો અને મજેદાર સ્તરે લઈ જશે.

જો તમે પાઉંભાજીના સાચા શોખીન છો અને એક અનોખા સ્વાદની મજા માણવા માગતા હોવ, તો ‘મા અંજની પાઉંભાજી સેન્ટર’ બોરીવલીમાં મસ્ટ ટ્રાય ઑપ્શન છે.

તો હવે આ રવિવારની સાંજે તમારા મિત્રો અને કુટુંબ સાથે આ સ્વાદિષ્ટ પાઉંભાજીનો આનંદ લો અને તમારા રવિવારને મજેદાર બનાવો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

sunday snacks street food Gujarati food mumbai food indian food life and style borivali