નવરાત્રિના ઉપવાસમાં થ્રી-ઇન-વન બેનિફિટ્સ માટે સૂરણ જરૂર ખાજો

03 October, 2024 12:56 PM IST  |  Mumbai | Heena Patel

શરીરને જરૂરી પોષક તત્ત્વો મળી રહે, થોડું ખાધા પછી પણ લાંબો સમય એનર્જી વરતાય અને સાથે શરીરમાં કોઈ પણ સમસ્યા હોય તો ઔષધનું કામ પણ થાય એવા ટ્રિપલ બેનિફિટ માટે નોરતાંમાં સૂરણ જરૂર લેજો

સુરણનો ઉપયોગ

નવરાત્રિના ઉપવાસ દરમિયાન ફરાળમાં બટાટા, શક્કરિયાં આપણે બધા ખાતા જ હોઈએ છીએ, પણ આ બધાં કંદ કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર હોવાથી તમારી કૅલરીની ગણતરીને ઊંધી પાડી દઈ શકે છે.  ઉપવાસમાં કેટલાંક કંદમૂળ ખાવાની છૂટ હોય છે. આવું જ એક કંદમૂળ એટલે સૂરણ. અંગ્રેજીમાં એને એલિફન્ટ ફુટ યામ પણ કહેવાય છે, કારણ એ દેખાવમાં હાથીની પગની પાની જેવા શેપના હોય છે. ઉપવાસમાં બટાટા, શક્કરિયાં જેવાં કંદમૂળની સરખામણીમાં સૂરણને મોટા ભાગે અવગણવામાં આવતુ હોય છે પણ જો તમે એના ગુણ જાણશો તો ચોક્કસ નવરાત્રિના ડાયટમાં એનો ઉપયોગ કરવાનું મન થશે. માત્ર આયુર્વેદ જ નહીં, મૉડર્ન મેડિસિનને પણ આ કંદમાં અનેક ગુણો દેખાયા છે. કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના નિષ્ણાતોએ એલિફન્ટ ફુટ યામ એટલે કે સૂરણ મોટાપાને કાબૂમાં રાખવામાં તેમ જ લોહીને જાડું થતું અટકાવવામાં મદદરૂપ હોવાનું કહ્યું છે. સૂરણમાં કેટલાંક ઍન્ટિ-કોઍગ્યુલન્ટ કેમિકલ્સ છે. 
ઍન્ટિ-કોઍગ્યુલન્ટ એટલે કે લોહીને જાડું થતું અટકાવતાં કેમિકલ્સ. આયુર્વેદમાં પણ સૂરણને મેદ ઘટાડનારું ગણાવાયું છે.

સૂરણની ન્યુટ્રિશનલ વૅલ્યુ

સૂરણ ફાઇબર, વિટામિન, મિનરલ્સનો સારો સ્રોત છે. સૂરણમાં રહેલાં પોષક તત્ત્વો વિશે જણાવતાં ડાયટિશ્યન શર્મિલા મહેતા કહે છે, ‘સૂરણમાં સો ગ્રામદીઠ કેટલું ન્યુટ્રિશન હોય છે એની વાત કરીએ તો એમાં વૉટર કન્ટેન્ટ (પાણીનું પ્રમાણ) ૬૯.૫ ટકા છે, કાર્બોહાઇડ્રેટ્સ ૨૭.૯ ગ્રામ છે, ફાઇબર ૪.૧ ગ્રામ છે, એનર્જી ૧૧૮ કિલો કૅલરીઝ હોય છે. એ સિવાય એમાં પોટૅશિયમ, મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ, આયર્ન, કૅલ્શિયમ પણ હોય છે.’

ઉપવાસમાં સૂરણ કેમ ખાવું જોઈએ?

નવરાત્રિના ઉપવાસ દરમિયાન સૂરણનો ડાયટમાં સમાવેશ કરવાથી શું ફાયદા થાય છે એ વિશે જણાવતાં ૨૫થી વધુ વર્ષનો અનુભવ ધરાવતાં શર્મિલા મહેતા કહે છે, ‘સૂરણ કાર્બોહાઇડ્રેટ્સ, ડાયટરી ફાઇબર અને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે એટલે ઉપવાસમાં તમારા એનર્જી-લેવલને જાળવી રાખવામાં એ મદદરૂપ બને છે. એ સિવાય ફાઇબર આપણા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે એટલે ઉપવાસમાં વારંવાર ખાવાની ઇચ્છા ન થાય.’ 

સૂરણથી થતા ફાયદાઓ

ફક્ત ઉપવાસમાં જ નહીં, સામાન્ય દિવસોમાં પણ સૂરણનો સમાવેશ ડાયટમાં કરવો જોઈએ. આનું કારણ એ છે કે સૂરણ ખાવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ થાય છે. આ વિશે હેલ્થ કોચ શર્મિલા મહેતા વિસ્તારપૂર્વક માહિતી આપે છે. 

ડાયાબિટીઝના પેશન્ટ માટે સારું 

સૂરણ ડાયાબિટીઝના દરદીઓ માટે ફાયદાકારક હોય છે. સૂરણનો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ (૫૧ ટકા) લો હોય છે એટલે એનું સેવન કર્યા પછી બ્લડ-શુગર લેવલ અચાનકથી વધવાને બદલે એમાં 
ધીમે-ધીમે અને નિયંત્રિત વધારો થાય છે. એ સિવાય સૂરણ શરીરમાં ઇન્સ્યુલિનના પ્રોડક્શનને વધારે છે, ડાયાબિટીઝને મૅનેજ કરવામાં મદદ કરે છે. 

બૅડ કૉલેસ્ટરોલ ઘટાડે: સૂરણમાં વધુ પ્રમાણમાં ફાઇબર અને ખૂબ ઓછા પ્રમાણમાં ફૅટ હોય છે જે શરીરમાં બૅડ કૉલેસ્ટરોલને ઘટાડે છે. આમાં રહેલું ઑમેગા-થ્રી ફૅટી ઍસિડ શરીરમાં ગુડ કૉલેસ્ટરોલ લેવલને વધારવામાં મદદ કરે છે. 

વજન ઘટાડવામાં મદદરૂપ: સૂરણ લો કૅલરી ફૂડ છે. એમાં ફૅટનું પ્રમાણ સાવ નહીંવત્ છે. આમાં રહેલાં કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઇબર તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે એટલે વેઇટ મૅનેજમેન્ટમાં પણ સૂરણ મદદ કરે છે. 

પેટ સાફ રાખે: બીજું એ કે સૂરણમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે પાચનતંત્રને સુધારે છે અને કબજિયાતમાંથી રાહત આપે છે. ક્રૉનિક કબજિયાતને કારણે પાઇલ્સ અને મસાની સમસ્યા થઈ હોય તો એમાં પણ સૂરણ ખાવાથી રાહત મળે છે. સૂરણ શરીરમાં હૉર્મોનલ લેવલને મેઇન્ટેન કરવામાં મદદ કરે છે. 

પિરિયડ્સના દુખાવામાં રાહત આપેઃ ઘણી મહિલાઓને પિરિયડ્સ દરમિયાન પેટમાં દુખાવો થતો હોય છે તો એમાં પણ સૂરણ ખાવાથી રાહત મળે છે. 

શરીરની ગંદકી દૂર કરે: સૂરણ આપણા શરીર માટે એક ડિટૉક્સિફાયરનું કામ કરે છે. એ આપણાં લિવર, આંતરડાં, કિડની વગેરેમાંથી ઝેરી ટૉક્સિન્સ (શરીરમાં જમા થયેલી ગંદકી)ને બહાર કાઢીને એની હેલ્થ સારી રાખે છે. સૂરણમાં ઍન્ટિબૅક્ટેરિયલ પ્રૉપર્ટીઝ હોય છે, જે ઇન્ફેક્શનથી બચાવે છે. 

સૂરણનો ડાયટમાં સમાવેશ: ઉપવાસ હોય તો સૂરણનું ફરાળી શાક, સૂરણની ખીચડી બનાવીને ખાઈ શકો. એ સિવાય સૂરણનું સૂપ, કરી પણ બનતાં હોય છે. ઘણા લોકો સૂરણની ચિપ્સ, ફ્રાય ખાવાનું પસંદ કરતા હોય છે. સૂરણ સ્વાસ્થ્ય માટે સારું છે પણ આપણા શરીરને એનો ફાયદો મળે એ માટે એને કઈ રીતે બનાવીને ખાઈએ છીએ એ ખૂબ જરૂરી છે. એટલે કે સૂરણને માપસરના મસાલા અને ઓછા તેલમાં બનાવીને ખાવું જોઈએ. એ સિવાય સૂરણ હંમેશાં પ્રમાણસર ખાવું જોઈએ.

સૂરણ ખાતી વખતે આટલું ધ્યાન રાખજો

સૂરણ સ્વાસ્થ્ય માટે સારું છે પણ એનું સેવન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. એ વિશે માહિતી આપતાં નીતિન ગોરડિયા કહે છે, ‘સૂરણને કાચું ન ખાવું જોઈએ. એને સરખી રીતે પકાવીને જ એનું સેવન કરવું જોઈએ. ઘણી વાર સૂરણનું સેવન કર્યા પછી મોઢું આવી જાય, ગળામાં બળતરા અથવા ખંજવાળની સમસ્યા થાય છે. આવું ન થાય એ માટે લીંબુ અથવા આંબલીના પાણીમાં ધોઈને પછી એનો ઉપયોગ કરવો. છાસ નાખીને સૂરણનું શાક બનાવવાથી ખંજવાળની સમસ્યા ન આવે. જોકે અસ્થમા હોય તો છાસનો ઉપયોગ ન કરવો જોઈએ. સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે વધારે પડતા સૂરણનું સેવન કરવાથી શરીરમાં એની અવળી અસર થઈ શકે છે. કબજિયાતની સમસ્યા થઈ શકે છે. પેપ્ટિક અલ્સર એટલે કે હોજરીમાં ચાંદાં પડ્યાં હોય તેમણે સૂરણનું સેવન ન કરવું જોઈએ.’સૂરણ ખાતી વખતે આટલું ધ્યાન રાખજોસૂરણ સ્વાસ્થ્ય માટે સારું છે પણ એનું સેવન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. એ વિશે માહિતી આપતાં નીતિન ગોરડિયા કહે છે, ‘સૂરણને કાચું ન ખાવું જોઈએ. એને સરખી રીતે પકાવીને જ એનું સેવન કરવું જોઈએ. ઘણી વાર સૂરણનું સેવન કર્યા પછી મોઢું આવી જાય, ગળામાં બળતરા અથવા ખંજવાળની સમસ્યા થાય છે. આવું ન થાય એ માટે લીંબુ અથવા આંબલીના પાણીમાં ધોઈને પછી એનો ઉપયોગ કરવો. છાસ નાખીને સૂરણનું શાક બનાવવાથી ખંજવાળની સમસ્યા ન આવે. જોકે અસ્થમા હોય તો છાસનો ઉપયોગ ન કરવો જોઈએ. સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે વધારે પડતા સૂરણનું સેવન કરવાથી શરીરમાં એની અવળી અસર થઈ શકે છે. કબજિયાતની સમસ્યા થઈ શકે છે. પેપ્ટિક અલ્સર એટલે કે હોજરીમાં ચાંદાં પડ્યાં હોય તેમણે સૂરણનું સેવન ન કરવું જોઈએ.’

આયુર્વેદની દૃષ્ટિએ સૂરણનું મહત્ત્વ

સૂરણનો ઉપયોગ આયુર્વેદિક ઉપચારમાં પણ થાય છે. સૂરણનું સેવન શરીર માટે કઈ રીતે ફાયદાકારક છે એ વિશે વાત કરતાં ૩૦ વર્ષનો અનુભવ ધરાવતા આયુર્વેદના નિષ્ણાત નીતિન ગોરડિયા કહે છે, ‘સૂરણ શાક વર્ગની અંતર્ગત આવનારી વનસ્પતિ છે. કંદમૂળમાં સૂરણને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. સૂરણ બે પ્રકારનાં હોય છે. એક, જેની ખેતી કરવામાં આવે છે અને બીજો, જે જંગલમાં ઊગી નીકળે છે. જંગલી સૂરણનો ઉપયોગ ઔષધીમાં થાય છે, જ્યારે ખેતી કરીને ઉગાડવામાં આવે એનો ઉપયોગ શાકભાજી તરીકે થાય છે. સૂરણ પચવામાં હળવું હોય છે. આયુર્વેદમાં જે છ રસ માને છે એમાંથી એનો સ્વાદ તીખા અને તૂરામાં આવે છે. ભૂખ ન લાગતી હોય, પાચન નબળું હોય, કબજિયાત હોય, પેટમાં દુખાવો હોય, પેટમાં ગોળો ચડી જતો હોય, લિવરની બીમારી હોય, નૉનબ્લીડિંગ પાઇલ્સની સમસ્યા હોય એ બધા જ પ્રકારની બીમારીમાં સૂરણ ખાવાથી ફાયદો મળે છે. એટલે જ અમે જેમને કબજિયાત અને પાઇલ્સની સમસ્યા હોય તેમને સૂરણવાટિકાની ગોળી લેવાની સલાહ આપતા હોઈએ છીએ. એ સિવાય શરદી, ઉધરસ, અસ્થમા જેવી બીમારીમાં પણ સૂરણ ખાવાથી લાભ થાય છે. સ્ત્રીઓને માસિક ન આવતું હોય અથવા તો માસિક દરમિયાન પેટમાં દુખાવો થતો હોય તો સૂરણ ખાવાથી રાહત મળે. સાંધાના દુખાવાની સમસ્યા હોય તો સૂરણને પીસીને એમાં ઘી અને મધ ભેળવી લેપ પણ કરી શકાય.’ 

health tips indian food mumbai food diabetes life and style navratri festivals mumbai ayurveda