દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીનો સંગમ ગણાતાં આ માતાજી મોતથી બચાવનારાં છે એટલે તેમનું નામ પડ્યું શ્રી મરુબાઈ

28 September, 2024 12:53 PM IST  |  Mumbai | Jigisha Jain

ચાર દિવસમાં જ શક્તિની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે ત્યારે આજે વાત કરીએ મુંબઈના ૪૦૦ વર્ષ જૂના માતાજીના એક મંદિરની. માટુંગા નામ જે દેવીમા પરથી પડ્યું છે એવા શ્રી મરુબાઈ ગાંવદેવી મંદિરમાં બિરાજમાન દેવી સ્વયંભૂ હોવાનું કહેવાય છે

અષ્ટભૂજા આદિમાયા એ લક્ષ્મી એટલે ધન, સરસ્વતી એટલે વિદ્યા અને કાલિકા એટલે શક્તિની દેવી છે. એટલે બ્રિટિશરોએ મંદિરના આસપાસના ૨૦૦ પ્લૉટને એજ્યુકેશન પર્પઝ માટે આરક્ષિત કર્યા હતા.

માટુંગામાં આવેલું આ મંદિર બહારથી અન્ય સામાન્ય મંદિરો જેવું જ છે પણ એનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરશો તો ખબર પડશે કે માતાજીના આ મંદિર પાછળ ૪૦૦ વર્ષનો ઇતિહાસ છુપાયેલો છે. મરુબાઈ ગાંવદેવી ધનની દેવી લક્ષ્મી, વિદ્યાની દેવી સરસ્વતી અને શક્તિની દેવી કાલિકાનું રૂપ છે. આ મંદિરમાં દેવીની જે મૂર્તિ છે એ સ્વયંભૂ હોવાનું મનાય છે. મરુબાઈ મરુબાઈ ટેકડી ગાવની ગામદેવી છે. આ ગામના નામ પરથી જ આજના માટુંગાનું નામ પડ્યું છે.

પૌરાણિક માન્યતા

મરુબાઈ ગાંવદેવી સાથે સંકળાયેલી પૌરાણિક કથા વિશે વાત કરતાં મરુબાઈ ટ્રસ્ટના મૅને​જિંગ ટ્રસ્ટી અનિલ ગવાંડે કહે છે, ‘બાળક પર જ્યારે કોઈ આંચ આવે ત્યારે તેની રક્ષા કરવા માટે માતા હંમેશાં હાજર થઈ જાય છે. મરુબાઈ ગાંવદેવીએ પણ મરુબાઈ ટેકડી ગામના લોકો પર સંકટ આવ્યું ત્યારે તેમની રક્ષા કરી હતી. એક સમયની વાત છે જયારે મુંબઈ સાત ટાપુઓમાં વહેંચાયેલું. હાલનું જે માટુંગા છે એ એ સમયે મરુબાઈ ટેકડી ગાવ હતું. ગામમાં એક તળાવ હતું અને એના કિનારે પીપળના એક વૃક્ષ નીચે દેવીની સ્વયંભૂ મૂર્તિ હતી. તળાવનું પ્રદૂ​ષિત પાણી પીવાથી ગામના લોકો કૉલેરા જેવા પાણીજન્ય રોગોનો શિકાર બનવા લાગ્યા. એ સમયે ગામના લોકો દેવીના શરણે ગયા. તેમણે દેવી પાસે ‘મૃત્યુથી બચાવો’ની આજીજી કરી. ગામના લોકોએ આ સ્વયંભૂ મૂ​ર્તિ પર જળાભિષેક કરીને પાણી પીવાનું શરૂ કર્યું. જળાભિષેકથી પાણી શુદ્ધ થઈ જાય છે એવી તેમની માન્યતા હતી. એ પછીથી આ સ્વયંભૂ મૂર્તિ મરુબાઈ (મોતથી બચાવનારી દેવી) તરીકે ઓળખાવા લાગી. અહીં ગામના લોકોએ નાનું મંદિર પણ બનાવ્યું. એ રીતે મરુબાઈ ગામના લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયાં.’

અત્યારના મંદિરનો ઇતિહાસ

હાલમાં જયાં મરુબાઈ ગાંવદેવીનું મંદિર છે એ એનું ઓરિનિજનલ સ્થાન નથી, આ મૂર્તિને અહીં લાવીને સ્થાપિત કરવામાં આવી છે. આ વિશે વાત કરતાં અનિલ ગવાંડે કહે છે, ‘૧૮૮૮ની વાત છે. એ સમયે બ્રિટિશરોનું રાજ હતું. મુંબઈને ઍડ્મિનિસ્ટ્રેટિવ અને કમર્શિયલ હેતુ માટે થઈને વિકસાવવામાં આવી રહ્યું હતું. રસ્તાના નિર્માણ આડે મરુબાઈનું મંદિર આવી રહ્યું હતું. હાલમાં જ્યાં કિંગ્સ સર્કલ છે ત્યાં મરુદેવીનું ઓરિજિનલ મંદિર હતું. એ પછી બ્રિટિશરોએ માટુંગામાં મરુબાઈનું નાનું મંદિર બંધાવ્યું. મરુબાઈને એની ઓરિજિનલ જગ્યા પરથી ખસેડીને અહીં લાવવા માટે સ્થાનિક લોકોનો સખત વિરોધ હતો. મૂર્તિને અહીંથી ખસેડવામાં આવશે તો દેવીના રોષનો સામનો કરવો પડશે એવો તેમનામાં ભય હતો. જોકે તેમ છતાં બ્રિટિશરો મરુબાઈની મૂર્તિ શિફ્ટ કરીને જ રહ્યા. બ્રિટિશરોએ જે મંદિર બાંધેલું એ સિમેન્ટનું નાનુંએવું મંદિર હતું. હાલમાં જે મોટું મંદિર દેખાય છે એ મરુબાઈ ટ્રસ્ટે બંધાવેલું છે. હજી વર્ષ ૨૦૦૦માં જ એને રીડેવલપ કરવામાં આવ્યું છે. આ નવું મંદિર આરસના પથ્થરનું છે. જૂના મંદિરને તોડ્યા વગર આ નવું મંદિર બંધાયું છે.’

માટુંગામાં મરુબાઈ મંદિરની આસપાસ ઘણી શૈક્ષણિક સંસ્થાઓ છે. એના તાર કઈ રીતે દેવી સાથે જોડાયેલા છે એ વિશે રસપ્રદ માહિતી આપતાં અનિલ ગવાંડે કહે છે, ‘રસ્તાના નિર્માણ અગાઉ સર્વે માટે જ્યારે કેટલાક બ્રિટિશ કર્મચારીઓ આવ્યા ત્યારે તેમણે ગામના લોકોને મરુબાઈ વિશે પૂછ્યું હતું. એ સમયે ગામના લોકોએ તેમને સમજાવ્યું હતું કે મરુબાઈ સ્વયંભૂ અષ્ટભૂજા આદિમાયા છે. આ લક્ષ્મી, સરસ્વતી અને કાલિકાનું રૂપ છે. લક્ષ્મી એટલે ધન, સરસ્વતી એટલે વિદ્યા અને કાલિકા એટલે શક્તિની દેવી છે. વિદ્યા એટલે કે એજ્યુકેશનનું નામ સાંભળીને જ બ્રિટિશરોએ મંદિરના આસપાસના ૨૦૦ પ્લૉટને એજ્યુકેશન પર્પઝ માટે આરક્ષિત કર્યા હતા. એ પછી સંસ્થાઓએ આગળ આવીને પ્લૉટની ખરીદી ચાલુ કરી. એટલે જ તમે જોશો તો મરુબાઈ મંદિરની આસપાસ ઘણી સ્કૂલ-કૉલેજ છે.’

મૂર્તિની વિશેષતા

મરુબાઈ ગાંવદેવી મંદિરમાં બિરાજમાન દેવીની મૂર્તિ વિશે માહિતી આપતાં અનિલ ગવાંડે કહે છે, ‘મંદિરમાં સ્થાપિત મરુબાઈ દેવીની મૂર્તિ બે ફીટની છે. પથ્થરની મૂર્તિને સોનાના મુખોટાથી કવર કરવામાં આવી છે. દૂધ, દહીં, ઘી, મધ, પાણીનો અભિષેક કરવામાં આવે ત્યારે મૂર્તિને નુકસાન ન પહોંચે એ માટે એને કવર કરવામાં આ‍વી છે. આ મંદિર દરરોજ સવારે પાંચ વાગ્યે ખૂલી જાય છે. દેવીના અભિષેક પછી સુંદર સાડી અને ઘરેણાંઓથી શણગાર કરવામાં આવે છે. એ પછી છ વાગ્યે આરતી કરવામાં આવે છે. બપોરે સાડાબાર વાગ્યે મંદિર બંધ થઈ જાય છે. એ પછી સાંજે સાડાચાર વાગ્યે ખૂલે છે. રાત્રે આઠ વાગ્યે દિવસની છેલ્લી આરતી થાય છે. રાત્રે દસ વાગ્યે મંદિર બંધ થઈ જાય છે.’

તહેવારોની ઉજવણી

મરુબાઈ ગાંવદેવી મંદિરમાં ઊજવાતા તહેવારો વિશે માહિતી આપતાં અનિલ ગવાંડે કહે છે, ‘અમારે ત્યાં ખૂબ જ ભક્તિભાવપૂર્વક શારદીય નવરાત્રિ ઊજવવામાં આવે છે. આખા મંદિરને ફૂલો અને લાઇટિંગથી શણગારવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન ભજન-માતાની ચોકીનો કાર્યક્રમ, હળદી-કુમકુમ સમારંભ, કુમારી પૂજા, અષ્ટમીનો હવન તેમ જ શરદપૂર્ણિમાના દિવસે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે. અહીં ચૈત્રી નવરાત્રિની પણ આવી જ રીતે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે. ચૈત્ર પૂર્ણિમાના દિવસે દર વર્ષે ધામધૂમથી પાલખી ઉત્સવ ઊજવવામાં આવે છે. દેવીની નાની ઉત્સવ મૂર્તિનો શૃંગાર કરીને એને પાલખીમાં બેસાડવામાં આવે છે. આ પાલખી માટુંગાના વિવિધ વિસ્તારમાંથી પસાર થાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાય છે. પાલખી યાત્રાના સમાપન પછી શ્રદ્ધાળુઓ માટે ભંડારો હોય છે. એવી માન્યતા છે કે માતાજીની પાલખીની નીચેથી પસાર થવાથી વ્યાધિ દૂર થાય છે. મરુબાઈ ટ્રસ્ટ તરફથી જન્માષ્ટમીની ઉજવણી પણ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. મંદિરની સામે એક પછી એક એમ ૫૦ મટકીઓ બાંધવામાં આવે છે. ગોવિંદાઓનો ઉત્સાહ વધારવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી એનું આયોજન કરવામાં આવે છે. એ સિવાય આ મંદિરમાં દર મહિને પૂનમના દિવસે નવચંડી હવન કરવામાં આવે છે.’

સમાજસેવાનું કામ

મરુબાઈ ગાંવદેવી ટ્રસ્ટ તરફથી સમાજસેવાનું કામ પણ કરવામાં આવે છે. આ વિશે માહિતી આપતાં અનિલ ગવાંડે કહે છે, ‘મરુબાઈ ગામદેવી મંદિર તરફથી છેલ્લા એક વર્ષથી રોટી બૅન્ક ચલાવવામાં આવે છે. રોટલી, શાક, દાળ-ભાત, અથાણું, લાડવાનાં પૅકેટ્સ તૈયાર કરવામાં આવે છે અને એનું વિતરણ તાતા હૉસ્પિટલના કૅન્સર પેશન્ટ્સ અને તેમના પરિવારોમાં કરવામાં આવે છે. એક ડોનરે મંદિરને રોટલી બનાવવાનું મશીન દાનમાં આપ્યું હતું. એ પછી અમે રોટલી સાથે બીજી વસ્તુ પૅક કરીને ફૂડ પૅકેટ્સ વહેંચવાનું શરૂ કર્યું હતું. એ સિવાય મંદિર ટ્રસ્ટ દ્વારા યોગ ક્લાસિસ પણ ચલાવવામાં આવે છે. મહિને ૫૦૦ રૂપિયાના સસ્તા દરે અહીં લોકોને યોગ કરાવવામાં આવે છે.’

culture news religious places matunga navratri columnists life and style