Sharad Purnima 2024: 16 કે 17 ઑક્ટોબર? ક્યારે છે શરદ પૂર્ણિમા? કયા મુહૂર્તમાં કરી શકશો પૂજા?

14 October, 2024 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Sharad Purnima 2024: આ વર્ષે પૂર્ણિમાની તિથિ 16 ઓક્ટોબરે રાત્રે 08.40 કલાકે શરૂ થવાની છે. આ તિથિ બીજે દિવસે 17 ઓક્ટોબરે સાંજે 04:55 ક્લાક સુધી રહેશે

શરદ પૂર્ણિમા માટેની પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)

શારદીય નવરાત્રિ સંપન્ન થઈ ગઈ છે. ત્યારબાદ હવે શરદ પૂર્ણિમા (Sharad Purnima 2024)ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર વર્ષે અશ્વિનમહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ શરદ પૂર્ણિમાની ઊજવણી કરવામાં આવે છે. 

આ વર્ષે ક્યારે છે શરદ પૂર્ણિમા? તિથિ અને સમય જાણો 

શાસ્ત્રોમાં એવી કથા મળી આવે છે કે ભગવાન કૃષ્ણએ શરદ પૂર્ણિમા (Sharad Purnima 2024)ના દિવસે ગોપીઓ સાથે રાસ ખેલ્યો હતો. આ જ કારણોસર આ રાત્રિ રાસ પૂર્ણિમા તરીકે પણ પ્રચલિત થઈ છે. આ વર્ષે પૂર્ણિમાની તિથિ 16 ઓક્ટોબરે રાત્રે 08.40 કલાકે શરૂ થવાની છે. સાથે જ ખ્યાલ રહે કે આ તિથિ બીજે દિવસે 17 ઓક્ટોબરે સાંજે 04:55 ક્લાક સુધી રહેશે. આમ જોતાં આ વર્ષે શરદ પૂર્ણિમાનો તહેવાર 16મી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવનાર છે. આ દિવસે ચંદ્રોદયનો સમય સાંજે 05:05નો રહેશે.

એવું કહેવામાં આવે છે કે હંમેશા પ્રદોષ કાળમાં ચંદ્રની પૂજા કરવામાં આવે તો તે શુભ ફળ આપે છે. શરદ પૂર્ણિમાને દિવસે ચંદ્ર ૧૬ કલાઓએ ખીલેલો હોય તેવો ભાસે છે. વળી એવી પણ માન્યતા લોકોમાં પ્રવર્તે છે કે આ દિવસે મા લક્ષ્મી પોતે અવની પર આવતાં હોય છે. 

એવું પણ કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાત્રિએ જે ચંદ્ર ખીલે છે તેની ચાંદનીમાં કેટલાક એવા તત્વો હાજર હોય છે જેનો આપણાં તન અને મન બંને પર સકારાત્મક અસર કરે છે. શરદ પૂર્ણિમાના ચંદ્રના કિરણો અમૃતથી ભરપૂર હોઈ આ રાત્રે દૂધ અને ચોખાથી તૈયાર કરવામાં આવેલ ખીર આરોગવામાં આવે છે. 

શરદ પૂર્ણિમાની રાત્રે આટલું અવશ્ય કરવું જોઈએ

શરદ પૂર્ણિમા (Sharad Purnima 2024)ની રાત્રે ચંદ્રદેવની આરાધના કરવાનું મહાત્મ્ય છે, આ દિવસે ચંદ્રને મંત્રોચ્ચાર સાથે જળ અર્પણ કરવું જોઈએ. આ દિવસે દેવી લક્ષ્મી પોતે ધરતી પર આવતાં હોવાની પણ માન્યતા હોઇ તેમની પૂજા-અર્ચના કરવાનું પણ વિશેષ મહાત્મ્ય છે. ઘરમાં શુદ્ધ ઘીનો દીવો કરવો જોઈએ. દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના મંત્ર જાપ સાથે યથાશક્તિ દાનનું પણ આ દિવસે મહાત્મ્ય છે.

અવશ્ય ધ્યાન રાખજો આટલી બાબતોનું 

શરદ પૂર્ણિમા (Sharad Purnima 2024)ના દિવસે સત્વશીલ તેમ જ પોઝિટિવ વાતાવરણ હોવાથી તામસિક ભોજનનો ત્યાગ કરવો જોઈએ. જેમકે લસણ અને ડુંગળીનું સેવનં ન થાય તેવા પર્યટન કરવા. બ્લેક રંગનો આ દિવસે બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. માત્ર સકારાત્મક વિચારવું. બને એટલો ક્રોધ પર કાબૂ મેળવીને દુર્ગુણોથી બચવું જોઈએ. આ દિવસે ચંદ્ર દેવને જળ ચડાવવાથી તેમ જ તેમનાં મંત્રોચ્ચાર કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ વધે છે. અને દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે.

(ડિસ્ક્લેમર: ઉપરોક્ત માહિતી માન્યતા અને લોકવાયકાઓ આધારિત હોઈ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આની પુષ્ટિ કરતું નથી)

festivals navratri culture news astrology hinduism life and style