Saphala Ekadashi 2024: દરેક ક્ષેત્રમાં મળશે ઝળહળતી સફળતા, મુહૂર્ત જાણી આ રીતે કરજો સફલા એકાદશી

05 January, 2024 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Saphala Ekadashi 2024: આ એકાદશીના દિવસે ભક્તો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા, દરેક ક્ષેત્રમાં સફળતા મળે એ માટે ઉપવાસ પણ રાખતા હોય છે.

ભગવાન વિષ્ણુની ફાઈલ તસ્વીર

 

હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું ખૂબ જ મહત્વ રહેલ છે. આ તિથિઓને દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. એકાદશીના દિવસે ભક્તો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ પણ રાખતા હોય છે. એમાં પણ સફલા એકાદશી (Saphala Ekadashi 2024)નું તો મહાત્મ્ય ખૂબ જ હોય છે. સફલા એકાદશી પૌષ મહિનામાં ઉજવવામાં આવે છે. તેનું નામ જ સૂચવે છે કે સફલા એકાદશીનું વ્રત કરવાથી ભક્તને જીવનના દરેક રીતે, દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.

શું છે આ વર્ષનું સફલા એકાદશીનું શુભ મુહૂર્ત?

તમને જણાવી દઈએ કે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 07 જાન્યુઆરી 2024ના રોજ સવારે 12:41 કલાકે શરૂ થઈ રહી છે. અને 08 જાન્યુઆરી 2024ના રોજ સવારે 12:46 કલાકે આ તિથી સમાપ્ત થશે. માટે જ નોંધી રાખો કે ઉદય તિથિ અનુસાર સફલા એકાદશી (Saphala Ekadashi 2024)નું વ્રત 07 જાન્યુઆરી એટલે કે રવિવારના રોજ ઉજવવમાં આવશે. 

સફલા એકાદશી શા માટે?

હિન્દુ માન્યતાઓ અનુસાર સફલા એકાદશી વ્રતના મહિમાને કારણે ભગવાન વિષ્ણુએ રાક્ષસ લુંપકને તેના પાપોમાંથી મુક્ત કર્યો હતો. અને તે ફરીથી તેના પિતા સાથે રાજ્યમાં રહેવા લાગ્યો હતો. આ બધી જ ઘટનઆ જાણીને તેના પિતાએ પણ તેને રાજ્યની જવાબદારી સોંપી હતી અને પોતે હરિ ભજન કરવા જંગલમાં ગયા હતા. 

સફલા એકાદશી (Saphala Ekadashi 2024)ના દિવસે ભગવાન અચ્યુત કે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ સાથે જ આ દિવસે શ્રી હરિની પણ પૂજા થતી હોય છે. એવી પણ માન્યતાઓ છે કે સફલા એકાદશીની રાત્રે જાગરણ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે ભક્તો પૂજા, હવન અને ભંડારાનું આયોજન કરે છે.

સફલા એકાદશીને દિવસે કઈ રીતે પૂજા કરવી?

સફલા એકાદશી (Saphala Ekadashi 2024)ના દિવસે સૌ પ્રથમતો સ્નાન કરીને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા માટે તૈયારીઓ કરવી જોઈએ.  ખાસ કરીને આ દિવસએ ધૂપ, દીપ, ફળ અને પંચામૃત વગેરે ભગવાનને અર્પણ કરવામાં આવે છે. 

એવું પણ કહેવાય છે કે આ દિવસે રાત્રે જાગરણ કરવાથી ખૂબ જ લાભ થાય છે. આ સાથે જ શ્રી હરિના કે ભગવાન વિષ્ણુના નામની સ્તુતિનો પાઠ કે શ્રવણ કરવામાં આવે છે. સફલા વ્રતના બીજા દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. તેમ જ આ વ્રત અનુસાર દાન આપીને ઉપવાસની પૂર્ણાહુતિ કરવી જોઈએ.

પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી સફલા એકાદશી તેના નામની જેમ જ વ્રત કરનારને સફળતા અપાવે છે. આ વ્રત રાખવાથી નોકરી, વેપાર અને શિક્ષણ સંબંધિત ક્ષેત્રોમાં સફળતા મળે છે.

hinduism astrology culture news