03 October, 2024 06:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માતા શૈલપુત્રી
આજથી આરાધના અને ઉત્સવના મહાપર્વ એવી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં પ્રથમ નોરતે માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે માતા શૈલપુત્રી હિમાલયનાં દીકરી છે, જેમને સતીનો દ્વિતીય અવતાર પણ કહેવામાં આવ્યા છે. શિવજીની અર્ધાંગિની સતી માતા જ્યારે પિતા દક્ષ પ્રજાપતિના હવનમાં ગયા ત્યારે હવનમાં બધાની હાજરીમાં તેમણે પોતાના પરમેશ્વર શિવજીનું અપમાન થયું અને માતા સતી ખિન્ન થયાં અને કૈલાસ પાછા ફરવાને બદલે તેમણે એ જ યજ્ઞમાં પોતાને સમર્પિત કરી દીધાં. સમાચાર મળ્યા પછી શિવજીએ તેમના ગણ વીરભદ્રને એ યજ્ઞમાં મોકલ્યો જેણે સતીના મૃત્યુ અને શિવના અપમાનને કારણે ક્રોધિત થઈ દક્ષ પ્રજાપતિને નતમસ્તક કર્યો અને યજ્ઞનો વિધ્વંસ કર્યો. નંદીશ્વર વીરભદ્રએ યજ્ઞ કરાવતાં બ્રાહ્મણોને શ્રાપ આપ્યો કે તેઓ તેમની વિદ્યા થકી માત્ર જીવન ગુજરાન જ ચલાવી શકશે, હવે તેઓ ક્યારેય (નવું) જ્ઞાન પ્રાપ્ત કરી શકશે નહીં તો દક્ષ પ્રજાપતિને તેના અહંકારને કારણે શ્રાપ આપ્યો કે તે હવે પછીના જન્મમાં બકરા તરીકે જન્મશે અને આ જીવનમાં તેમણે હું-હું કર્યું પણ હવે એ આવતા જન્મમાં આખી જિંદગી બેં-બેં કરશે. અપરાધિત દક્ષ પ્રજાપતિ તથા બ્રાહ્મણોને શ્રાપનું પરિણામ ભોગવવું પડ્યું.
સતીના આત્મદાહથી ક્રોધે ભરાયેલા શિવજીએ સતીનો મૃતદેહ પોતાના ખભે લઈને તાંડવ કર્યું, જેને શાંત કરવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના મૃતદેહના ટુકડા કર્યા. આ દેહના ટુકડા જ્યાં-જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠો રચવામાં આવી.
સમગ્ર ઘટના પછી શિવ સમાધિસ્થ થઈ ગયા, પણ શિવજીએ એ સમયે કરેલા તાંડવ નૃત્યથી તેમના પગની જે છાપ પડી એનાથી શ્રીયંત્રની રચના થઈ. કેટલાક શાસ્ત્રજ્ઞાતાઓ અનુસાર આજનું શ્રીનગર એ સ્થાન છે જ્યાં શ્રીયંત્ર રચાયું હતું. સતીનો હિમાલય પર્વતની પુત્રી તરીકે પુન:જન્મ થયો, જે શૈલપુત્રી તરીકે ઓળખાયાં. માતા શૈલપુત્રીએ શિવજીને પતિ તરીકે પામવા કઠોર તપ કર્યું અને તેમને પામ્યાં. તેમની ધીરજ અને અથાગ સાધનાને કારણે શૈલપુત્રીની સાધના કરવાથી
સાધકમાં સ્થિરતા અને ધૈર્યના ગુણો વિકસે છે.
શૈલપુત્રીનુ વાહન વૃષભ છે. તેમના એક હાથમાં ત્રિશૂળ અને એક હાથમાં કમળ છે. નવરાત્રિના પહેલા દિવસે તેમની આરાધના એટલા માટે કરવામાં આવે છે કે સાધનાના માર્ગમાં ધીરજ અને સતત પરિશ્રમ આવશ્યક છે, જેના વિના સિદ્ધિ શક્ય નથી. શૈલપુત્રીના હાથનું ત્રિશૂળ ત્રિદોષ સામેના વિવેકનું પ્રતીક છે અને હાથમાં રહેલું કમળ સ્થિરતાથી સિદ્ધિની પ્રાપ્તિનું પ્રતીક છે.