TMKOC: બાવરીએ સેટ પર થતા અત્યાચાર વિશે કર્યા ખુલાસા, દિશા વાકાણી વિશે કહી આ વાત

12 June, 2023 06:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મોનિકા ભદોરિયા (Monika Bhadoriya Opens Up About Atrocities On Set )એ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે, શૉના પ્રોડક્શન હેડ અવારનવાર કલાકારો સાથે ઝઘડતા હતા અને એકવાર તેમણે એક કલાકાર પર હાથ પણ ઉઠાવ્યો હતો.

ફાઇલ તસવીર

આ દિવસોમાં કૉમેડી સિરિયલ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashmah) સતત વિવાદોમાં ઘેરાયેલી છે. ખરેખર, શૉના ઘણા સભ્યોએ નિર્માતા અસિત મોદી (Asit Kumarr Modi) પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. હાલમાં જ જેનિફર મિસ્ત્રી બંસીવાલે (Jennifer Mistry Bansiwal) શૉના નિર્માતા અસિત મોદી પર જાતીય સતામણી સહિતના અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. જેનિફર બાદ મોનિકા ભદોરિયા (Monika Bhadoriya) અને પ્રિયા આહુજાએ પણ આવા જ ખુલાસા કર્યા છે. છેલ્લા કેટલાક સમયથી અગાઉ શૉમાં `બાવરી`નું પાત્ર ભજવનાર મોનિકા ભદોરિયા સતત અસિત પર ગંભીર આરોપો લગાવી રહી છે. ફરી એકવાર તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

મોનિકા ભદોરિયા (Monika Bhadoriya Opens Up About Atrocities On Set)એ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે, શૉના પ્રોડક્શન હેડ અવારનવાર કલાકારો સાથે ઝઘડતા હતા અને એકવાર તેમણે એક કલાકાર પર હાથ પણ ઉઠાવ્યો હતો. તેણે સેટ પર ઝેરી સંસ્કૃતિ માટે મોનિકાએ તેમને દોષી ઠેરાવ્યા છે. મોનિકાએ પ્રોડક્શન હેડ સોહેલ રામાણી પર સેટ પર એક અભિનેતા પર ખુરશી ફેંકવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, “તે દરેક સાથે અસભ્ય વર્તન કરે છે અને કેટલીકવાર આ વર્તનને કારણે તે કલાકારો સાથે સંઘર્ષમાં આવે છે. ભલે તે કલાકારો સાથે ઘણા ઝઘડાઓમાં ફસાયેલો હોય, તેમ છતાં તે હજી પણ પ્રોડક્શન હેડ છે અને આ પણ એક કારણ છે કે કલાકારો શૉ છોડી રહ્યા છે.”

મોનિકાએ ખુલાસો કર્યો હતો કે સોહેલે સેટ પર એક કલાકાર સાથે મારપીટ પણ કરી હતી. મોનિકાએ કહ્યું કે, “એક ઍક્ટર હતો જેને તેની માતા માટે દવાઓ મોકલવી પડી અને તે સેટ પર મોડો પહોંચ્યો હતો. સોહેલ તેના પર બૂમો પાડવા લાગ્યો અને તેણે પણ પોતાનો હાથ ઊંચક્યો હતો અને ઘણો હંગામો થયો હતો. હું આ ઘટનાની પ્રત્યક્ષ સાક્ષી છું.” જોકે, મોનિકાએ અભિનેતાનું નામ જાહેર કર્યું ન હતું અને તેણે કહ્યું હતું કે અભિનેતાએ હવે શૉ છોડી દીધો છે.

મોનિકાએ કહ્યું કે, સોહેલ સેટ પર ખુરશીઓ ફેંકતો હતો. તેના પર બે વર્ષનો પ્રતિબંધ હતો અને હવે તે પાછો ફર્યો છે. જ્યારે શૉમાં `દયા`ની ભૂમિકા ભજવનાર અભિનેત્રી દિશા વાકાણી વિશે પૂછવામાં આવ્યું કે શું તેમની સાથે પણ આવું વર્તન કરવામાં આવ્યું હતું? આના પર મોનિકાએ જવાબ આપ્યો `કદાચ!`. અભિનેત્રીએ કહ્યું કે તે સ્પષ્ટપણે આ અંગે કોઈ ટિપ્પણી કરી શકે નહીં. જોકે, મોનિકાએ કહ્યું કે, “જો કોઈ તમને આટલી સારી ફી ચૂકવીને સેટ પર બોલાવવા માગે છે અને તેમ છતાં તમે આવવા માગતા નથી તો બીજું શું કારણ હોઈ શકે?”

આ પણ વાંચો: TMKOC: જેનિફર મિસ્ત્રીએ કર્યો વધુ એક ખુલાસો, જણાવી ટપુ સેનાની આપવીતી

અસિત મોદી વિશે વાત કરતાં મોનિકા ભદૌરિયાએ કહ્યું કે, તે માત્ર તેમની ટીમને સપોર્ટ કરે છે કલાકારોને નહીં. આ પહેલાં પણ મોનિકાએ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ની ટીમ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સેટ પર તેમનું એટલું બધું શોષણ થતું હતું કે તેણે આત્મહત્યા કરવાનો વિચાર પણ કર્યો હતો.

 

asit kumar modi taarak mehta ka ooltah chashmah television news indian television entertainment news