TMKOC: 6 વર્ષ બાદ ફરી શોમાં દેખાશે દયાબહેન? જાણો શું છે હકીકત

19 July, 2023 04:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હાલના એપિસોડમાં દયાબેનની પરત ફરશે એવી હિંટ આપવામાં આવી હતી.

દિશા વાકાણી (ફાઈલ તસવીર)

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) ટીવી પરનો એક જાણીતો કોમેડી શો છે. જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને પસંદ આવે છે. આ શોના દરેક પાત્રો ખાસ છે. જોકે, લાંબા સમયથી આ શોના તમામ પાત્રોએ શોને અલવિદા કહી કહી દીધો છે. જૂના પાત્રોને સ્થાને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે.

લોકપ્રિય ટેલિવિઝન શો `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (TMKOC) ના નિર્માતાઓએ તાજેતરના જ એક એપિસોડમાં તેમના ચાહકોને ખુશ કરનારા સમાચાર આપ્યા હતા. વાત એમ છે કે હાલના એપિસોડમાં દયાબેનની પરત ફરશે એવી હિંટ આપવામાં આવી હતી.

શોમાં દયાબેનના ભાઈ સુંદર બધાને આનંદ સાથે દયાબેન નવરાત્રિ અને દિવાળી પર મુંબઈ પરત ફરી રહ્યાં હોવાનું કહી રહ્યા હતા. જોકે, આ જાહેરાત બાદ ચાહકો અને દર્શકોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે.

આ પ્રકારની જાહેરાત બાદ શોના ફેન્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઉત્સાહ સાથે વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે. શોમાં દયાબેનની ભૂમિકામાં અભિનેત્રી દિશા વાકાણી ફરીથી આવે તેવી દર્શકો તરફથી માગણી કરવામાં આવી રહી છે. ઘણા ચાહકો તો ત્યાં સુધીની વાત કરી રહ્યા છે કે જો દયાબેનના રોલમાં નવી અભિનેત્રીને આવશે તો તેઓ આ શો જોવાનું જ બંધ કરી દેશે. આમ લોકોની કોમેન્ટ પરથી દયાબહેન માટેનો પ્રેમ જોઈ શકાય છે.

ઉલ્લેખનીય છે કે અભિનેત્રી દિશા વાકાણી શરૂઆતથી જ આ શોમાં દયાબેનનો રોલ કરતી આવી છે. વર્ષ 2017માં તેણે મેટરનિટી લીવ લીધી હતી. કમનસીબે આ લીવ પછી દયાબહેન ફરીથી શોમાં જોવા મળી નથી. આ વાતને 6 વર્ષ થઈ ગયા છે. એમ કહી શકાય કે આ અભિનેત્રીના ચાહકો ફરીથી તેના કમબેકની રાહ જોઈ રહ્યા છે.

જો આ શોના નિર્માતાની વાત કરવામાં આવે તો અગાઉ એક ઇન્ટરવ્યૂમાં અસિત મોદીએ જણાવ્યું હતું કે તેઓ ઘણાં વર્ષોથી દિશાના શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. હવે તેઓએ દયાબેનના રોલ માટે નવી અભિનેત્રીની શોધ શરૂ કરી છે. પરંતુ દયાબેનની જગ્યા અન્ય એક્ટ્રેસને મૂકવી સરળ નથી.

ખરેખર હવે એ જોવું રહ્યું કે શું અભિનેત્રી દિશા વાકાણી દયાબેનનો રોલ કરવા માટે શોમાં પરત ફરે છે કે પછી શોના નિર્માતા આ રોલ માટે નવી જ કોઈ અભિનેત્રીને લાવે છે.

હાલ આ ટીવી શો ઘણા સમયથી વિવિધ પ્રકારની વિવાદાસ્પદ મુશ્કેલીઓમાં પડેલો જોવા મળી રહ્યો છે. અનેક જૂના કલાકારોએ શો છોડી દીધો છે. જેને કારણે દર્શકોનો રસ ઓછો થઈ ગયો છે. શોના નિર્માતા અસિત કુમાર મોદી ઉપર પણ અનેક કલાકારોએ જાતીય અને માનસિક સતામણીનો આરોપ લગાવ્યો છે.

 

 

disha vakani asit kumar modi taarak mehta ka ooltah chashmah television news sony entertainment television indian television entertainment news