03 July, 2024 12:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિવેક અગ્નિહોત્રી
વિવેક અગ્નિહોત્રી તેની આગામી ફિલ્મ ‘ધ દિલ્હી ફાઇલ્સ’માં બંગાળમાં થયેલા નરસંહારને દેખાડશે. એના માટે તેણે છ મહિના સુધી રિસર્ચ કર્યું હતું. આ વિશેની માહિતી સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આપતાં વિવેક અગ્નિહોત્રીએ લખ્યું કે ‘બંગાલ કી કહાની, બંગાલીઓં કી ઝુબાની. છેલ્લા છ મહિનાથી હું બંગાળનાં વિવિધ શહેરો અને ગામડાંઓમાં ફર્યો હતો, ત્યાંની સંસ્કૃતિ અને અમારી આગામી ફિલ્મ માટે બંગાળના હિંસક ઇતિહાસના મૂળને જાણવાનો પ્રયાસ કર્યો છે. બંગાળ એક એવું રાજ્ય હતું જેના બે વખત ભાગલા થયા હતા. બંગાળમાં આઝાદી પહેલાં અને આઝાદી બાદ નરસંહાર જેવી ઘટનાઓ ઘટી હતી. સ્વતંત્ર ભારતમાં બે રાષ્ટ્રીય વિચારધારાઓ હિન્દુ અને ઇસ્લામ પર વિવાદ હતો. જોકે બંગાળમાં ચાર વિચારધારા જેવી કે હિન્દુ, ઇસ્લામ, કમ્યુનિઝમ અને નક્સલવાદ પર સંઘર્ષ રહ્યો હતો. એને કારણે રાજ્યનું પતન થયું અને કાંઈ બચ્યું નહીં. બંગાળમાં જે પ્રકારે નરસંહાર, ધાર્મિક અને રાજકીય હિંસા થયાં છે એવું અન્ય કોઈ રાજ્યમાં નથી થયું.’