શાહરુખના ઘરમાં ઘૂસી આવેલા બે જણને ઈજા થતાં તેના સ્ટાફે તેમને ફર્સ્ટ-એઇડ ટ્રીટમેન્ટ આપ્યા બાદ પોલીસને સોંપ્યા

09 March, 2023 04:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેઓ બીજી માર્ચે રાતે ત્રણ વાગ્યે તેના બંગલોમાં ઘૂસ્યા હતા અને તેના મેકઅપ રૂમમાં સવારના સાડાદસ વાગ્યા સુધી રોકાયા હતા

શાહરુખ ખાન

શાહરુખ ખાનના બંગલો ‘મન્નત’માં હાલમાં બે જણ ઘૂસી આવ્યા હતા અને એ દરમ્યાન તેમને ઈજા થતાં શાહરુખના સ્ટાફે તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને પોલીસને સોંપ્યા હતા. ભરૂચથી આવેલા આ બેનાં નામ પઠાન સાહિલ સલીમ ખાન છે અને તે મજૂરીકામ કરે છે. તો રામ કુશવાહા શાકભાજી વેચવાનો ધંધો કરે છે. તેઓ બીજી માર્ચે રાતે ત્રણ વાગ્યે તેના બંગલોમાં ઘૂસ્યા હતા અને તેના મેકઅપ રૂમમાં સવારના સાડાદસ વાગ્યા સુધી રોકાયા હતા. શાહરુખ જ્યારે મેકઅપ રૂમમાં પહોંચ્યો તો તે બન્નેને જોઈને ચોંકી ગયો હતો. તેણે સ્ટાફને બોલાવ્યો હતો. બંગલામાં રિપેરિંગનું કામ ચાલતું હોવાથી તેઓ સરળતાથી અંદર ઘૂસી શક્યા હતા. આ બન્નેએ બંગલાની અંદર કૂદીને પ્રવેશ કર્યો હોવાથી તેમને થોડી ઈજા પણ થઈ હતી. એથી શાહરુખના હાઉસકીપિંગ સ્ટાફે પહેલાં તો તેમને ફર્સ્ટ-એઇડ ટ્રીટમેન્ટ આપી અને બાદમાં તેમને પોલીસને સોંપ્યા હતા. તેમને એક દિવસની પોલીસ-કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતાં. જોકે શાહરુખના બંગલોમાં ઘૂસવા પાછળ તેમનો કોઈ ખરાબ ઇરાદો નહોતો એથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. બન્નેના પેરન્ટ્સે મુંબઈ આવીને તેમને વીસ હજારના જામીન પર મુક્ત કરાવ્યા છે. તેઓ મુંબઈ આવવાના છે એ વાતની માહિતી તો તેમના પેરન્ટ્સને પણ નહોતી. 

entertainment news bollywood news bollywood gossips bollywood Shah Rukh Khan mannat