સલમાન સેટ છોડીને ચાલ્યો ગયો હોવાથી હંમેશ માટે પડતી મુકાઈ ‘ઇન્શાઅલ્લાહ’

12 February, 2023 12:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ રોમૅન્ટિક મ્યુઝિકલ ફિલ્મની અનાઉન્સમેન્ટ ૨૦૧૯માં કરવામાં આવી હતી.

સલમાન ખાન

સંજય લીલા ભણસાલીની ‘ઇન્શાઅલ્લાહ’ના સેટ પરથી સલમાન ખાન ચાલ્યો ગયો હતો એવી માહિતી પ્રોડક્શન-ડિઝાઇનર રૂપીન સુચકે આપી છે. તેણે આ ફિલ્મનો સેટ તૈયાર કર્યો હતો. આલિયા ભટ્ટ સાથે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ ફિલ્મ અભરાઈએ ચડાવી દેવામાં આવી છે. આ રોમૅન્ટિક મ્યુઝિકલ ફિલ્મની અનાઉન્સમેન્ટ ૨૦૧૯માં કરવામાં આવી હતી. ફિલ્મ બંધ થવા ​વિશે રૂપીન સુચકે કહ્યું કે ‘સદ્નસીબે કે પછી બદ્નસીબે ફિલ્મની શરૂઆત ન થઈ શકી, કારણ કે વાત આગળ વધી શકી નહીં. સલમાન પણ સેટ છોડીને જતો રહ્યો હતો. સલમાન અને ભણસાલી બન્ને સાથે ફિલ્મ નહોતા કરવા માગતા. એક વર્ષ સુધી ભણસાલી સાથે મળીને મેં આ ફિલ્મના સેટ વિશેનું પ્રી-પ્લાનિંગ કર્યું હતું. અમે અમેરિકામાં લોકેશન શોધવા માટે ત્રણ મહિના રોકાયા હતા. ૯ મહિનાની મહેનત બાદ અમે ૨૪ સેટ ડિઝાઇન કર્યા હતા. અમે ત્રણ સેટ બનાવવાનું શરૂ કર્યું અને એમાંથી એક બનીને તૈયાર હતો. અમે આલિયા સાથે શૂટિંગ પણ કર્યું. બીજો સેટ પણ લગભગ પૂરો થવા આવ્યો હતો અને ત્રણ દિવસ બાદ એના પર શૂટિંગ શરૂ થવાનું હતું, પણ પછી આખું શૂટિંગ જ બંધ કરવું પડ્યું. અમે એક વર્ષની અંદર ફિલ્મ પૂરી કરવાના હતા. મેં બધું નસીબ પર છોડી દીધું છે. મેં ખુશખુશાલ યાદ સાથે આ પ્રોજેક્ટ છોડી દીધો, કારણ કે એમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે.’

entertainment news Salman Khan sanjay leela bhansali bollywood news bollywood gossips bollywood