મમ્મીના અવસાન પછી એક જ દિવસમાં પાછો કામે લાગી ગયો હતો રાજકુમાર રાવ

17 October, 2024 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેને એમ કે તે કામ કરી શકશે, પણ સેટ પર સતત રડ્યા કરતો હતો

રાજકુમાર રાવ

રાજકુમાર રાવે પોતાના લેટેસ્ટ ઇન્ટરવ્યુમાં તેનાં મમ્મીને યાદ કર્યાં હતાં. મમ્મીના નિધનના સમાચાર મળ્યા ત્યારે રાજકુમાર રાવ ‘ન્યુટન’ ફિલ્મના સેટ પર હતો. રાજકુમારે કહ્યું હતું, ‘‘ન્યુટન’ ફિલ્મમાં બૂથ માટે જે રૂમ બનાવ્યો હતો ત્યાં હું બેઠો હતો. મારે શૉટ આપીને એ રૂમમાંથી બહાર નીકળવાનું હતું. એ વખતે ગ્રાઉન્ડ પર એક વ્યક્તિ દોડતી આવી હતી. તેણે આવીને કહ્યું કે પત્રલેખા (રાજકુમારની પત્ની, જે ત્યારે ગર્લફ્રેન્ડ હતી)ને તમારી સાથે વાત કરવી છે.’

રાજકુમાર આગળ કહે છે, ‘મમ્મી બીમાર રહેતાં હતાં, પરંતુ તેમની ઉંમર માત્ર ૫૪ વર્ષ હતી. એક સેકન્ડ માટે વિચાર આવ્યો કે મારા પપ્પાના અમંગળ સમાચાર હશે, કેમ કે તે વ્યક્તિના ચહેરા પર દેખાતું હતું કે કંઈક ખરાબ સમાચાર છે. પત્રલેખાએ સમાચાર કહ્યા. હું તૂટી પડ્યો. પણ સેટ પર ૩૦૦ લોકો હતા. નાના બજેટની ફિલ્મ હતી. મેં કહ્યું કે મને માત્ર એક દિવસ આપો, હું બધી વિધિ કરીને પાછો આવી ગયો. મને એમ હતું કે હું કરી લઈશ, પણ અત્યંત અઘરું પડ્યું. સેટ પર હું સતત રડ્યા કરતો હતો.’

rajkummar rao patralekha newton upcoming movie bollywood news bollywood entertainment news