Breaking News : ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન, ૭૨ વર્ષે લીધા અંતિમ શ્વાસ

26 February, 2024 04:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Pankaj Udhas Death : પદ્મશ્રી પંકજ ઉધાસના નિધનના સમાચાર દીકરીએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા આપ્યા

પંકજ ઉધાસની ફાઇલ તસવીર

પ્લેબેક સિંગર અને ગઝલ ગાયક પંકજ ઉધાસ (Pankaj Udhas)નું આજે નિધન થયું છે. પ્લેબેક સિંગર પંકજ ઉધાસે ૭૨ વર્ષની વયે અંતિમ શ્વાસ (Pankaj Udhas Death) લીધા છે. ગઝલગાયકના સમાચારની પુષ્ઠિ દીકરીએ કરી છે.

મનોરંજન જગતમાંથી આજે બહુ મોટા ખરાબ સમાચાર સામે આવ્યા છે. સુપ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસનું નિધન (Pankaj Udhas Death) થયું છે. તેમણે ૭૨ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. પંકજ ઉધાસની પુત્રી નાયાબ ઉધાસ (Nayaab Udhas)એ પીઢ ગાયકના મૃત્યુના સમાચાર દુનિયા સાથે સોશ્યલ મીડિયાના માધ્યમથી શૅર કર્યા છે.

નાયાબ ઉધાસે શૅર કરેલા પોસ્ટમાં લખ્યું છે કે, ‘ખૂબ જ દુઃખ સાથે અમને જણાવવું પડે છે કે પદ્મશ્રી પંકજ ઉધાસનું ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ વય સંબંધિત બીમારીઓથી પીડિત હતા. દસ દિવસ પહેલા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.’

આ પોસ્ટ જોઈને સહુ કોઈ શોકમાં છે.

પંકજ ઉધાસના પીઆરએ જણાવ્યું કે, ગાયકનું મૃત્યુ ૨૬ ફેબ્રુઆરીએ સવારે ૧૧ વાગ્યે મુંબઈ (Mumbai)ની બ્રીચ કેન્ડી હૉસ્પિટલ (Breach Candy Hospital)માં થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયત સારી ન હતી.

ગાયકના નિધનના સમાચાર જાણ્યા બાદ સંગીત જગતમાં શોકનો માહોલ છે. પંકજ જેવા ગઝલ ગાયકની વિદાયથી ચાહકો દુઃખી થયા છે.

સેલેબ્ઝ અને ફેન્સ સોશિયલ મીડિયા પર આંખોમાં આંસુ સાથે ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

પંકજ ઉધાસે વર્ષ ૧૯૮૦માં ‘આહત’ (Aahat) નામના ગઝલ આલબમના પ્રકાશન સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી અને ત્યારબાદ વર્ષ ૧૯૮૧માં મુકારર (Mukarar), વર્ષ ૧૯૮૨માં તરન્નુમ (Tarrannum), વર્ષ ૧૯૮૩માં મહેફિલ (Mehfil), વર્ષ ૧૯૮૪માં રોયલ આલ્બર્ટ હોલ (Royal Albert Hall)માં પંકજ ઉધાસ લાઈવ (Pankaj Udhas Live), વર્ષ ૧૯૮૫માં નાયાબ (Nayaab) અને વર્ષ ૧૯૮૬માં આફરીન (Aafreen) જેવા સુપરહિટ હીતો રેકૉર્ડ કર્યા હતા.

ગઝલ ગાયક તરીકેની તેમની સફળતા પછી, તેમને મહેશ ભટ્ટ (Mahesh Bhatt) દ્વારા ફિલ્મ ‘નામ’ (Naam)માં ગાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પંકજ ઉધાસે ફિલ્મ ‘નામ’માં `ચિઠ્ઠી આયી હૈ` (Chitthi Aayee Hai) ગીત ગાયું હતું અને આ ગીત સાથે તેઓ રાતોરાત હિટ થયા હતા.

વર્ષ ૨૦૦૬માં પંકજ ઉધાસને ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાત (Gujarat)ના જેતપુર (Jetpur)માં જન્મેલા પંકજ ઉધાસ ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા. તેમના માતા-પિતા કેશુભાઈ ઉધાસ અને જીતુબેન ઉધાસ હતા. તેમના મોટા ભાઈ મનહર ઉધાસ ()એ બોલિવૂડ ફિલ્મોમાં હિન્દી પ્લેબેક સિંગર તરીકે સફળતા મેળવી હતી. તેમના બીજા મોટા ભાઈ નિર્મલ ઉધાસ પણ જાણીતા ગઝલ ગાયક હતા.

pankaj udhas celebrity death entertainment news bollywood bollywood news