23 October, 2023 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિયારા અડવાણી અને રાની મુખરજી
કિયારા અડવાણી હાલમાં જ દુર્ગાપૂજા પંડાલમાં ગ્રીન ડ્રેસ પહેરીને સજીધજીને પહોંચી હતી. તેની સાથે રાની મુખરજી પણ જોવા મળે છે. ત્યાં હેમા માલિની તેની દીકરી ઈશા દેઓલ સાથે દર્શન કરવા ગઈ હતી. કિયારાનો પંડાલની અંદરનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં દેખાય છે કે કિયારા અને રાની સ્ટેજની નીચે ઊભી છે ત્યારે તેમણે હાઇ હીલ્સ પહેરી રાખી છે.
જોકે લોકોને તેમની આ વાત પસંદ નથી પડી અને તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. તેઓ વિવિધ કમેન્ટ્સ કરીને તેમની નિંદા કરે છે. તેઓ કહી રહ્યા છે કે તે બન્નેએ સૅન્ડલ્સ ઉતારવા જોઈતાં હતાં. એક સોશ્યલ મીડિયા યુઝરે કમેન્ટ કરી કે ‘માની સામે તેઓ ચંપલ કઈ રીતે પહેરી શકે છે? તેઓ સેલિબ્રિટીઝ છે એટલે તેમને બધી પરવાનગી છે.’ એકે કમેન્ટ કરી કે ‘દુર્ગાપૂજા પંડાલમાં સૅન્ડલ્સ. શેમ ઑન કિયારા.’ તો અન્યએ કમેન્ટ કરી કે ‘દેવીની સામે ચંપલ કેમ પહેરી શકાય? ફૅશનના નામે તેઓ કાંઈ પણ કરી લે છે.’
તો લોકોની નિંદાનો જવાબ ‘બ્રહ્માસ્ત્ર’નો ડિરેક્ટર આયાન મુખરજી આપે છે.
ચંપલ પહેરવા વિશે આયાને કહ્યું કે ‘બાળપણથી હું દુર્ગાપૂજા પંડાલનો ભાગ રહ્યો છું. જ્યાં દેવીની સ્થાપના થાય છે એ સ્ટેજની નીચે ચંપલ કાઢવામાં આવે છે ન કે દુર્ગાપૂજા પંડાલના ગેટ પાસે. એથી ઍક્ટ્રેસની નિંદા કરવાનો કોઈ અર્થ નથી. સાથે જ જણાવી દઉં કે રાની મુખરજીએ પણ હીલ્સ પહેરી હતી. તે બંગાળી છે અને ઘણાં વર્ષોથી તે દુર્ગાપૂજા પંડાલ સાથે જોડાયેલી છે.’