28 June, 2024 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાહ્નવી કપૂર, સૂરિયા
સાઉથના સુપરસ્ટાર સૂરિયા અને જાહ્નવી કપૂરની ‘કર્ણ’ને પડતી મૂકવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. રાકેશ ઓમપ્રકાશ મેહરા માયથોલૉજિકલ ફિલ્મ ‘કર્ણ’ બનાવી રહ્યા હતા, જેના માટે ૩૫૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં કર્ણની ભૂમિકામાં સૂરિયા અને દ્રૌપદીની ભૂમિકામાં જાહ્નવી જોવા મળવાની હતી એવી ચર્ચા હતી. તેમની સાથે આ ફિલ્મમાં વિજય વર્મા, અલી ફઝલ અને અવિનાશ તિવારીને પણ પસંદ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી હતી. ફિલ્મના પ્રી-પ્રોડક્શન પાછળ પંદર કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. તેમ જ દરેક ઍક્ટરની લુક-ટેસ્ટ પણ કરવામાં આવી હતી. આ ફિલ્મને લંબાવવામાં આવી હોવાની ચર્ચા ચાલી હતી, પરંતુ કેટલાંક સૂત્રના કહ્યા મુજબ ફિલ્મને પડતી મૂકવામાં આવી છે. સૂરિયા અને જાહ્નવીને પણ આ ફિલ્મ પડતી મૂકવામાં આવી હોવાની હિન્ટ મળતાં તેમણે અન્ય પ્રોજેક્ટ પર ફોકસ કરવાનું શરૂ કરી દીધું છે.