31 August, 2021 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફરાહ ખાન
ફારાહ ખાનનું કહેવું છે કે તેનાં બાળકોને લઈને જે પણ સવાલો કરવામાં આવે છે એનાથી તે કંટાળી ગઈ છે અને આ જ કારણ છે કે તે પોતાનાં બાળકોનાં ફોટો શૅર નથી કરતી. આ વાતનો ખુલાસો તેણે અરબાઝ ખાનના ચૅટ શો ‘પિન્ચ બાય અરબાઝ ખાન’માં કર્યો છે. એ વિશે ફારાહે કહ્યું હતું કે ‘એ ખરેખર મને ગુસ્સો અપાવે છે. મને એમ પૂછવામાં આવે છે કે મારાં બાળકો હિન્દુ છે કે મુસ્લિમ છે. પહેલાં હું દિવાળી અને ઈદ દરમ્યાન મારાં બાળકોના ફોટો શૅર કરતી હતી. હવે મેં એ બંધ કરી દીધું છે. ધાર્મિક તહેવાર દરમ્યાન હું તેમના ફોટો નથી પોસ્ટ કરતી. મને એ વાતનું ખૂબ દુઃખ લાગે છે, પરંતુ હું એ નથી કરતી.’
ફારાહની ‘તીસ માર ખાન’ને લઈને આજે પણ તેને ટ્રોલ કરવામાં આવે છે. એને લઈને ફારાહે કહ્યું હતું કે ‘કેટલાય લોકોએ ખરાબ ફિલ્મો કરી છે, કેટલાય લોકોએ ખરાબ કામ પણ કર્યું છે અને તમે લોકો હજી પણ ત્યાં જ અટક્યા છો.’