17 January, 2024 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠીનું કહેવું છે કે અટલ બિહારી વાજપેયી સાથે આજના કોઈ પણ પૉલિટિશ્યનની પર્સનાલિટીને નહીં સરખાવી શકાય. અટલ બિહારી વાજપેયીની બાયોપિક ‘મૈં અટલ હૂં’માં તેણે ટાઇટલ કૅરૅક્ટર ભજવ્યું છે. આ ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ વિશે વાત કરતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું કે ‘અટલ બિહારી વાજપેયીની પર્સનાલિટી એવી છે કે એને આજના કોઈ પણ પૉલિટિશ્યન સાથે નહીં સરખાવી શકાય. તેઓ એક કવિ હતા અને તેઓ એક એવા લીડર હતા જેમનો તેમના દુશ્મન પણ આદર કરતા હતા. હું એ વસ્તુ શીખ્યો છું કે વ્યક્તિએ અંદરથી પણ ડેમોક્રેટિક હોવું જરૂરી છે. તેઓ તમને એવી પ્રેરણા આપે છે કે જીવનમાં કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. અટલજી વિશે ઘણુંબધું વાંચ્યા અને જાણ્યા બાદ તમે મૉડર્ન-ડે પૉલિટિશ્યન માટે તેમના જેવું ફીલ નહીં કરી શકો. તેમના વિરોધીઓ અને ક્રિટિક્સ પણ તેમનો રિસ્પેક્ટ કરતા હતા. ઇન્ડિયન પૉલિટિક્સમાં અટલજી જેવા વ્યક્તિ શોધવા ખૂબ જ મુશ્કેલ છે. મેં અટલજીની બે પૉલિટિકલ રૅલીમાં હાજરી આપી હતી અને લગભગ ૫૦૦ મીટર દૂરથી તેમને સાંભળ્યા છે. આશા રાખું છું કે તેમના પાત્રને હું ન્યાય આપી શક્યો હોઈશ.’