બોની કપૂરથી નારાજ છે અનિલ કપૂર

31 March, 2024 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘નો એન્ટ્રી 2’માં એન્ટ્રી ન આપી હોવાથી હજી પણ ભાઈ સાથે તે સીધી રીતે વાત નથી કરી રહ્યો : સીક્વલમાં વરુણ ધવન, દિલજિત દોસંજ અને અર્જુન કપૂર દેખાશે

બોની કપૂર

બોની કપૂરનું કહેવું છે કે તેનો ભાઈ અનિલ કપૂર તેનાથી નારાજ છે અને હજી પણ સરખી રીતે વાત નથી કરતો. ૨૦૦૫માં આવેલી આ ફિલ્મમાં સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાન હતા. આ ફિલ્મને ૨૦ વર્ષ થઈ રહ્યાં હોવાથી એની સીક્વલ ૨૦૨૫માં રિલીઝ થશે અને એનું શૂટિંગ આ વર્ષના અંતે શરૂ થશે. આ સીક્વલમાં અનિલ કપૂર અને સલમાન ખાન નથી. તેમની જગ્યાએ વરુણ ધવન, દિલજિત દોસંજ અને અર્જુન કપૂર કામ કરશે. આ વિશે વાત કરતાં બોની કપૂરે કહ્યું કે ‘મારા ભાઈ અનિલને હું ‘નો એન્ટ્રી’ની સીક્વલ અને એના ઍક્ટર્સ વિશે કહું એ પહેલાં જ તેને ખબર પડી ગઈ હતી. આ સમાચાર લીક થઈ જતાં તે ગુસ્સે ભરાયો હતો. ખૂબ દુઃખની વાત છે. મને ખબર છે કે તેને ‘નો એન્ટ્રી’ની સીક્વલમાં કામ કરવું હતું, પરંતુ તેને માટે કોઈ જગ્યા જ નથી. મારે તેને સમજાવવું હતું કે હું કેમ અને કયા કારણસર આ ફિલ્મ બનાવી રહ્યો છું. વરુણ અને અર્જુન ખૂબ સારા ફ્રેન્ડ છે. તેમની કેમિસ્ટ્રી ફિલ્મમાં ખૂબ સારી રીતે બહાર આવી શકશે. દિલજિત આજે ખૂબ મોટો સ્ટાર છે. તેનું ફૅન-ફૉલોઇંગ ખૂબ જોરદાર છે. હું આજના સમયને અનુરૂપ ફિલ્મ બનાવવા માગતો હતો એટલે મેં એ મુજબના ઍક્ટર પસંદ કર્યા. આ પ્રોસેસને કારણે મારો ભાઈ મારી સાથે સરખી રીતે વાત નથી કરતો. આશા રાખું કે બધું ફરી જલદી સરખું થઈ જાય.’

boney kapoor anil kapoor bollywood buzz bollywood gossips bollywood entertainment news