અગરબત્તી, ધૂપ, વાસ્તુ-જ્યોતિષની સલાહ કે ખારાશ-ખટાશ

25 February, 2024 12:42 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

ઉપર જણાવેલી ચીજો ક્યારેય કોઈની પાસેથી ફ્રી ન લેવી જોઈએ એવી સલાહ આપણાં શાસ્ત્રોમાં પણ આપવામાં આવી છે. ફ્રીમાં મળેલી એ સલાહ કે વસ્તુ તમને યોગ્ય પરિણામ આપે એ માટે એનું વળતર ચૂકવવું જ જોઈએ

પ્રતીકાત્મક તસવીર

ઓળખાણનો સંબંધ હોય કે પછી લાગણીના વ્યવહારો હોય ત્યારે વ્યક્તિ સલાહથી માંડીને કેટલીક રોજબરોજની ચીજવસ્તુઓ વિના સંકોચે લેવાનું કામ કરી લેતી હોય છે, પણ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ચોક્કસ પ્રકારની સલાહ કે ચોક્કસ પ્રકારની વસ્તુઓ ક્યારેય કોઈ પાસેથી ફ્રીમાં લેવી નહીં. ભલે આપનારી વ્યક્તિ માટે એનું મૂલ્ય નગણ્ય હોય તો પણ એ ક્યારેય ફ્રીમાં લેવી ન જોઈએ, કારણ કે ફ્રીમાં લેવામાં આવેલી એ સલાહ કે વસ્તુની અસરકારકતા ઘટી જાય છે. આજે પણ અમુક જ્યોતિષી કે વાસ્તુશાસ્ત્રી બહુ નજીકની વ્યક્તિને સલાહ આપ્યા પછી શુકનમાં એક કે અ​ગિયાર રૂપિયા સામેથી માગી લેતા હોય છે, જેની પાછળનું કારણ એ જ છે કે આપેલી સલાહ જે-તે વ્યક્તિ માટે સકારાત્મક પરિણામ લાવે.

અહીં આજે એ જ વાત કરવામાં આવી છે કે કઈ-કઈ એવી વાતો છે જેનું આર્થિક મૂલ્ય અચૂક ચૂકવી દેવું. અગોચર વિશ્વની સલાહ | જ્યોતિષ, વાસ્તુ, ફેંગશુઈ હોય કે પછી ટૅરો કાર્ડ કે પછી એ પ્રકારના ગોચર-અગોચર વિશ્વની એક પણ પ્રકારની સલાહ ક્યારેય નિઃશુલ્ક લેવી નહીં. ધારો કે કાયમી સંબંધ હોય કે પછી અંગત વ્યક્તિ હોય અને એકાદ વખત એ પ્રકારની સલાહ લઈ લીધી હોય તો સમજી શકાય, પણ જો તમે સામેથી ફોન કરીને કે પછી મળવા જઈને એ પ્રકારની સલાહ માગી હોય તો એ સલાહનું વળતર કોઈ પણ હિસાબે ચૂકવવું જ. ધારો કે રોકડમાં એ ચૂકવી ન શકાય તો બહેતર છે કે જતી વખતે તમે કોઈ ગિફ્ટ કે સ્વીટ્સ લઈને જાઓ અને હિસાબ સરભર કરવાનો નમ્ર પ્રયાસ કરો. જો ફોન પર સલાહ લીધી હોય તો શુકન પૂરતી રકમ ચૂકવીને પણ પ્રયાસ કરો કે એ સલાહ નિઃશુલ્ક ન હોય.

ધાર્મિક કાર્યની કોઈ ચીજ | ઘણી વખત કોઈના ઘરે અગરબત્તી, ધૂપ કે પછી એવી કોઈ દેવીસ્થાનમાં રાખવાની વસ્તુની સુગંધ પસંદ આવી જાય અને આપણે તેમની પાસેથી એ મગાવી લેતા હોઈએ છીએ અને કાં તો તેના ઘરેથી એ લઈ આવતા હોઈએ છીએ, પણ એવું કરવું નહીં. પ્રયાસ કરવો કે તમે જે ચીજ લો છો એનું આર્થિક વળતર તરત જ ચૂકવી દો. જો તે પૈસા લેવા રાજી ન હોય તો તેમને પણ સમજાવો કે આ ઉધારીની ખુશી ઈશ્વર મંજૂર નહીં કરે.

માત્ર અગરબત્તી કે ધૂપ પૂરતી જ આ વાત લાગુ નથી પડતી. યાત્રાએ જતી કોઈ વ્યક્તિ પાસેથી મગાવેલી મૂર્તિ કે ફોટોનું પણ મૂલ્ય ચૂકવવું જોઈએ. આપણે ત્યાં પ્રસાદ મહત્તમ લોકોને આપવાની પરંપરા છે, પણ એ પરંપરાને એ જ રૂપમાં સ્વીકારવાને બદલે જ્યારે પણ પ્રસાદ મળે ત્યારે એ આપનારાના હાથમાં શુકન મૂકવું જોઈએ. એ સ્વીકારવા માટે સામેની વ્યક્તિ રાજી ન હોય તો એ પૈસા ધર્માદામાં વાપરવા જોઈએ.

ખટાશ ભૂલથી પણ નહીં | જી પણ અનેક પરિવારો એવા છે જેઓ કોઈએ લાવેલું નિમક સ્વીકારતા નથી, પણ હકીકતમાં આ વાત ખારાશ પૂરતી જ સીમિત નહોતી. ખટાશ માટે પણ એવું જ કહેવાયું છે કે ક્યારેય કોઈની ખટાશ લેવી નહીં. જોકે લાંબા સમયથી આ વાત વિસરી જવામાં આવી છે. હવે તો મોટા ભાગના પરિવારો દીકરીને અથાણાં મોકલે છે, પણ એ યોગ્ય નથી અને ધારો કે તમારી પ્રિય વ્યક્તિને ભાવતી ખટાશ તમારા હાથમાં આવી હોય અને તમે એ તેની સાથે શૅર કરીને ખાવા માગતા હો તો તમારે એટલા જ વજનની ગળાશ સામેથી માગી લેવી જોઈએ. એવી જ રીતે લેનારી વ્યક્તિએ પણ કાળજી રાખવી જોઈએ કે તે ખટાશના બદલામાં તરત જ ઓછામાં ઓછી એટલી જ માત્રાનું ગળપણ તમને આપી દે, જેથી સંબંધોમાં આવનારી આ ખટાશને બૅલૅન્સ મળી જાય.

શાસ્ત્રોમાં આ સંદર્ભની અનેક કથાઓ પણ મોજૂદ છે તો એવા પ્રસંગો પણ ટાંકવામાં આવ્યા છે જેમાં કહેવાયું છે કે ક્યારેય ખટાશ લેવી નહીં અને ધારો કે લીધી હોય તો એના બદલામાં તરત જ ગળપણ ચૂકવીને સંબંધોનું ખાતું સરભર કરવું.

ખાસ નોંધ : કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની કોઈ ચીજવસ્તુ કે સલાહ લઈ લો તો શુકનરૂપે પણ કંઈ આપવું જોઈએ, પણ યાદ રહે કે શુકનરૂપે માત્ર ને માત્ર લક્ષ્મી જ આપવાની હોય છે.

columnists gujarati mid-day astrology