પૂછો તમારી જાતને : કહો જોઈએ; છેલ્લે તમે ક્યારે, કેટલું અને કેવુંક હસ્યા હતા?

08 February, 2024 08:48 AM IST  |  Mumbai | Manoj Joshi

એક વાત યાદ રાખજો કે ચહેરા પર આવેલું સ્માઇલ સામેની વ્યક્તિને કરેલો પ્રેમ છે. આ જ તો કારણ હતું કે કૃષ્ણના ચહેરા પર ચોવીસ કલાક સ્માઇલ અકબંધ રહેતું.

પ્રતીકાત્મક તસવીર

આ પ્રશ્ન આવ્યો છે જપાનથી. જપાનમાં છેલ્લા ચારેક મહિનાથી સ્માઇલ કેવી રીતે કરવું એના ક્લાસ શરૂ થયા છે અને આ ક્લાસની ફી ૪પ૦૦ યેન લેવામાં આવે છે. એવું નથી કે જેમને સ્માઇલ કરતાં નથી આવડતું એ લોકો ત્યાં ક્લાસ માટે જાય છે, પણ હકીકત એ છે કે અહીં એ લોકો જાય છે જેઓ સ્માઇલ કરતાં ભૂલી ગયા છે.

હા, આ સાવ સાચું છે અને એના માટે જૅપનીઝ લોકો કોરોનાકાળમાં પહેરેલા માસ્કને દોષ આપે છે. દોષ કોઈનો પણ હોય, પરંતુ આ જે ક્લાસ શરૂ થયા છે એ એક વાત તો યાદ દેવડાવે છે કે આપણે પણ આપણી જાતને પૂછવું જોઈએ કે આપણે છેલ્લે ક્યારે, કેટલું અને કેવુંક હસ્યા? આજની ભાગદોડ વચ્ચે આપણે એ વાત વિસરી ગયા છીએ કે આપણા ચહેરા પર સ્માઇલ હોવું જોઈએ. રોજબરોજના રાજકારણ વચ્ચે આપણે એ વાત ભૂલી ગયા છીએ કે સ્માઇલ કરવાથી સ્ટ્રેસ ઘટે છે. હાડમારી ભરેલી આ લાઇફ વચ્ચે આપણને એ પણ યાદ નથી રહ્યું કે આપણે સ્માઇલ દ્વારા બંધાતો, રચાતો સંબંધ સ્થાપવાનું પણ હવે મહત્ત્વનું નથી ગણતા. જૅપનીઝ લોકો અત્યારે મિરર સામે ઊભા રહી સ્માઇલ કરીને પોતાનો ફેસ જુએ છે અને પછી ખુશ થાય છે. આપણે તો એ મિરર લેવો નથી પડતો. આપણી મેમરી સ્લેટ પરથી સ્માઇલ ગુમ પણ નથી થયું; પણ બસ, ભાગતા રહેવું છે અને એ ભાગતા રહેવાની લાયમાં આપણે સ્માઇલને કોરાણે મૂકીને આગળ વધતા રહીએ છીએ.

આજે એક એવા અફસોસની વાત કહું જે લાંબા સમયથી મનમાં ચાલે છે.
આપણને બધાએ ભાગતા જ શીખવ્યું; પણ કોઈએ એવું કહ્યું જ નહીં કે ભાગવાને બદલે ચાલતો જા, સફરનો આનંદ લે. સફર અને સફળતા વચ્ચેનો ભેદ પણ કોઈએ સમજાવ્યો નહીં અને એટલે જ આપણે પણ એ જ પાપ આદરી બેઠા છીએ. કોઈ એવું કહેવા રાજી નથી કે ભાગ નહીં. નથી સંતાનોને કહેતા કે નથી આપણે એ વ્યક્તિને કહેતા જે તમારી પોતાની છે. આવું કરીને આપણે રીતસર બદલો લઈએ છીએ. માર્ક્સ લેવા માટે ભાગવાનું, રૅન્ક મેળવવા માટે ભાગવાનું. એ બધામાં ભાગ્યા પછી જૉબ માટે ભાગવાનું. એ પછી પૈસા કમાવા માટે ભાગવાનું અને બસ પછી ભાગતા જ રહેવાનું. ભાગતા રહેવાની આ જે હોડ છે એ હોડમાં આપણે ચહેરાને એવો તંગ કરી દઈએ છીએ કે સ્માઇલને પણ ચહેરા પર હાજરી પુરાવવા આવતાં પહેલાં ડર લાગે. આ ડર દૂર કરવાનું કામ તમારા હાથમાં છે. એક નાનકડા સ્માઇલ સાથે દિવસની શરૂઆત કરશો તો તમારો જ દિવસ સુધરવાનો છે. સતત ભારમાં રહીને, સામેની વ્યક્તિને સતત ભારમાં રાખવાની આ જે માન​સિકતા છે એ માનસિકતાએ આપણને અકારણ દુઃખી કરવાનું શરૂ તો કરી દીધું છે, પણ એ દુઃખ દૂર કરવાનું કામ આપણા હાથમાં છે અને એના માટે જરૂરી છે તો માત્ર સજાગતા. એક વાત યાદ રાખજો કે ચહેરા પર આવેલું સ્માઇલ સામેની વ્યક્તિને કરેલો પ્રેમ છે. આ જ તો કારણ હતું કે કૃષ્ણના ચહેરા પર ચોવીસ કલાક સ્માઇલ અકબંધ રહેતું.

columnists manoj joshi