ગ્રે દુનિયા : નહીં આ બાજુ, નહીં પેલી બાજુ

21 October, 2023 04:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાખોડી કલરનું આપણે ત્યાં બહુ મહત્ત્વ નથી, પણ એ સમ્યક અવસ્થાનું રૂપ છે. અજ્ઞાનથી જ્ઞાન તરફ બરાબર મધ્યમાં પહોંચ્યાની અવસ્થા એટલે આ સમ્યક અવસ્થા

ગ્રે દુનિયા : નહીં આ બાજુ, નહીં પેલી બાજુ

નવરાત્રિની રીતે જોઈએ તો આજનો કલર ગ્રે એટલે રાખોડી છે, પણ આપણે ત્યાં અનેક લોકો માને છે કે આ અશુભ કલર છે, જે ગેરમાન્યતા છે. સફેદ અને કાળા રંગના સમાંતર મિશ્રણથી ઊભા થતો ગ્રે કલર સૂક્ષમતાનો રંગ છે. 
સફેદ હકારત્મકતાનું પ્રતીક છે. પ્રતીક છે તો કાળો નકારત્મકતાનું. બન્ને રંગના બિલકુલ એકસમાન મિશ્રણથી પેદા થતા ગ્રે કલરને તંત્રશાસ્ત્ર સમ્યક અવસ્થાનું રૂપ ગણે છે. તંત્રનો પહેલો પ્રભાવ મન પર પડે અને એ પછી સ્થૂળ વ્યાપ વધારે છે. અમાસ તરફ આગળ વધતા ચંદ્રને જો તમે ધ્યાનથી જુઓ તો એ ચંદ્રમાં તમને ગ્રે રંગ દેખાશે. કલર થેરપીમાં ગ્રે કલરને નેગેટિવિટી સાથે જોવાને બદલે એને સકારાત્મક દૃષ્ટિકોણથી જોવામાં આવે છે અને એટલે જ ગ્રે કલરને આરંભથી અંત તરફની યાત્રા તરીકે નહીં, પણ અંતથી આરંભની યાત્રા જોવામાં આવે છે.
સૌથી પહેલાં તન | વ્યક્તિગત રીતે ગ્રે કલર સમજાવે છે કે કોઈને પણ એક રૂપમાં કાયમ માટે સ્વીકારવો નહીં. સમય અને સંજોગોના આધારે વ્યક્તિમાં ચેન્જ આવી શકે. કલર થેરપિસ્ટ પાસે જ્યારે સાયકોલૉજિસ્ટ કોઈને મોકલે ત્યારે કલર થેરપિસ્ટ પહેલું કામ તેના ફેવરિટ કલર જાણવાનું અને તેના વૉર્ડરોબમાં રહેલાં કપડાંઓના કલર ચકાસવાનું કરે છે. કલર થેરપિસ્ટ કહે છે કે ગ્રે કલર જેની પસંદગીમાં અગ્રીમ સ્થાને હોય એ વ્યક્તિ નથી ઇચ્છતો કે ક્યારેય તેને ઓળખે અને તેને માટે કોઈ એક જજમેન્ટ પર આવે. ધીમે-ધીમે તેની આ જ પર્સનાલિટી બની શકે છે. તમારી આસપાસ રહેલી વ્યક્તિને પણ ધારો કે ગ્રે કલર ગમતો હોય તો તેને જજ કરશો એ તેને ગમશે નહીં, એ યાદ રાખવું.
ગ્રે કલર રિઝલ્ટ આપવાનું કામ નથી કરતો અને પરિણામ બગાડવાનું કામ પણ નથી કરતો. જો કોઈ જગ્યાએ તમારે તમારો પ્રભાવ ન છોડવો હોય કે પછી તમારી હાજરીની સજ્જડ નોંધ ન લેવા દેવી હોય તો એવી જગ્યાએ જતી વખતે ગ્રે કલરના કૉસ્ચ્યુમ પહેરવા જોઈએ.
હવે વાત મનની | શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો શરીરની સ્થૂળતા પાર કરી શકીએ તો જ મનની સૂક્ષ્મતાને પામી શકીએ અને જો એના ઊંડાણમાં જઈએ તો જ આત્માની દિવ્યતા પ્રાપ્ત થાય. આ જ કારણ છે કે ગ્રે કલરને સૂક્ષ્મતાનો પ્રતીક ગણવામાં આવ્યો છે. અજ્ઞાન અંધકારમય ગણવામાં આવે છે, પણ આ જ્ઞાન આવવાનું શરૂ થાય એટલે એ અંધકાર દૂર થાય છે. કલર અને શાસ્ત્રોની આ થિયરી પર અનેક ફિલોસૉફિકલ ફિલ્મો બની છે અને એ ફિલ્મ હિટ પણ થઈ છે.
સ્થૂળતાથી અતિ સૂક્ષ્મતમ તરફની એટલે કે બ્લૅકથી વાઇટની આ જર્ની પછી આવતી અવસ્થાને આપણાં વેદોમાં સુંદરમ્ કહી છે તો આખી જર્નીને પુરાણોમાં ‘સુંદરમ્ કરમ્’ના નામે ઓળખવામાં આવી છે.
ગ્રે કલર માટે સાયકોલૉજિસ્ટનું માનવું છે કે એમાં તટસ્થતાનો ભાવ રહેલો છે. આ જ કારણ હશે કે એક સમયે બ્રિટિશરોએ હિન્દુસ્તાન છોડતાં પહેલાં ભારતના ન્યાયાલયમાં ગ્રે કલરનો ડ્રેસકોડ આપવાનું સૂચન કર્યું હતું, પણ આપણે અંગ્રેજોથી એટલા પ્રભાવિત છીએ કે આપણે વકીલોના ડ્રેસકોડમાં બ્લૅક અને વાઇટ કલરને જ પકડીને બેસી રહ્યા છીએ.
સાયકોલૉજિસ્ટનું માનવું છે કે ઉઊંઘ આવવાની શરૂઆતથી લઈને સાઉન્ડ સ્લીપ સુધીનો જે તબક્કો છે એ તબક્કામાં આ ગ્રે કલરનું સામ્રાજ્ય હોય છે. ગ્રે કલરની એ અવસ્થા વચ્ચે આપણી ચેતનાને સબકૉન્સિયસ માઇન્ડ તરીકે પણ ઓળખી શકાય. આ એ અવસ્થા છે જે અવસ્થામાં કરેલા સંકલ્પો, ઇચ્છાઓ હંમેશાં ફળીભૂત થાય છે, પછી ભલે એ તમારા હિતમાં હોય કે અહિતમાં. આ જ કારણ છે કે સબકૉન્સિયસ માઇન્ડને જાગ્રત રાખવાનું હંમેશાં કહેવામાં આવ્યું છે, મતલબ કે માનસપટ પર ગ્રે કલરની અવસ્થા અકબંધ રહે.
અંતિમ વાત ધનની |ગ્રે માર્કેટ શબ્દ તમે સાંભળ્યો જ છે. રિયલ માર્કેટ અને બ્લૅક માર્કેટ વચ્ચેની જે બજાર છે એને ગ્રે માર્કેટ કહેવામાં આવે છે. સ્ટૉક માર્કેટમાં પણ ગ્રે માર્કેટ હોય છે, તો આયાતી ચીજવસ્તુમાં ગ્રે માર્કેટ હોય છે. દુનિયાભરમાં ગ્રે માર્કેટ ઇલીગલ છે, પણ મોટો ફાયદો એ છે કે એ વપરાશકર્તાને લાભ કરાવનારી હોય છે. બીજી વાત, ગ્રે માર્કેટથી આવનારા દિવસોમાં પ્રોડક્ટની ડિમાન્ડ કેવી રહેશે એનો વરતારો મળતો રહે છે.
કરન્સીની બાબતમાં ગ્રે કલર બદનામ છે. ૨૦૦૭ના સપ્ટેમ્બર મહિના પહેલાં જગતમાં એકેય કરન્સી નોટ ગ્રે કલરની નહોતી. ૨૦૦૭ના સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાએ પહેલી વાર ગ્રે કલરની પાંચ ડૉલરની કરન્સી માર્કેટમાં મૂકી અને એ પછી પણ દુનિયાના બીજા કોઈ દેશોએ હજી સુધી ગ્રે કલરની કરન્સી મૂકી નથી.

navratri 2023 navratri festivals columnists