કેજરીવાલ અને આમ આદમી પાર્ટી રાજકીય અસ્તિત્વ બચાવી શકશે?

31 March, 2024 02:17 PM IST  |  Mumbai | Raj Goswami

એવા સંકેત છે કે કેજરીવાલના કેસનો જલદી ફેંસલો આવવાનો નથી. BJP માટે એ ‘આશીર્વાદ’ છે. એ ઇચ્છે છે કે લોકસભાની ચૂંટણી સુધી સમાચારોમાં લોકોનું ધ્યાન ભ્રષ્ટાચાર પર રહે.

અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ડંકો વગાડી રહી છે. જર્મની પછી હવે અમેરિકાએ તેમની ધરપકડ પર ટિપ્પણી કરી છે. એક વાર નહીં બે વાર. ભારતે બન્ને દેશોના રાજદ્વારીઓને બોલાવીને તેમની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે કેજરીવાલની ધરપકડ એની આંતરિક બાબત છે. અમેરિકાએ તેના રાજદ્વારીને ભારતે સમન્સ કર્યા એના પર પણ પ્રતિક્રિયા આપીને કહ્યું છે કે અમેરિકા ન્યાયી, પારદર્શક અને સમયસરની કાનૂની પ્રક્રિયાઓનું સમર્થન કરે છે અને એમાં ‘કોઈએ વાંધો ઉઠાવવો ન જોઈએ.’
જર્મનીના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, ‘એક લોકતાંત્રિક દેશ તરીકે અમે આશા રાખીએ છીએ કે અરવિંદ કેજરીવાલ સામે ન્યાયી અને નિષ્પક્ષ ખટલો ચલાવામાં આવે.’ ગયા સપ્તાહે શુક્રવારે અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મન વિદેશ મંત્રાલયના પ્રવક્તાને પૂછવામાં આવ્યું કે તેઓ ચૂંટણી પહેલાં ભારતના વિપક્ષના એક મોટા નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડને કેવી રીતે જુએ છે?

પ્રવક્તાએ કહ્યું હતું કે ‘અમે આ મુદ્દાથી વાકેફ છીએ. ભારત એક લોકશાહી દેશ છે. અમારું માનવું છે અને અપેક્ષા છે કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને મૂળભૂત લોકશાહી સિદ્ધાંતો સાથે સંકળાયેલાં ધોરણો આ કેસમાં પણ લાગુ કરવામાં આવશે.’

ભારતે આ ટિપ્પણીનો વાંધો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રાલયે એક બયાન જાહેર કરીને કહ્યું હતું કે ‘અમે આવી ટિપ્પણીઓને અમારી ન્યાયિક પ્રક્રિયા અને ન્યાયપાલિકાની સ્વતંત્રતાને કમજોર કરવાના રૂપમાંજોઈએ છીએ.’

એ પછી ગયા મંગળવારે અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘અમે કેજરીવાલની ધરપકડ પર નજર રાખી રહ્યા છીએ. અમે ત્યાંની સરકારને નિષ્પક્ષ, સમયબદ્ધ અને પારદર્શક કાનૂની પ્રક્રિયા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.’
ભારતે આ ટિપ્પણીનો પણ વાંધો ઉઠાવ્યો હતો અને વિદેશ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરવા માટે બુધવારે US મિશનનાં કાર્યકારી નાયબ વડા ગ્લૉરિયા બર્બેનાને સમન્સ પાઠવ્યું હતું. આ બેઠક લગભગ ૪૦ મિનિટ સુધી ચાલી હતી. 
એના બીજા જ દિવસે અમેરિકાએ આ કાર્યવાહી પર પણ ટિપ્પણી કરી હતી. US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મૅથ્યુ મિલરે કહ્યું હતું કે ‘હું ખાનગી રાજદ્વારી વાતચીત વિશે કશું નહીં કહું; પણ અમે

જાહેરમાં કહ્યું છે કે અમે ન્યાયી, પારદર્શક, સમયસર કાનૂની પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરીએ છીએ. અમને નથી લાગતું કે કોઈને પણ એના પર કોઈ વાંધો હોવો જોઈએ. અમે આ વાત ખાનગીમાં પણ સ્પષ્ટ કરીશું.’
અરવિંદ કેજરીવાલ સામેના કેસનાં બે પાસાં છે : કાનૂની અને રાજકીય. આ માત્ર સીધોસાદો કાનૂની મામલો હોત તો આંતરરાષ્ટ્રીય સ્તરે એની નોંધ લેવાઈ ન હોત, પરંતુ લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ કરેલી કાર્યવાહીને શંકાની નજરે પણ જોવાઈ રહી છે. ED સામે છેલ્લા ઘણા સમયથી વિપક્ષનો આરોપ છે કે એ સરકારના ઇશારે વિરોધ પક્ષના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરે છે.

કેજરીવાલના કિસ્સામાં હૈદરાબાદના ઉદ્યોગપતિ પી. શરથચંદ્ર રેડ્ડીનું નામ સતત ચર્ચામાં છે. દિલ્હી સરકારના કથિત શરાબ કૌભાંડ કેસમાં મની લૉન્ડરિંગના આરોપમાં ED દ્વારા ૨૦૨૨ની ૧૦ નવેમ્બરે રેડ્ડીની ધરપકડ કરવામાં આવી હતી.

EDના જણાવ્યા અનુસાર રેડ્ડી કૌભાંડના ‘દક્ષિણ જૂથ’નો હિસ્સો હતા જેમણે કથિત રીતે આમ આદમી પાર્ટીને ૧૦૦ કરોડ રૂપિયા આપ્યા હતા, જેનો ઉપયોગ પાર્ટીએ ગોવાની ચૂંટણીમાં કર્યો હતો. લગભગ છ મહિના પછી દિલ્હી હાઈ કોર્ટે ૨૦૨૩ની ૯ મેએ તબીબી આધાર પર રેડ્ડીને જામીન આપ્યા હતા. 
EDએ તેમની આ જામીનઅરજીનો વિરોધ કર્યો નહોતો. જામીન આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે બીમાર વ્યક્તિઓને પર્યાપ્ત અને અસરકારક સારવારનો અધિકાર છે. થોડા દિવસ પછી ૨૦૨૩ની પહેલી જૂને દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટે રેડ્ડીને સરકારી સાક્ષી બનવાની મંજૂરી આપી અને રેડ્ડીને માફી આપી હતી. 
રેડ્ડીની ED દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યારે તેઓ ઓરોબિંદો ફાર્મા લિમિટેડના ડિરેક્ટર હતા. ઓરોબિંદો ફાર્માનું મુખ્ય મથક હૈદરાબાદ, તેલંગણમાં છે. ઓરોબિંદો ફાર્માએ ૨૦૨૧ની ૩ એપ્રિલથી ૨૦૨૩ની ૮ નવેમ્બર વચ્ચે પંચાવન કરોડ રૂપિયાનાં ચૂંટણી-બૉન્ડ ખરીદ્યાં છે.

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હી સરકારનાં પ્રધાન અતિશીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, ‘દિલ્હીમાં નવી આબકારી નીતિ હેઠળ ઓરોબિંદો ફાર્માના માલિક શરથચંદ્ર રેડ્ડીને દારૂ વેચવા માટે કેટલાક ઝોન મળ્યા હતા. ૯ નવેમ્બરે રેડ્ડીએ કહ્યું હતું કે તેમણે અરવિંદ કેજરીવાલ, વિજય નાયર કે AAPના અન્ય કોઈ નેતાને પૈસા આપ્યા નથી. બીજા દિવસે તેમની ધરપકડ કરવામાં આવી હતી. થોડા મહિનાઓ પછી રેડ્ડીનું નિવેદન કેજરીવાલની વિરુદ્ધ થઈ ગયું અને થોડા મહિનાઓમાં જ તેમને જેલમાંથી જામીન મળી ગયા.’
ચૂંટણી-બૉન્ડમાં પારદર્શિતા માટે કામ કરતી અંજલિ ભારદ્વાજ નામની એક સામાજિક કાર્યકર્તાએ કહ્યું છે કે ‘દિલ્હીની શરાબનીતિના કિસ્સામાં બે સરકારી સાક્ષીઓ છે જેમના પર ED આધાર રાખે છે. એમાંથી એક કંપની શાસક પક્ષને ચૂંટણી-બૉન્ડ દ્વારા દાન આપી રહી છે.’

તેમણે કહ્યું, ‘આ ઘણા પ્રશ્નો ઊભા કરે છે. આનાથી પ્રશ્ન ઊભો થાય છે કે ધરપકડ કરાયેલી વ્યક્તિની કંપની દાન કેમ આપે? પછી તે વ્યક્તિને જામીન મળે છે, તે સરકારી સાક્ષી બને છે, તેને માફી આપવામાં આવે છે અને પછી તેની કંપની શા માટે શાસક પક્ષને વધુ પૈસા દાન કરે છે? આ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.’

૨૮ તારીખે, જ્યારે EDમાં તેમના રિમાન્ડ પૂરા થયા ત્યારે, દિલ્હીમાં રાઉજ ઍવન્યુ કોર્ટમાં પેશ થયેલા કેજરીવાલે તેમની ધરપકડ અંગે કહ્યું હતું કે આ એક રાજકીય ષડ્યંત્ર છે અને જનતા એનો જવાબ આપશે.
ભારતીય જનતા પાર્ટી (BJP)એ કહ્યું કે EDએ કાર્યવાહી કર્યા બાદ કેજરીવાલે નૈતિક આધાર પર રાજીનામું આપવું જોઈએ. 
BJPના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, ‘તમે બાવળ વાવ્યા હોય તો કેરી કેવી રીતે ખાશો? એવી કઈ એજન્સી છે જેણે આની તપાસ કરી ન હોય? દિલ્હીમાં કોણ આ કેસની હકીકતોથી અજાણ છે?’
કેજરીવાલે કોર્ટમાં કહ્યું હતું કે ‘શરથ રેડ્ડીએ BJPને પંચાવન કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. મારી પાસે પુરાવા છે કે આ રૅકેટ ચાલી રહ્યું છે. મની ટ્રેલ સ્થાપિત થયેલી છે. ધરપકડ બાદ તેમણે BJPને ૫૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું એની પણ તપાસ થવી જોઈએ. EDના બે ઉદ્દેશો હતા : AAP પાર્ટીને ખતમ કરવી અને સ્મોકસ્ક્રીન ઊભો કરવો. શરાબ કૌભાંડના પૈસા ક્યાં છે? ૧૦૦ કરોડ ચૂકવ્યાનો આરોપ છે. ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાનો એક આદેશ છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ શંકાસ્પદ છે.’

એવા સંકેત છે કે કેજરીવાલના કેસનો જલદી ફેંસલો આવવાનો નથી. BJP માટે એ ‘આશીર્વાદ’ છે. એ ઇચ્છે છે કે લોકસભાની ચૂંટણી સુધી સમાચારોમાં લોકોનું ધ્યાન ભ્રષ્ટાચાર પર રહે. બે દિવસ પહેલાં વડા પ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગર મતવિસ્તારના BJPનાં ઉમેદવાર રાજમાતા અમૃતા રૉય સાથે વાત કરી હતી એ સૂચક છે.
આ ટેલિફોનિક વાતચીત સોશ્યલ મીડિયા પર જાહેર કરવામાં આવી છે. એમાં મોદી રાજમાતાને એવી સલાહ આપી રહ્યા છે કે ‘તમે જનતા વચ્ચે જઈને કહેજો કે મારી મોદી સાથે વાત થઈ છે અને તેઓ EDએ ભ્રષ્ટ લોકોના કબજામાંથી જપ્ત કરેલા ગરીબોના પૈસાને પાછા ગરીબોને આપવા માટે કાયદાકીય વિકલ્પો શોધી રહ્યા છે.’

BJP કેજરીવાલની ધરપકડને બે રીતે જોઈ રહી છે : એક તો પાર્ટીના વફાદાર મતદારોમાં એવો સંદેશો જાય છે કે સરકાર ભ્રષ્ટ નેતાઓ સામે સતત કાર્યવાહી કરતાં ખચકાતી નથી. આ ધરપકડ સાચી છે કે ખોટી એની આ મતદારોને ચિંતા નથી. તેમને એ પણ ચિંતા નથી કે વિપક્ષો કહે છે એમ લોકશાહીનું વસ્ત્રહરણ થઈ રહ્યું છે. તેમને તો એટલું જ આશ્વાસન ઘણું છે કે સરકાર ૫૬ની છાતીવાળી છે અને કામ કરી રહી છે.

બીજું, કેજરીવાલ લાંબો સમય સુધી તેમની કાનૂની લડાઈમાં ગૂંચવાયેલા રહે એટલી AAP પાર્ટી નબળી પડશે, કારણ કે પાર્ટીના ટોચના ત્રણ બોલકા નેતા સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેલમાં છે. એમાં ચોથા કેજરીવાલનો ઉમેરો થયો છે.

આમાં ટૂંકા ગાળાનો ફાયદો એ છે કે લોકસભાની ચૂંટણીમાં AAPનો કોઈ સ્ટાર પ્રચારક જનતા વચ્ચે નહીં હોય. લાંબા ગાળાનો ફાયદો એ છે કે AAP પાર્ટી વિખરાઈ જશે. મહારાષ્ટ્રમાં બાળાસાહેબની શિવસેના અને શરદ પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસને આ રીતે જ તો તોડી પાડવામાં આવી હતી.

કેજરીવાલને આ અંદેશો છે. તેમની સામે હવે મુખ્ય પ્રધાનપદ પર ચાલુ રહેવાની કાનૂની ચૅલેન્જ આવશે અથવા દિલ્હીમાં રાષ્ટ્રપતિનું શાસન લાદવાની કારવાઈ થશે. એટલે જ કેજરીવાલનાં પત્ની સુનીતા છેલ્લા બે દિવસથી જાહેરમાં આવ્યાં છે. એવું લાગે છે કમસે કમ લોકસભાની ચૂંટણીમાં લોકોની સહાનુભૂતિ મેળવવા માટે સુનીતા તેમના પતિનો કેસ જનતાના દરબારમાં લઈને જાય. કાનૂનના દરબારમાં તો કેસ લાંબો ચાલે એવું લાગે છે.

columnists gujarati mid-day arvind kejriwal