01 July, 2024 12:10 PM IST | Mumbai | Darshini Vashi
ડોક્ટર્સ
ડાટાબિટીઝના આ ડૉક્ટરને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર બનવાની પ્રેરણા દરદીઓની પીડામાંથી મળેલી
પીડિતોની પીડા સમજવા હું પ્રાણીઓ પ્રત્યે ખેંચાયો અને બની ગયો વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર એમ જણાવતાં ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. અવનીશ રાજન કહે છે, ‘હું ઘણા પેશન્ટ્સને હેરાન થતા જોઉં છું. મેં મારી નજર સામે લોકોને મરતા પણ જોયા છે. ઘણી વખત પેશન્ટ બોલી પણ ન શકે અને સમજાવી પણ ન શકે એટલી પીડા તેને થતી હોય છે. ડૉક્ટરને જ નહીં, પેશન્ટ તેના ફૅમિલી-મેમ્બર્સને પણ તેની તકલીફ બતાવી કે સમજાવી શકતો નથી. ત્યારે મને વિચાર આવ્યો કે ઍઝ અ હ્યુમન આપણને બોલવાની શક્તિ આપેલી હોવા છતાં આપણે આપણી પીડાને એક્સપ્રેસ નથી કરી શકતા તો પછી મૂંગાં પ્રાણીઓનું શું થતું હશે? પ્રાણીઓને પણ આપણી જેમ ઇમોશન્સ હોય છે પણ એમની પાસે સ્પીચની એબિલિટી નથી. એટલે હું પહેલી વખત વાઇલ્ડ ટૂર પર જવા નીકળ્યો અને પછી તો હું એમની સાથે ઇમોશનલી એવો જોડાઈ ગયો કે આજ સુધી આ જોડાણ તૂટ્યું નથી. ઍઝ અ ડૉક્ટર હું વર્ષ ૧૯૮૭થી કન્સલ્ટિંગ મેડિકલ ફિઝિશ્યન છું. ગ્રાન્ટ મેડિકલ કૉલેજ (જે. જે. ગ્રુપ ઑફ હૉસ્પિટલ)થી મેં અભ્યાસ કર્યો છે. હરકિસનદાસ રિલાયન્સ હૉસ્પિટલની સાથે હું સંકળાયેલો છું. ગ્રાન્ટ રોડમાં મારું નર્સિંગ હોમ પણ છે જ્યાં હું મારા પેશન્ટ્સને અટેન્ડ કરું છું. તેમ જ હું વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર પણ છું.’
મજાની વાત એ છે કે કેનિયા અને ટાન્ઝાનિયામાં પોતાની વાઇલ્ડલાઇફ ટ્રાવેલ કંપની ધરાવતા આ ડૉક્ટરે લેખક તરીકે એક મહિના પહેલાં જ વાઇલ્ડલાઇફ ઉપર એક બુક બહાર પાડી છે, જેમાં ૪૦૦ જેટલા ફોટોઝ છે. એમાં તેમણે દર્શાવ્યું છે કે પ્રાણીઓ પણ મનુષ્યની જેમ તમામ ઇમોશન્સ ધરાવે છે. છેલ્લાં ૨૦ વર્ષથી દર વર્ષે બે વખત વાઇલ્ડલાઇફ ટૂર પર જતા આ ડૉક્ટરને અત્યાર સુધીમાં નૅશનલ અને ઇન્ટરનૅશનલ લેવલ પર વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીમાં ૩૦૦૦ જેટલા અવૉર્ડ પણ મળી ચૂક્યા છે. મુંબઈની મોટી-મોટી આર્ટ ગૅલેરીમાં તેમના
ફોટો-એક્ઝિબિશન થાય છે.
કચ્છી ભાષાના પરમ ઉપાસક, નાટ્યકાર, કવિ જેવાં વિશેષણોથી પણ ઓળખાય છે આ ફૅમિલી-ડૉક્ટર
MBBS થયેલા ડૉ. વિશન નાગડા છેલ્લાં ૪૩ વર્ષથી સાંતાક્રુઝમાં ફૅમિલી ફિઝિશ્યન તરીકે કાર્યરત છે અને એની સાથે તેઓ ભાષા, કવિતા, નાટ્યલેખન, શબ્દકોશ સર્જન વગેરેની સાથે સંકળાયેલા છે. તેઓ પોતાના પૅશન વિશે જણાવતાં કહે છે, ‘હું સ્કૂલમાં હતો ત્યારથી મને સાહિત્ય પ્રત્યે ગાઢ પ્રેમ રહ્યો છે. હું ભણ્યો છું ડૉક્ટરનું અને એમાં પણ ઓતપ્રોત થઈને કામ મારું ચાલુ જ છે, પણ મારો સાહિત્ય પ્રત્યેનો પ્રેમ હજી પણ યથાવત્ છે; જેનો હું સમાજના હિતમાં સદુપયોગ કરી રહ્યો છું. મારો મુખ્ય વિષય છે ભાષાનું સંશોધન. અત્યારે હું કચ્છી ભાષાને ઇલાબરેટ કરી શકાય એવો શબ્દકોશ તૈયાર કરી રહ્યો છું. આ સિવાય હું ગીતો લખું છું. ૧૯૯૧ની સાલમાં મેં ‘શબરીનાં બોર નામનું ગીત લખ્યું હતું, જે આજની તારીખમાં પણ સંગીતપ્રેમીઓનું પ્રિય ગીત છે. કચ્છીમાં પણ મેં ગીતોનું લેખન કર્યું છે. હું ગીત-ગઝલના કવિ તરીકે ઓળખાઉં છું. ૩૧ વર્ષથી હું નાટ્ય-રૂપાંતર કરું છું. એટલે કે ગુજરાતી નાટકને કચ્છીમાં ઢાળવાનું, કચ્છના માહોલને લાવવાનું અને કચ્છી ભાષાની વિશેષતા લોકો સમક્ષ મૂકું છું. આ નાટકને અષાઢી બીજના દિવસે થિયેટરમાં મૂકવામાં આવે છે અને હજારોની સંખ્યામાં કચ્છી લોકો એને જોવા આવે છે. ટૂંકમાં હું ગુજરાતી અને કચ્છી ભાષાના વિકાસ અર્થે સતત પ્રયત્નશીલ રહું છું. ડૉક્ટર તરીકે પણ હું અનેક સેવા આપું છું. કચ્છ ઉપરાંત મુંબઈમાં પણ અનેક મેડિકલ કૅમ્પમાં સેવા આપું છું.’
આ હોમિયોપથી ડૉક્ટરનો ભરતનાટ્યમ પ્રત્યેનો પ્રેમ ભલભલાને દંગ કરે છે
મારી ઉંમર સાત-આઠ વર્ષની હતી ત્યારથી ભરતનાટ્યમ શીખું છું જેમાં મેં PhDની ડિગ્રી પણ મેળવી છે. આજે હું ભલે મેડિકલ ક્ષેત્રે ઍક્ટિવ છું, પણ મારો ભરતનાટ્યમ પ્રત્યેનો પ્રેમ હજી બરકરાર રાખ્યો છે એમ જણાવતાં બોરીવલીમાં રહેતા હોમિયોપૅથિક ડૉક્ટર પલક મહેતા કહે છે, ‘મેં માત્ર ૧૪ વર્ષની ઉંમરે આરંગેત્રમ્ પૂર્ણ કરી દીધું હતું અને ૨૧ વર્ષની ઉંમરે મેં ભરતનાટ્યમમાં PhDની ડિગ્રી મેળવી લીધી હતી. ત્યારે મેં એક બુક પણ લખી હતી જેનો ઉપયોગ આજે પણ અનેક સ્ટુડન્ટસ કરે છે. એ સમયે મારી ઇન્સ્ટિટ્યૂટમાંથી હું પ્રથમ હતી જેણે ભરતનાટ્યમમાં PhD કરી હતી. આજની તારીખમાં પણ હું શીખવાનું ચાલુ જ રાખું છું. ફૅમિલી ફંક્શન હોય કે બાળકોની સ્કૂલના કાર્યક્રમો, હું મારી નૃત્યની પ્રતિભા દાખવવાનો મોકો છોડતી નથી. આજે પણ હું રોજ બપોરે નૃત્યનો અભ્યાસ કરું છું. સવારે અને સાંજે હું ક્લિનિક ઉપર હોઉં છું. એ પહેલાં રોજ સવારે એક કલાક યોગ કરું છું. બપોરે સ્વિમિંગ અને નૃત્યનો અભ્યાસ કરું છું. ઍસ્ટ્રોલૉજી પણ શીખી છું. હાર્મોનિયમ પણ વગાડી જાણું છું. પેઇન્ટિંગમાં પણ અનેક પરીક્ષાઓ આપી છે. સ્કૂલ- કૉલેજોમાં હતી ત્યારે પણ હું દરેક કૉમ્પિટિશનમાં ભાગ લેતી હતી. નૃત્યની સાથે મને મ્યુઝિકનો પણ એટલો જ શોખ છે અને એમાં હવે આગળ પણ શીખવાનું વિચારી રહી છું.’
આ ડેન્ટિસ્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે જ્યાં પણ જવું પડે ત્યાં જવા માટે હંમેશાં તત્પર જ હોય છે
કાંદિવલીમાં ૨૦૧૦થી બે ક્લિનિક ધરાવતા ડેન્ટિસ્ટ ડૉ. કૃણાલ ઠક્કર ક્રિકેટના જબરા શોખીન છે. તેઓ કહે છે, ‘જો ડૉક્ટર હોવું મારું પ્રોફેશન છે તો ક્રિકેટ રમવું મારું પૅશન છે. મુંબઈની વિવિધ ક્લબ અને ટુર્નામેન્ટમાં હું ભાગ લેતો આવ્યો છું જેમાં મને અનેક ઇનામો અને ટ્રોફી મળી ચૂક્યાં છે. ૨૦૦૮ની સાલથી હું રેગ્યુલર ક્રિકેટ રમું છું જેના માટે હું રોજ પ્રૅક્ટિસ અને વર્કઆઉટ કરું છું. અમારા કોચ પણ છે. પોઇસર જિમખાનામાં હું વધારે ઍક્ટિવ છું. અમારે ડૉક્ટર ટુર્નામેન્ટ વગેરે પણ હોય છે જે નૅશનલ લેવલે પણ થતી હોય છે. અલગ-અલગ રાજ્યોમાં આ ટુર્નામેન્ટ થતી હોય છે જ્યાં હું રમવા જાઉં છું. અમારું પ્રોફેશન એવું છે જેમાં તમારે ફિઝિકલી અને મેન્ટલી પણ ફિટ રહેવું પડતું હોય છે. તમારું પૅશન તમને એમાં મદદરૂપ થાય છે. મને ક્રિકેટ રમવાથી ખૂબ જ એનર્જી મળે છે અને સ્ટ્રેસ દૂર કરવામાં પણ મદદ કરે છે. મંગળવારથી લઈને શુક્રવાર સુધી મારે રોજ બે કલાક પ્રૅક્ટિસ કરવા માટે જવાનું હોય છે. શનિવારે અને રવિવારે મૅચ હોય. પૅશન પૂરું કરવા માટે સૌથી મહત્ત્વની વસ્તુ છે સમય, જે ભારે મુશ્કેલીથી હું કાઢી શકું છું. પેશન્ટનો ટાઇમ અને પ્રૅક્ટિસના ટાઇમની સાથે તાલમેલ જાળવવો પડતો હોય છે. ઘણી વખત એવું પણ બને છે કે મૅચ પતાવીને સીધા ક્લિનિક પર દોડવું પડતું હોય છે કેમ કે મારા પૅશન માટે કોઈની ટ્રીટમેન્ટને અટકાવી ન શકાય.’