Layoffs 2023: જાન્યુઆરીમાં જ 101 કંપનીઓમાંથી 25000 કર્મચારીઓની છટણી, જાણો કારણ

18 January, 2023 06:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જેમ-તેમ કરીને 2022 તો પસાર થયું પણ હવે નવા વર્ષમાં પણ સ્થિતિ બહેતર થતી જોવા મળી નથી. મંદીની ચિંતામાં માર્કેટમાં અસ્થિરતા છે. વર્ષની શરૂઆતમાં જ કંપનીઓએ છટણીની જાહેરાત શરૂ કરી દીધી છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

2022ની જેમ જ 2023માં પણ વૈશ્વિક સ્તરે કંપનીઓ મંદીની અસરથી ચિંતામાં છે. વર્ષના પહેલા જ મહિનામાં એમેઝૉન, ટ્વિટર, ઓલા અને ડુંઝો જેવી દિગ્ગજ કંપનીઓ મોટાપાયે છટણીની જાહેરાત કરી ચૂકી છે. ટેક કંપનીઓ કોરોના સંકટ બાદ 2022માં રાજસ્વમાં ઘટાડો અને મંદીના ડરમાં જોવા મળી છે. પરિણામે થયું એવું કે એમેઝૉન, ટ્વિટર, મેટા, એપલ અને ગૂગલ જેવી દિગ્ગજ કંપનીઓએ પોતાનો ખર્ચ ઘટાડવા માટે છટણીનો આશરો લેવો બહેતર માન્યું. જેમ-તેમ કરીને 2022 તો પસાર થયું પણ હવે નવા વર્ષમાં પણ સ્થિતિ બહેતર થતી જોવા મળી નથી. મંદીની ચિંતામાં માર્કેટમાં અસ્થિરતા છે. વર્ષની શરૂઆતમાં જ કંપનીઓએ છટણીની જાહેરાત શરૂ કરી દીધી છે.

જાન્યુઆરીની શરૂઆતમાં જ 25 હજાર કર્મચારીઓની થઈ છટણી
એમેઝૉને પહેલા જ મોટી સંખ્યામાં લોકોને નોકરી પરથી ખસેડવાની જાહેરાત કરી દીધી. ટ્વિટર પણ અલગ ફેઝમાં લોકોને બહારનો રસ્તો બતાવે છે. અહીં સુધી કે ભારતીય કંપનીઓ ઓલા, ડુંઝો અને શૅરચેટ પણ પોતાનો ખર્ચ ઘટાડવા માટે સેંકડો કર્મચારીઓેને નોકરીમાંથી કાઢી ચૂક્યા છે. Layoffs.fyi નામની વેબસાઈટના તાજેતરના આંકડાઓ પ્રમાણે આખા વિશ્વમાં 2023 જાન્યુઆરી મહિનાના પહેલા પખવાડિયામાં જ 101 ટેક કંપનીઓ 25436 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી ચૂકી છે.

2022માં ભારતીય સ્ટાર્ટઅપ્સે લગભગ 20 હજાર લોકોને કાઢ્યા કામપરથી
ભારતની સ્ટાર્ટઅપ કંપનીઓમાં પણ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ છટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દેશી સ્ટાર્ટઅપ કંપનીઓએ ગયા વર્ષે 20 હજાર લોકોને કામ પરથી કાઢી નાખ્યા હતા. છટણી કરનારી ભારતીય કંપનીઓના લિસ્ટમાં બાયજૂ, ઓલા, ઓયો, મીશો, અનએકેડમી અને વેદાંતુ સહિત લગભગ બધા દિગ્ગજ સ્ટાર્ટઅપ્સ સામેલ રહ્યા. સોમવારે (16 જાન્યુઆરી)ના દેશી સ્ટાર્ટઅપ શૅરચેટે પણ પોતાના 20 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢતા કહ્યું કે આ દુઃખદ નિર્ણય છે. માનવામાં આવી રહ્યું છે કે આ છટણીમાં ઓછામાં ઓછા 500 લોકોની નોકરીઓ જશે.

મહામારી દરિમયાન વગર વિચાર્યે કરવામાં આવેલી હાયરિંગથી આવ્યો છટણીનો વારો
આ બધી કંપનીઓ છટણીનું કારણ માર્કેટની બગડતી સ્થિતિને દર્શાવે છે. હકિકતે થયું એમ કે કોરોના મહામારી દરમિયાન લાગુ પાડવામાં આવેલા લૉકડાઉનને કારણે ઑનલાઈન સેવાઓ પ્રત્યે લોકોનો રસ વધ્યો. લોકોને બહેતર સુવિધાઓ આપવા માટે સ્ટાર્ટઅપ કંપનીઓમાં મોટા પાયે હાયરિંગ કરવામાં આવી. મોટી સંખ્યામાં લોકોને ઘરે બેઠા જ હાયર કરી લેવામાં આવ્યા અને વર્ક ફ્રૉમ હોમ હેઠળ તે કામ કરવા માંડ્યા. કોવિડ સંકટ બાદ માર્કેટ ખુલતા 2022માં સ્થિતિ બદલાવા લાગી. માર્કેટ શરૂ થતા લોકો ખરીદારી માટે બહાર નીકળવા માંડ્યા. આથી કંપનીઓનો સેલ્સ ગ્રાફ પડવા માંડ્યો. હાયર કરવામાં આવેલા કર્મચારીઓનું કામ ઘટવા માંડ્યું અને તેમની સેલરીનું પ્રેશર કંપનીઓ પર વધ્યું. પરિણામે એવી સ્થિતિ સર્જાઈ કે જેથી કંપની પાસે ખર્ચ ઘટાડવા માટે છટણી એકમાત્ર આશરો બની.

2022માં ભારતીય સ્ટાર્ટઅપને મળનારી ફંડિંગમાં પણ થયો મોટો ઘટાડો
પીડબ્લ્યૂસી સ્ટાર્ટઅપ ડીલ ટ્રેકર પ્રમાણએ દેશી સ્ટાર્ટઅપ્સમાં છટણીનું એક મોટું કારણ ફંડિંગ પણ રહ્યું. 2022માં ભારતીય કંપનીઓને 24 બિલિયન ડૉલરની ફંડિંગ મળી હતી. આ 2021માં હાંસલ થયેલ ફંડિંગના માત્ર 33 ટકા છે. જાણકારોનું માનવું છે કે ગયા વર્ષે જ્યારે સ્ટાર્ટઅપ્સને મનમરજી પ્રમાણેનું ફંડિંગ મળ્યું તો તેમણે યોગ્ય બિઝનેસ મૉડલ વગર જ મોટી સંખ્યામાં હાયરિંગ કરી લીધું. હવે જ્યારે બિઝનેસ અનુમાન પ્રમાણે પરિણામ નથી આપી રહ્યું તો કંપનીઓના સંસ્થાપક લોઅલ વેલ્યુએશનના ડરથી છટણીના પગલા લઈ રહ્યા છે. જો કે કેટલાક આર્થિક જાણકારો માને છે કે આમ કરવાને બદલે કંપનીઓએ પોતાના બિઝનેસ મૉડલની ખામી દૂર કરવા પર કામ કરવું જોઈએ.

આ પણ વાંચો : Microsoft Lay Off: માઈક્રોસોફ્ટ કંપની આજે 11000 કર્મચારીઓની કરશે છટણી, જાણો કારણ

કંપનીઓની હાયરિંગ પ્રક્રિયામાં 44 ટકાનો થયો ઘટાડો
માનવ સંસાધન ફર્મ સીઆઈઈએલ પ્રમાણે વર્ષ 2022ની શરૂઆતની તુલનામાં વર્ષના અંતમાં કંપનીઓની હાયરિંગ પ્રક્રિયામાં 44 ટકા સુધીનો ઘટાડો નોંધવામાં આવ્યો. એચઆર રિસ્ક મેનેજમેન્ટ ફર્ઝ ટીઆરએસટી સ્કોરના સુધાકર રાજા પ્રમાણે કોરોના સંકટ દરમિયાન કંપનીઓએ મોટી-મોટી ઑફર આપીને લોકોને હાયર કરી લીધા. હવે તેનાથી છૂટકારો મેળવવા માગે છે. આનું જ પરિણામ છે છટણી. હવે તે વેપાર અને પ્રદર્શનને કારણ જણાવી રહ્યા છે. આ જ કારણ છે કે મોટી સંખ્યામાં લોકોએ નોકરી ગુમાવવી પડી રહી છે.

business news amazon twitter coronavirus